• Home
  • News
  • રાજીવ ગાંધીની હત્યાના દોષિતોને મુક્તિ:સુપ્રીમ કોર્ટનો આદેશ, નલિની-રવિચંદ્રન સહિત 6 દોષિતને આજીવન કેદની સજા હતી
post

નલિની અને રવિચંદ્રન બંનેએ 30 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-11 16:39:45

રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 દોષિતને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેમાં નલિની અને આરોપી રવિચંદ્રનનો સમાવેશ થાય છે. આ તમામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.18 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, બાકીના દોષિતોએ પણ આ જ આદેશને ટાંકીને કોર્ટ પાસેથી મુક્તિની માગ કરી હતી. નલિની અને રવિચંદ્રન બંનેએ 30 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યાં છે.

સોનિયાએ દોષિત નલિનીને માફ કરી દીધી હતી
જ્યારે નલિનીની રાજીવ ગાંધીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તે ગર્ભવતી હતી. તેની પ્રેગ્નન્સીના 2 મહિના થયા હતા. ત્યારે સોનિયા ગાંધીએ નલિનીને માફ કરી હતી. તેમણે કહ્યું હતું કે નલિનીની ભૂલની સજા તેના માસૂમ બાળકને કેવી રીતે મળી શકે, જે દુનિયામાં આવ્યું જ નથી.

આ પહેલાં પણ ગુનેગારોને છોડાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા
રાજીવ ગાંધીની હત્યાના કેસમાં ટ્રાયલ કોર્ટે કાવતરામાં સામેલ 26 ગુનેગારને મૃત્યુદંડની સજા ફટકારી હતી. મે 1999માં સુપ્રીમ કોર્ટે 19 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. બચેલા સાત આરોપી(નલિની, મુરુગન ઉર્ફે શ્રીહરન, સંથન અને પેરારીવલન)ને મૃત્યુદંડ આપ્યો અને બાકી (રવિચંદ્રન, રોબર્ટ પાયસ અને જયકુમાર)ને ઉંમર કેદ. ચારેયની દયાની અરજી પર તામિલનાડુના રાજ્યપાલે નલિનીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી, બાકીના આરોપીઓની દયાની અરજી રાષ્ટ્રપતિએ 2011માં ફગાવી દીધી હતી.

રાજીવ ગાંધીની એક ચૂંટણી રેલીમાં હત્યા કરવામાં આવી હતી
રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી રેલી દરમિયાન ધનુ નામના આત્મઘાતી હુમલાખોર દ્વારા હત્યા કરવામાં આવી હતી. હુમલાખોર મહિલા આતંકવાદી ધનુ (તેનમોજી રાજરત્નમ)એ રાજીવને ફૂલનો હાર પહેરાવ્યા બાદ તેમના પગને સ્પર્શ કર્યો અને નીચે ઝૂકીને કમર પર બાંધેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ કર્યો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘણા લોકોના ટુકડા થઈ ગયા હતા. રાજીવ અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન હતા
1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં ત્રણ ચતુર્થાંશ બેઠકો જીતવામાં સફળ રહી હતી. એ સમયે કોંગ્રેસે 533માંથી 414 બેઠક જીતી હતી. રાજીવ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ માત્ર 40 વર્ષના હતા. તેઓ દેશના સૌથી યુવા વડાપ્રધાન હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શાળાઓમાં કોમ્પ્યુટર લગાવવાની વ્યાપક યોજના બનાવી હતી. જવાહર નવોદય વિદ્યાલયની સ્થાપના રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. પીસીઓ દ્વારા ગામડે ગામડે ટેલિફોન પહોંચ્યો.

adv

Related News

post
post
post
post
post
post
post