નવી દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યા બાદ તેની ઈમારતનો એક તૂટી પડ્યો છે
નવી દિલ્હીઃ નવી દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં
આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યા બાદ તેની ઈમારતનો એક તૂટી પડ્યો છે. ફેક્ટરીની
આ ઈમારતના કાટમાળમાં અનેક લોકો દબાઈ ગયા છે, જેમાં ફાયર બ્રિગેડના કેટલાક
કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, તેમ પ્રાથમિક માહિતીમાં જણાવાયું
છે. ઘટના સ્થળે ઝડપભેર બચાવ કાર્યની કામગીરી જારી છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓને
બચાવવા માટે NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
પ્રાથમિક
માહિતી પ્રમાણે ગુરુવારે સવારે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આગની સૂચના મળતા જ ફાયર
બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહી હતી ત્યારે અચાનક જ ઈમારતનો એક
ભાગ એક મોટા વિષ્ફોટ સાથે ધરાસાઈ થઈ ગયો હતો. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની આશરે 30 ગાડીઓ બચાવ
કાર્યમાં જોડાયેલી છે.
દરમિયાન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે સ્થિતિ પર નજર રાખવામાં આવી
રહી છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પ્રયાસો
કરવામાં આવી રહ્યા છે. ફસાયેલા લોકો માટે પ્રાર્થના કરું છું.
આ સાથે એવી પણ
માહિતી મળી છે કે દિલ્હીના પીરાગઢી વિસ્તારમાં જે ફેક્ટરીમાં આગ લાગી હતી તે બેટરી
બનાવવાની ફેક્ટરી છે. બેટરીમાં અનેક વિષ્ફોટોને લીધે આગ લાગી ગઈ હતી અને ઈમારાતનો
કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. તેના કાટમાળમાં કેટલાક લોકો દબાઈ ગયા છે. દિલ્હી ફાયર
સર્વિસને વહેલી સવારે 4.23 વાગે આગની ઘટના અંગે માહિતી મળી
હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની 7 ગાડી આગ પર કાબુ મેળવવા મોકલવામાં
આવી હતી. આગ ઓલવતી વખતે ઈમારતમાં વિસ્ફોટ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં દિલ્હીમાં આગની સંખ્યાબંધ ઘટના
સર્જાઈ હતી,
જેમાં 100 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગયા મહિને અનાજ મંડીમાં લાગેલી આગમાં 40 કરતા વધારે લોકોના મોત થયા હતા તો 12મી ફેબ્રુઆરી,2019ના રોજ કરોલબાગ વિસ્તારમાં
ગુરુદ્વારા રોડ પર આવેલી હોટેલ અર્પિત પેલેસમાં લાગેલી આગમાં 17 લોકોના મોત થયા હતા.