અધિકારીએ કહ્યું કે ટ્રસ્ટ અચલ સંપત્તિ સહિત કોઇપણ પ્રકારની શરત વગર કોઇપણ વ્યક્તિ પાસેથી કોઇપણ રીતે દાન, અનુદાન, અંશદાન, યોગદાન લઇ શકે છે
કેન્દ્ર સરકારે અયોધ્યામાં ‘વિશાળ અને ભવ્ય’ રામ મંદિરના નિર્માણ માટે બુધવારના રોજ 15 સભ્યોના એક સ્વતંત્ર ટ્રસ્ટની રચના કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના ત્રણ મહિનાની સમય મર્યાદા ખત્મ થવાના ચાર દિવસ પહેલાં લોકસભામાં તેની જાહેરાત કરી. ત્યારબાદ ટ્રસ્ટને કેન્દ્રની તરફથી 1 રૂપિયાનું રોકડ દાન પણ મળ્યું જે ટ્રસ્ટને પહેલું દાન મળ્યું છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે રચિત ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ને પહેલાં દાન તરીકે 1 રૂપિયા રોકડ મળી જેથી કરીને ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની દિશામાં કામ શરૂ કરી શકે. કેન્દ્ર સરકારની તરફથી આ દાન ટ્રસ્ટને ગૃહ મંત્રાલયમાં અવર સચિવ ડી.મુર્મુએ આપ્યું. અધિકારીએ કહ્યું કે ટ્રસ્ટ અચલ સંપત્તિ સહિત કોઇપણ પ્રકારની શરત વગર કોઇપણ વ્યક્તિ પાસેથી કોઇપણ રીતે દાન, અનુદાન, અંશદાન, યોગદાન લઇ શકે છે.
શરૂઆતમાં તો ટ્રસ્ટ વરિષ્ઠ અધિવકત્તા કે.પરાસરણના ઘરેથી કામ કરશે, પરંતુ બાદમાં તેમનું સ્થાયી કાર્યાલય ખોલવામાં આવશે. આ ટ્રસ્ટની પાસે રામ મંદિર નિર્માણ અને તેની સાથે જોડાયેલા વિષયો પર સ્વતંત્ર રીતે નિર્ણય કરવાનો અધિકાર હશે. ટ્રસ્ટનું રજીસ્ટ્રર્ડ કાર્યાલય દિલ્હીમાં હશે.
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરીના થોડાંક સમય બાદ મોદીએ રામ મંદિર નિર્માણની ‘વૃહદ યોજના’ અને તેના માટે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ નામના ટ્રસ્ટની રચનાની લોકસભામાં માહિતી આપી. મોદીએ કહ્યું કે મંત્રીમંડળનો નિર્ણય રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં ગઇ 9મી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા તરીકે છે.
સુપ્રીમ કોર્ટે લાંબા સમયથી પેન્ડિંગ આ ધાર્મિક મુદ્દાનું સમાધાન કરતાં અયોધ્યામાં સંબંધિત સ્થળ પર રામ મંદિર નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરી દીધો હતો અને કેન્દ્રને તેના માટે ટ્રસ્ટ નિર્માણ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની ત્રણ મહિનાની સમયમર્યાદા ચાર દિવસ બાદ ખત્મ થવાની હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશના આધાર પર મારી સરકારે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર વિશાળ અને ભવ્ય રામ મંદિર નિર્માણ માટે એક વૃહદ યોજનાને આજે સ્વીકૃતિ આપી દીધી છે અને તેના નિર્માણનું કામ જોવા માટે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ નામથી એક ટ્રસ્ટની રચના કરી છે.
વિમલેન્દ્ર મોહનને સોંપ્યો રિસીવરનો પ્રભાર :
ફૈજાબાદના કમિશ્નર એમ.પી.અગ્રવાલે અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળના રિસીવરનો પ્રભાર રામ મંદિર નિર્માણ માટે નવરચિત ટ્રસ્ટના એક સભ્યને બુધવારના રોજ સોંપી દીધું. અયોધ્યા કેસમાં નિર્ણય આવવા પહેલાં સુધી આ સ્થળની સુરક્ષા અને અહીં યથાસ્થિતિ બનાવી રાખવાની જવાબદારી ફૈજાબાદના કમિશ્નરની હતી. રિસવીરનો પ્રભાર અયોધ્યાનાથી ટ્રસ્ટના સભ્ય વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાને સોંપાયું. સુપ્રીમ કોર્ટે 24 ઑક્ટોબર 1994ના રોજ ફૈજાબાદ કમિશ્નરને સ્થળના રિસીવર બનાવ્યા હતા.