તેના કારણે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના વોટ ઓછા થશે, તેમને 2021ની ચૂંટણીમાં 50 સીટો પણ નહીં મળે
કોલકાતા: નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જરૂર પડશે તો 50 લાખ મુસ્લિમ ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને દેશની બહાર કરવામાં આવશે.
બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારે એક રેલી દરમિયાન ઘોષે મમતા બેનરજી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, પહેલાં તો મુસ્લિમ ઘૂસણખોરોની ઓળખ કરીને તેમના નામ મતદાર યાદીમાં બહાર કાઢવામાં આવશે. ઘૂસણખોરોના નામ મતદાર યાદીમાંથી બહાર કાઢવામાં આવશે પછી 2021માં બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં મમતા દીદીના વોટ ઘટી જશે. તેના કારણે અમને ચૂંટણીમાં 200 સીટ મળશે અને તેમને (મમતા બેનરજી) 50 સીટો પણ નહીં મળે.
ગોળી મારી દઈશું
ઘોષે CAA-NRCનો નિરોધ કરનાર પાર્ટી ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ પક્ષના લોકોના દિલમાં માત્ર ઘૂસણખોરો માટે જ પ્રેમ હોય છે. જોકે આવું પહેલીવાર નથી થયું કે ઘોષે CAA-NRCનો વિરોધ કરતા પક્ષ માટે આવું નિવેદન આપ્યું છે. ગયા સપ્તાહે પણ તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને ગોળી મારી દઈશું. ઉત્તર પ્રદેશ સરકારનું ઉદાહરણ આપતા ઘોષે કહ્યું હતું કે, ત્યાં ઉપદ્રવીઓને કૂતરા સમજીને તેમના પર ગોળી ચલાવવામાં આવે છે. તે ઉપરાંત તેમણે મમતા બેનરજી પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ ઉપદ્રવીઓ પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા, કારણકે તે બધા તેમના જ મતદારો છે. ઘોષે કહ્યું હતું કે, આવા લોકોને ન છોડવા જોઈએ.