ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 32 ફૂટે પહોંચી, બપોરે 35 ફૂટે પહોંચવાની શક્યતા
નર્મદા ડેમમાંથી 11 લાખ ક્યૂસેક પાણી છોડાતા
ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ભયજનકને પાર કરીને 32 ફૂટે પહોંચી છે. જેને
પગલે નર્મદા કાંઠાના ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના ફૂરજા અને
દાંડિયા બજાર વિસ્તારમાં નર્મદા નદીના પાણી ઘૂસી જતા રસ્તાઓ પર હોડીઓ ફરવા લાગી
છે. જેને પગલે ભરૂચવાસીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.
નર્મદા નદીમાં ફસાયેલી 5 લોકોને રેસ્ક્યૂ કરાયા
ભાડભૂત ગામેથી
સરફુદ્દીન તરફ આવતા બોટ બંધ થઇ જતા 5 લોકો નર્મદા નદીનાના ધસમસતા પાણીમાં ફસાઇ ગયા હતા.
તેઓને NDRFની ટીમ સાથે રેસ્ક્યૂ
કરીને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. નર્મદા નદી કિનારાના વડોદરાના 12, ભરૂચના 21 અને નર્મદા જિલ્લાના 19 મળી કુલ 52 ગામોને એલર્ટ કરવામાં
આવ્યા છે. અત્યાર સુધીમાં ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના 22 ગામોના 2540 લોકોને સ્થળાંતરિત કરાયા
છે. નર્મદા નદીનું જળ સ્તર હાલ 32.14 ઉપર પહોંચી ગયું છે, જે બપોરે 12 વાગ્યે 35 ફૂટે પહોંચવાની સંભાવના
છે, જેને પગલે ભરૂચ તંત્ર
એલર્ટ થઇ ગયું છે.
ભારે વરસાદને પગલે
ભરૂચના ડુંગરીમાં પાણીની ટાંકી ધરાશાયી
ભારે વરસાદને પગલે
ભરૂચના ડુંગરીમાં આવેલી પાણીની ટાંકી રવિવારે રાત્રે ધડાકા સાથે ધરાશાયી થઇ ગઇ
હતી. જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. જોકે ગોકુલનગર સુધીના વિસ્તારોમાં પાણીની
સમસ્યા ઉભી થઇ છે.