આ ચક્રવાતને કારણે સૌથી વધુ વરસાદ જાલોરમાં થયો છે
જયપુર: બિપરજોય વાવાઝોડાને કારણે રાજસ્થાનમાં ભારે વરસાદ ચાલુ છે.
જયપુર હવામાન કેન્દ્રે સોમવારે સવાઈ માધોપુર, બુંદી જિલ્લામાં ભારેથી
અતિભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે કોટા, કરૌલી, બારાં, ભીલવાડા અને ટોંકમાં
ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક
જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. ઘણી જગ્યાએ 300 મિમી, એટલે કે 12 ઈંચ સુધીનો વરસાદ
નોંધાયો હતો. પાલી, જાલોર, બાડમેર અને સિરોહીમાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં પૂર અને વરસાદને કારણે
અત્યારસુધીમાં 7 લોકોનાં મોત થયાં છે. રાજસ્થાનમાં ચક્રવાતી વાવાઝોડું બિપરજોયને કારણે ભારે
વરસાદ અને પૂરથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. પાલીમાં રવિવારે રાત્રે પાણીમાં તણાઈ
જવાથી બે લોકોનાં મોત થયાં હતાં.
પાલીના અલવરમાં રહેતો 37 વર્ષીય મનોજ યાદવ
સ્કોર્પિયોમાં જઈ રહ્યો હતો. ફાલના પોલીસ સ્ટેશન વિસ્તારના બેદલ ગામ પાસે રસ્તા પર
વહેતા વરસાદના પાણીમાં તેની કાર તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ડૂબી જવાથી તેનું મોત
થયું હતું. રેસ્ક્યૂ કર્યા બાદ મૃતદેહ અને વાહનને પણ બહાર કાઢવામાં આવ્યાં છે. એવી
જ રીતે ફાલનાના શિવાજીનગરમાં રહેતા 50 વર્ષીય પકારામનો પુત્ર
જેકારામ જોગી તેના ઘરની નજીકના નાળામાં તણાઈ ગયો હતો.
છેલ્લા ત્રણ દિવસમાં આ
દુર્ઘટનાને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે 4 લોકોનું ડૂબી જવાથી અને
શિલા નીચે દટાઈ જવાથી 17 જૂને એક વ્યક્તિનું મોત થયું હતું.
18 ઈંચ
વરસાદે તબાહી મચાવી હતી
આ ચક્રવાતને કારણે સૌથી વધુ વરસાદ જાલોરમાં થયો છે. 36 કલાક દરમિયાન (17મી જૂનના રોજ સવારે 8:30 વાગ્યાથી 18મી જૂને રાત્રે 8:30 વાગ્યા સુધી) 456MM એટલે કે 18 ઈંચ વરસાદ પડ્યો છે. તેવી જ
રીતે આહોર (જાલોર)માં 471MM, ભીનમાલમાં 217MM, રાણીવાડામાં 322MM, ચિતલવાના 338MM, સાંચોરમાં 296MM, જસવંતપુરામાં 332MM, બગોડામાં 310MM અને સાયલામાં 411 મિમી વરસાદ નોંધાયો હતો. જેના
કારણે જાલોરમાં સ્થિતિ બેકાબૂ બની હતી. એનડીઆરએફ-એસડીઆરએફની મદદથી હજારો લોકોને
સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા.