• Home
  • News
  • ગઢચિરોલીમાં C-60 કમાન્ડો અને નક્સલી વચ્ચે ફાયરિંગ ચાલુ, 13 નક્સલી એન્કાઉન્ટરમાં ઠાર, 6ના શબ મળ્યા
post

6 નક્સલીઓના શબ મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર સ્થિત ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લીના કટીમાના જંગલમાંથી મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-21 11:08:54

મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં શુક્રવારે મોડી રાતે થયેલા એન્કાઉન્ટરમાં 13 નક્સલીનાં મૃત્યુ થયાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યારસુધીમાં 6 નક્સલીના શબ મળ્યા છે. ગઢચિરોલીના DIG સંદીપ પાટીલે આ વાતની પુષ્ટિ કરી છે. હાલ પણ C-60 કમાન્ડો અને નક્સલીઓની વચ્ચે અટકી-અટકીને ફાયરિંગ ચાલુ છે. પાટીલના જણાવ્યા મુજબ, 6 નક્સલીના શબ મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર સ્થિત ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લીના કટીમાના જંગલમાંથી મળ્યા છે.

પોલીસ સ્ટેશન ઉડાવવાનો નક્સલીઓએ કર્યો હતો પ્રયાસ
નક્સલીઓએ ગત મહિને ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લી તાલુકાના ગુટ્ટા પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ ફેંક્યો હતો. વિસ્ફોટ ન થવાને પગલે દુર્ઘટના ટળી ગઈ હતી. જોકે નક્સલીઓ દ્વારા પોલીસ સ્ટેશનને ઉડાવવાની કોશિશને એક મોટી ઘટના માનવામાં આવી રહી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે એ પછી C-60 કમાન્ડોએ આ કાર્યવાહી કરી છે.

બે મહિનામાં ત્રીજું એન્કાઉન્ટર

·         28 એપ્રિલઃ ગઢચિરોલી જિલ્લામાં C-60 ફોર્સ કમાન્ડોએ લગભગ 4 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં 8 લાખ રૂપિયાના બે ઈનામી નક્સલીને ઠાર કર્યા હતા.

·         26 એપ્રિલઃ નક્સલીઓએ ભારત બંધ દરમિયાન 6 ટ્રેક્ટર અને ટેન્કરમાં આગ લગાવી દીધી. આ વાહનો રોડ નિર્માણના કાર્યમાં પર્મિલી મેદપલ્લી વિસ્તારમાં લાગ્યા હતા.

·         23 એપ્રિલઃ રાતે લગભગ 12.30 વાગ્યે નક્સલીઓએ કાંકેર જિલ્લાની સીમામાંથી માત્ર 14 કિમી દૂર મહારાષ્ટ્રના જાંબિયા ગુટ્ટા પોલીસ સ્ટેશનમાં હુમલો કર્યો. પોલીસ સ્ટેશનની સામે બનેલાં મકાનોમાં લગભગ 100થી વધુ નક્સલીઓએ ફાયરિંગ કર્યું અને રોકેટ લોન્ચર છોડ્યું.

·         29 માર્ચઃ ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેન માટે એકત્રિત થયેલા નક્સલીઓની સાથેના એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલી રુસી રાવ સહિત પાંચ નક્સલી ઠાર થયા હતા.

29 માર્ચે ઠાર કર્યા હતા 5 નક્સલી
આ પહેલાં ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેન માટે એકત્રિત થયેલા નક્સલીઓની સાથે ગઢચિરોલી પોલીસની 29 માર્ચે અથડામણ થઈ હતી. એમાં કુખ્યાત નકસલી રુસી રાવ સહિત પાંચ નક્સલી ઠાર થયા હતા. આ એન્કાઉન્ટરના વિરોધમાં નક્સલીઓએ 12 એપ્રિલે ગઢચિરોલીમાં બંધ આપ્યો હતો. 12 એપ્રિલે ઘણી જગ્યાએ નક્સલીઓએ રોડ કન્સ્ટ્રક્શનમાં લાગેલાં મશીનોમાં આગ લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

કોણ હોય છે C-60 એન્ટી-નક્સલ કમાન્ડો
ગઢચિરોલી જિલ્લાની સ્થાપના પછી સમગ્ર ક્ષેત્રમાં નક્સલી ગતિવિધિઓ વધી ગઈ હતી. એની પર પ્રતિબંધ લગાવવા માટે તત્કાલીન SP કેપી રઘુવંશીએ 1 ડિસેમ્બર 1990C-60ની સ્થાપના કરી હતી. એ સમયે આ ફોર્સમાં માત્ર 60 વિશેષ કમાન્ડોની ભરતી થઈ હતી, જેથી એને આ નામ મળ્યું. નક્સલી ગતિવિધિઓને રોકવા માટે ગઢચિરોલી જિલ્લાને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ ઉત્તર વિભાગ, બીજો દક્ષિણ વિભાગ.

પ્રશાસનિક કામકાજ પણ કરે છે C-60 કમાન્ડો
આ કમાન્ડોને વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તેમને દિવસ-રાત કોઈપણ સમયે કાર્યવાહી કરવા માટે ટ્રેન કરવામાં આવે છે. તેમની ટ્રેનિંગ હૈદરાબાદ, NSG કેમ્પ મનેસર, કાંકેર, હજારીબાદમાં થાય છે. નક્સલવિરોધી અભિયાન સિવાય આ જવાન નક્સલીઓના પરિવાર, સંબંધીઓને મળીને તેમને સરકારની યોજનાઓ વિશે જાણ કરીને તેમને સમાજની મુખ્યધારામાં જોડવાનું કામ પણ કરે છે. નક્સલી વિસ્તારોમાં પ્રશાસનિક સમસ્યાઓની માહિતી પણ એકત્રિત કરે છે.

2019માં નક્સલી હુમલામાં 15 જવાન શહીદ થયા હતા
આ પહેલાં 3 મે 2019ના રોજ 100થી વધુ નક્સલીઓએ આવો જ એક હુમલો કર્યો હતો. ગઢચિરોલીમાં થયેલા આઈઈડી બ્લાસ્ટમાં 15 QRT જવાન શહીદ થયા હતા. આ હુમલાનો માસ્ટર માઈન્ડ ઉત્તરી ગઢચિરોલીનો સીપીઆઈ(માઓવાદી) કમાન્ડર ભાસ્કર હોવાનું કહેવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post