આઈસીયુ સહિતના 25થી વધુ કોવિડ દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયાં
અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ
શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી
હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત
થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે
તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો
વિષય છે. હાલમાં આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેઓએ જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ
કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે.
હોસ્પિટલના દર્દીઓને અન્ય સ્થળે ખસેડવા મધરાતે દોડાદોડ
મધરાતે હોસ્પિટલમાં આગ લાગતા
દોડાદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 8 દર્દીઓના
મોત થયા છે જ્યારે અન્ય 25 દર્દીઓને સુરક્ષિત રીતે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની
કામગીરીમાં ફાયર વિભાગની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. દુર્ઘટનાની જાણ થતા જ
મધરાત 15થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે
પોલીસની ટીમ પણ મોડી રાતથી ઘટના સ્થળ પર જ છે.
શ્રેય હોસ્પિટલ બહાર દર્દીઓના
પરિવાજનોનો આક્રોશ
શ્રેય 50 બેડવાળી કોવિડ-19 હોસ્પિટલ
છે. જ્યાં 40થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. દુર્ઘટનામાં
જે દર્દીઓના મોત થયા છે તેમના મૃતદેહોને પીએમ માટે લઈ જવાની કામગીરી શરૂ કરી
દેવામાં આવી છે. જ્યારે અન્ય દર્દીઓને SVP હોસ્પિટલમાં
ખસેડાયા છે. દર્દીઓની જાણકારી પરિવારજનોને ન આપવાના આક્ષેપ સાથે હોસ્પિટલની બહાર
પરિવારજનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.
મૃતકોના નામ અને ઉંમર
નામ |
ઉંમર |
|
આરિસ મંસૂરી |
42 |
|
નવનીત શાહ |
18 |
|
લીલાબેન શાહ |
72 |
|
નરેન્દ્ર શાહ |
51 |
|
અરવિંદ ભાવસાર |
72 |
|
જ્યોતિ સિંધી |
55 |
|
મનુભાઈ રામી |
82 |
|
ભાવિન શાહ |
51 |