દેશને મંદીમાંથી બહાર લાવવા મોદી સરકારની વધુ એક જાહેરાત, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાયો
નવી દિલ્હી : દેશમાં નોટબંધી અને જીએસટી લાગુ કર્યા બાદ મંદીનો માહોલ છે, ઓટોમોબાઇલ સેક્ટરથી માંડીને દરેક સેક્ટરમાં પ્રોડ્કશનમાં મોટો ઘટાડો થયો છે, ત્યારે આજે નાણામંત્રી નિર્મલા સીતારમને મોટી જાહેરાત કરી છે, અગાઉ હાઉસિંગ સેક્ટર માટે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યાં બાદ આજે મોદી સરકારના મંત્રીએ કંપનીઓ માટેના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ટેક્સમાં ઘટાડો કરાયો છે, નાણામંત્રીએ જણાવ્યું કે ઓક્ટોબર 2019 બાદ બનેલી કંપનીઓને 15 ટકા ટેક્સ આપવાનો રહેશે. તેની પર ટેક્સનો પ્રભાવી દર 17.1 ટકા રહેશે.જે કંપનીઓ કોઈ છૂટનો ફાયદો નહીં લે તે માટે મિનિમમ અલ્ટરનેટ ટેક્સના દર ઘટાડવામાં આવ્યાં છે, સરકારે નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પણ જાહેરાત કરી છે.
નવી જાહેરાત મુજબ કોઇ પણ છૂટ વગર ઇનકમ ટેક્સ 22 ટકા ભરવાનો રહેશે, સરચાર્જની સાથે ટેક્સનો નવો દર 25.17 ટકા રહેશે, જેમને 5 જુલાઈ 2019 પહેલા બાયબેકની જાહેરાત કરી છે તેવી લિસ્ટેડ કંપનીઓએ તેમના બાયબેક પર ટેક્સ નહીં આપવો પડે અને સીઆરઆરમાં થનારા 2 ટકા ખર્ચને ઇનક્યૂબેટર્સ પર ખર્ચ કરી શકાશે, નાણાંમંત્રીએ જણાવ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી સરકારને દર વર્ષે 1.45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. ગોવામાં GST કાઉન્સિલની બેઠક પહેલા આ જાહેરાતથી શેરબજારમાં ઉછાળો આવ્યો હતો.
ગુરુવારે પણ નાણાંમંત્રીએ સરકારી બેંકોના પ્રમુખો સાથે ક્રેડિટ ગ્રોથ વધારવા માટે બેઠક કરી હતી અને MSMEને કોઈ પણ લોન માર્ચ 2020 સુધી NPA નહીં જાહેર કરવાની જાહેરાત કરી હતી, નાણામંત્રીએ જણાવ્યું હતુ કે બેંકોની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે, લોકોને લોન લેવાની અપીલ કરાઇ છે અને બેંકોને 400 જિલ્લાઓમાં લોન મેળા યોજવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યાં છે.