દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું- હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના તૈનાત કરવામાં આવે
નવી
દિલ્હી: ઉત્તરપૂર્વી
દિલ્હીમાં CAA વિરોધી હિંસામાં બુધવાર સુધી 27 લોકોનું
મૃત્યુ થયું છે જ્યારે 250થી વધુ લોકો ઘાયલ છે. દિલ્હી પોલીસ તરફથી પ્રવક્તા
એમ.એસ.રંધાવાએ બુધવારે કહ્યું હતું કે આ મામલે કુલ 18 FIR દાખલ
કરવામાં આવી છે અને 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પ્રમાણે બુધવારે
હિંસાની કોઇ ઘટના સામે આવી નથી. GTB હોસ્પિટલમાં 21 અને
જેપી હોસ્પિટલમાં 1 મોત દાખલ થયું છે. હિંસાના ત્રણ દિવસ બાદ પ્રધાનમંત્રી મોદીએ
લોકો પાસે શાંતિ અને ભાઇચારાની અપીલ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે
કહ્યું કે હિંસા પ્રભાવિત વિસ્તારમાં સેના તૈનાત કરવામાં આવે. ન્યૂઝ એજન્સી
પ્રમાણે પરિસ્થિતિને કાબૂમાં કરવાની જવાબદારી અત્યારે અજીત ડોભાલ સંભાળી રહ્યા છે.
બુધવારે બપોરે તેઓ DCP નોર્થઇસ્ટની ઓફિસે પહોંચ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી
હતી. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેબિનેટને રિપોર્ટ કરશે. બુધારે જ
કેબિનેટની મીટિંગ પણ બોલાવવામાં આવી હતી. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ
કેજરીવાલે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે શહીદ હેડ કોન્સ્ટેબલ રતનલાલના પરિવારને
એક કરોડ રૂપિયા તેમજ એક પરિજનને સરકારી નોકરી આપવામાં આવશે.
દિલ્હીમાં 5 પોલીસ અધિકારીની બદલી, સંજય ભાટિયાને DCP સેન્ટ્રલ બનાવવામાં આવ્યા
દિલ્હીમાં પાંચ IPS અધિકારીની
બદલી કરવામાં આવી છે. સંજય ભાટિયા સેન્ટ્રલ ઝોન DCP બનાવવામાં
આવ્યા છે. સંજય ભાટિયા અત્યારે એરપોર્ટ પર તૈનાત છે. એમ.એસ રંધાવા એડિશનલ સીપી
ક્રાઇમ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજીવ રંજનને એરપોર્ટની જવાબદારી આપવામાં આવી
છે. શંખધર મિશ્રા ટ્રાફિકના એડિશનલ સીપી બનાવવામાં આવ્યા છે. પ્રમોદ મિશ્રાને
રોહિણીના DCP બનાવવામાં આવ્યા છે.
Updates...
દિલ્હીમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી: દિલ્હીમાં હિંસા પર કાબુ મેળવવા માટે ગૃહ મંત્રાલય એક્શનમાં
આવ્યું છે. દિલ્હીમાં અત્યાર સુધી 800થી વધારે
જવાન તહેનાત કરવામાં આવ્યા છે. મંગળવાર સુધી દિલ્હીમાં 37 અર્ધસૈનિક બળ કંપની તહેનાત હતી પરંતુ હવે તેની સંખ્યા
વધારીને 45 કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં સેનાએ માર્ચ કરી: દિલ્હીમાં ખાસ કરીને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના
દ્વારા માર્ચ કરવામાં આવી છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના સાથે અન્ય
સુરક્ષાબળ અને અધિકારીઓ માર્ચમાં જોડાયા હતા અને તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ
કરી હતી.
કેજરીવાલે કહ્યું- સેના તહેનાત
કરવાની જરૂર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું
છે કે, હું સતત દિલ્હીમાં ઘણાં લોકોના સંપર્કમાં છું. અત્યારે
સ્થિતિ તણાવપૂર્ણ છે. પોલીસ તેમના તમામ પ્રયત્નો પછી પણ સ્થિતિ સંભાળી નથી શકતી. આ
સંજોગોમાં હવે સેનાને તહેનાત કરવી જોઈએ અને પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી
દેવો જોઈએ. હું આ વિશે કેન્દ્રીય ગૃહ મંત્રીને ચિઠ્ઠી લખી રહ્યો છું.
