ઇજાગ્રસ્તોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા
લખનઉ: કાનપુરમાં રવિવારે મોડી રાત્રે એક ભારે અકસ્માત થયો હતો. કાનપુરમા ટાટમિલ ચાર
રસ્તા પર એક બેકાબૂ ઈલેક્ટ્રિક બસે 17 વાહનને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં 6
લોકોનાં મોત થયાં હતાં,
જ્યારે 9 લોકોની સ્થિતિ નાજુક છે. ચાર રસ્તા પર ટ્રાફિક બૂથ સાથે અથડાયા બાદ બસ ડમ્પર
સાથે અથડાઈ હતી. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે દાખલ કર્યા છે. જણાવવામાં
આવી રહ્યું છે કે બસ 2 કાર, 10 બાઇક અને સ્કૂટી, 2 ઇ-રિક્ષા અને 3 ટેમ્પો સાથે અથડાઇ હતી.
અકસ્માત બાદ લોકોની ભીડ એકઠી થતા જોઈને ડ્રાઈવર ઘટનાસ્થળેથી નાસી ગયો હતો.
બસે ટક્કર મારતાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર લોકો ગંભીર
રીતે ઘાયલ થયા હતા. કેટલાક રાહદારીઓ પણ બસના ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માતમાં
લાટ્રશ રોડ પર રહેતા 26 વર્ષીય શુભમ સોનકર, 25 વર્ષીય ટ્વિંકલ સોનકર, બેકેનગંજના રહેવાસી 24 વર્ષીય અર્સલાન અને નૌબસ્તા કેશવ નગરના અજીત કુમારનાં મૃત્યુ થયાં છે.
રાહદારીઓએ ઘાયલોની મદદ
કરી
અકસ્માત બાદ નાસભાગ મચી ગઈ હતી. લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે તરત જ
રસ્તા પર બેરિકેડ્સ લગાવીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રસ્તાની વચ્ચે
રહેલાં વાહનોને હટાવવામાં આવ્યાં હતાં. બસની ટક્કર બાદ નજીકમાં લાગેલા સીસીટીવી
કેમેરા પણ તૂટી ગયા હતા. અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા લોકોએ ઘાયલોને મદદ કરી હતી.
રાષ્ટ્રપતિએ દુઃખ
વ્યક્ત કર્યુ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોશિયલ મીડિયા પર લખ્યું, 'કાનપુરમાં બસ
દુર્ઘટનામાં ઘણા લોકોનાં મોતના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે. આ ઘટનામાં પોતાનાં
પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ભારે સંવેદના વ્યક્ત કરુ છું. હું ઘાયલોને
જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ઘાયલોનાં સ્વજનો તેમના પરિચિતોની ખબરઅંતર પૂછવા
હોસ્પિટલ પહોંચ્યાં હતાં. આ પછી ત્યાં લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.