નવીનાએ ટીવી જાહેરાતો તથા કેટલીક સિરિયલમાં કામ કર્યું છે
મુંબઈ: 'તારક મહેતા કા ઉલ્ટા
ચશ્મા' સિરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલમાં પહેલાં બાવરીનો રોલ મોનિકા
ભદોરિયા પ્લે કરતી હતી. જોકે, તેણે આ શો 2019માં છોડી દીધો હતો.
ત્યારથી શોમાં બાવરી જોવા મળતી નહોતી. હવે શોમાં નવી બાવરી લેવામાં આવી છે. આ રોલ
નવીના વાડેકર પ્લે કરી રહી છે. નવીનાની શોમાં એન્ટ્રી પણ થઈ ગઈ છે.
નવીના અંગે પ્રોડ્યૂસર
અસિત મોદીએ શું કહ્યું?
અસિત મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'મારા દર્શકો મારા બોસ
છે. હું બાવરીના પાત્રમાં એક ફ્રેશ તથા ઇનોસન્ટ ચહેરો લેવા માગતો હતો. સારા નસીબે
અમારી આ રોલ માટે જેવી યુવતી જોઈતી હતી તેવી અમને મળી ગઈ. નવીનાએ શોને કમિટેડ
રહેવાનું વચન આપ્યું છે. અમારો શો ચાહકોને ઘણો જ ગમે છે અને અમારે તેમની ઈચ્છાઓ
પૂરી કરવી જોઈએ. મને વિશ્વાસ છે કે બાવરીના રોલમાં નવીનાને ચાહકો જરૂર પસંદ કરશે.
નવીનાને ખ્યાલ છે કે 'તારક મહેતા'ની પોતાની એક બ્રાન્ડ છે. અમે આ પાત્ર માટે ઘણાં જ ઓડિશન લીધા હતા અને
ત્યારબાદ નવીનાને પસંદ કરી છે. હું ચાહકોને વિનંતી કરીશ કે તેઓ નવી બાવરીને પણ
પોતાનો પ્રેમ આપે.'
કોણ છે નવીના વાડેકર?
નવીના વાડેકરની વાત કરવામાં આવે તો તે મૂળ
મહારાષ્ટ્રના થાનેની છે. તેણે મુંબઈની કે.જે. સોમૈયા કોલેજમાંથી માસ મીડિયામાં
બેચરલ કર્યું છે. બેચરલ બાદ ટેલેન્ડ મેનેજમેન્ટ એજન્સી તથા પ્રોડક્શન હાઉસમાં કામ
કરતી હતી. આ દરમિયાન તેણે ડાન્સિંગ તથા એક્ટિંગ વર્કશોપ પણ કરી હતી. તેને બાલાજી
ટેલિફિલ્મ્સમાં એપિસોડિક રોલ કરવાની તક મળી હતી.
આ સિરિયલમાં કામ કરી ચૂકી છે
નવીનાએ ટીવી જાહેરાતો તથા કેટલીક સિરિયલમાં કામ
કર્યું છે. નવીનાએ મરાઠી સિરિયલ 'તુમચી મુલગી કે કરતે'માં કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે 'ક્રાઇમ અલર્ટ'માં રિદ્ધિમાનો રોલ પ્લે કર્યો હતો.
મોનિકા ભદોરિયાએ કેમ શો
છોડ્યો હતો?
મોનિકાએ 2019માં આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. મોનિકાએ શોના પ્રોડ્યૂસર્સને પોતાની ફી
વધારવાનું કહ્યું હતું. જોકે, અસિત મોદીએ ફીમાં વધારો કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ
જ કારણે મોનિકાએ શો છોડી દીધો હતો.
જૂની 'બાવરી'ની આ લાઇન્સ ચાહકોને
ખૂબ ગમતી
શોમાં જૂની બાવરી ‘હાય હાય ગલતી સે મિસ્ટેક હો ગઈ.’ આ ઉપરાંત તે જેઠાલાલના
(દિલીપ જોષી) વિવિધ નામો પાડતી હતી અને તેમને હેરાન કરતી હતી. બાવરી તથા બાઘાનો
રોમાન્સ પણ ચાહકોને ગમતો હતો. મોનિકાએ આ શોથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.
3600થી વધુ
એપિસોડ આવી ચૂક્યા છે
'તારક
મહેતા..' સિરિયલ વર્ષ 2008માં શરૂ થઈ હતી. આ સિરિયલને 14 વર્ષ કરતાં વધુ સમય થયો છે અને
3600થી વધુ એપિસોડ આવી ચૂક્યા છે.
મરાઠીમાં આ સિરિયલ 'ગોકુલધામચી દુનિયાદારી' તથા તેલુગુમાં 'તારક મામા અય્યો રામા' પણ આવી રહી છે.