સ્થિતિને નિયંત્રણમાં લેવાની જવાબદારી અજીત ડોભાલને સોંપાઈ
કેન્દ્ર સરકારે દિલ્હી હિંસાની સ્થિતિ કાબુમાં કરવાની
જવાબદારી NSA અજીત ડોભાલને સોંપી છે. તેઓ વડાપ્રધાન મોદી અને કેબિનેટને
રિપોર્ટ સોંપશે. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સવારે શાહદરા હિંસામાં ઘાયલ ડીસીપી
અમિત શર્માના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. અમતિ શાહે પરિવારજનો પાસેથી શર્માની
તબિયતમાં કેવી રીતે સુધારો થઈ રહ્યો છે તે વિશેની માહિતી લીધી હતી.
PM મોદીને રિપોર્ટ આપશે અજીત ડોભાલ
દિલ્હીની હાલની સ્થિતિ વિશે
કાબુ મેળવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીલ ડોભાલને દરેક પ્રકારની છૂટ
આપવામાં આવી છે. અજીત ડોભાલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટમાં દિલ્હી
હિંસાની માહિતી આપશે. નોંધનીય છે કે, મંગળવારે
મોડી રાતે ડોભાલે દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક અને સ્પેશિયલ સીપી એસએન.
શ્રીવાસ્તવ સાથે જાફરાબાદ અને સીલમપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી
હતી. તેમણે અહીં સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી.
દિલ્હી પોલીસ એલર્ટ, ચાર
વિસ્તારોમાં કર્ફ્યૂ
છેલ્લા બે દિવસથી દિલ્હીના
અમુક વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની રહી છે. દિલ્હીની હાલની
સ્થિતિને ધ્યાનમાં રાખીને જાફરાબાદ, મૌજપુર અને
ચાંદબાગ વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે અને લોકોને કારણ વગર બહાર ન
નીકળવાની સલાહ આપવામાં આવી છે.
દેખો ત્યાં ઠારનો ઓર્ડર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પ ભારતથી અમેરિકા જવા રવાના થતાં જ દિલ્હી પોલીસ દ્વારા તોફાનીઓ પર શૂટ એટ
સાઇટના ઓર્ડર આપવામાં આવ્યા છે. પોલીસે મોડી સાંજે જણાવ્યું હતું કે જાફરાબાદનો
રસ્તો ક્લિયર કરવામાં આવ્યો છે. તોફાનીઓએ મંગળવારે મૌજપુર, ભજનપુરા, બ્રહ્મપુરી અને ગોકલપુરી
વિસ્તારમાં પથ્થર મારો કર્યો હતો. મૌજપુર મેટ્રો સ્ટેશનની પાસે બે જુથો વચ્ચે
થયેલી મારામારી દરમિયાન ફાયરિંગ થયું હતું. જ્યારે જાફરાબાદમાં પોલીસે ફાયરિંગ
કરવું પડ્યું હતું.
પ્રાઇવેટ ટીવી ચેનલને એડવાઇઝરી જાહેર કરવામાં આવી
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખાનગી ચેનલોને એક એડવાઇઝરી
જાહેર કરીને ધાર્મિક લાગણી દૂભાય તે પ્રકારના દ્રષ્યો તેમજ ખોટી માહિતી ન ફેલાય તે
અંગે સાવચેતી રાખવા જણાવ્યું હતું. સાંજે 6.30 વાગ્યે એક
પક્ષના તોફાની તત્વોને ભગાડવા માટે પોલીસે પેપર શેલ અને ટિયર ગેસના સેલ છોડ્યા
હતા. ત્યારબાદ સામેના પક્ષે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ચાંદબાગમાં 4 કલાક બાદ પથ્થમારો બંધ થયો હતો. SSB, RAF અને દિલ્હી પોલીસની કમ્બાઇન યુનિટ સ્થળે પહોંચી ત્યારબાદ
બન્ને પક્ષ પાછળ હટી ગયા હતા. સ્પેશ્યલ પોલીસ કમિશ્નર સતીશ ગોલચાએ ઘટનાસ્થળનું
નિરિક્ષણ કર્યું હતું. અત્યારે પણ આ વિસ્તારમાં વાતાવરણ તંગ છે.