ખેડૂત લાંબા સમય સુધી સંઘર્ષ કરવા તૈયારી કરવા લાગ્યા
કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂત
આંદોલનને 79 દિવસ
થઈ ગયા છે, પરંતુ
હજી સુધી એનો કોઈ ઉકેલ દેખાતો નથી. બીકેયુના પ્રવક્તા રાકેશ ટિકૈતે શુક્રવારે કૃષિ
કાયદા પાછા ખેંચવાની માગ દોહરાવતા કેન્દ્ર સરકારને આડે હાથે લીધી હતી. હરિયાણામાં
બહાદુરગઢમાં કિસાન મહાપંચાયતમાં તેમણે કહ્યું હતું કે દેશભરમાં રેલી કાઢશે. ગુજરાત
જઈને તેને આઝાદ કરાશે. ગુજરાત કેન્દ્રના અંકુશમાં છે. ભારત આઝાદ છે, પણ ગુજરાતના લોકો કેદમાં છે. જો
તેઓ આંદોલનમાં સામેલ થવા માગે તો તેમને જેલમાં મોકલવામાં આવે છે. તેઓ કૃષિ કાયદા
પાછા ખેંચાયા પછી ઘરે પરત જશે. સિંધુ બોર્ડર તેમની ઓફિસ બની રહેશે. જો સરકાર વાત
કરવા માગે તો તેઓ તૈયાર છે. રાહુલ ગાંધીના અમે બે અમારા બેના નિવેદન સાથે ટિકૈતે
સંમતિ દર્શાવી હતી.
સરકાર સાથે વાતચીત કરવા માટે
હંમેશાં તૈયાર
આ
અગાઉ ટિકૈતે કહ્યું હતું કે હવે કૃષિ કાયદા પાછા ખેંચાય ત્યાર બાદ જ ઘરે પરત
ફરીશું. અમારો મંચ અને પંચ બદલાશે નહીં. સિંધુ બોર્ડર અમારી ઓફિસ બનેલી રહેશે. જો
સરકાર આજે વાત કરવા ઈચ્છે છે તોપણ તૈયાર છીએ, જો 10 દિવસ બાદ અથવા આગામી વર્ષે પણ
વાતચીત કરવા ઈચ્છે છે તો અમે તૈયાર છીએ. અમે દિલ્હીમાં કિલ્લા ઉખાડ્યા વગર પરત
ફરીશું નહીં.
અમે બે અમારા બેવાળા રાહુલના
નિવેદન સાથે પણ ટિકૈત સહમત
કોંગ્રેસનેતા
રાહુલ ગાંધીએ ગુરુવારે લોકસભામાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ટીકા કરી હતી. રાહુલે કહ્યું હતું કે દેશને ચાર
લોકો ચલાવી રહ્યા છે, અમે
બે અને અમારા બે. રાહુલના આ નિવેદન અંગે ટિકૈતે શુક્રવારે કહ્યું હતું કે ખરેખર
એવું જ લાગી રહ્યું છે કે દેશને ચાર લોકો જ ચલાવી રહ્યા છે.
ખેડૂત લાંબા સમય સુધી સંઘર્ષ કરવા
તૈયારી કરવા લાગ્યા
આકરી
ઠંડીનો સામનો કર્યા બાદ આંદોલનકારી ખેડૂતો હવે ગરમીની સીઝનને જોતાં તૈયારી શરૂ કરી
રહ્યા છે. તેમણે ટેન્ટ્સમાં પંખા લગાવવાની શરૂઆત કરી છે. આ સાથે ટેન્ટની ઊંચાઈ
વધારીને તેની અંદર વધુ એક ટેન્ટ લગાવી રહ્યા છે, જેથી ગરમીથી બચી શકાય. આ સાથે જ
ધરણાં-સ્થળો પર AC લાગેલી
ટ્રોલીઓ પણ જોવા મળી રહી છે. ખેડૂતનેતા રાકેશ ટિકૈત કહી ચૂક્યા છે કે આંદોલન
ઓછામાં ઓછું ઓક્ટોબર સુધી તો ચાલશે.