રઘુરામ રાજને મોદી સરકારને ચેતવી, અર્થતંત્ર વધુ કથળશે
દેશના
કથળી રહેલા અર્થતંત્ર અંગે રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એવી ચેતવણી
સાથે મોદી સરકારને સલાહ આપી છે કે હાલ સ્થિતિને સંભાળવામાં નહીં આવે તો ભારતીય
અર્થતંત્ર વધુ ખરાબ સ્થિતિમાં મુકાઇ શકે છે. રાજને કહ્યું કે વર્ષ 2020-21ના પ્રથમ
ત્રિમાસિકગાળાના જીડીપીના આંકડા અર્થતંત્રની તબાહીનો એલાર્મ છે. તેથી સરકારે એલર્ટ
થઇ જવું જોઇએ. તેમણે આ સૂચનો તેમના લિન્ક્ડઇન પેજ પર એક પોસ્ટમાં કર્યા છે.
તેમણે
કહ્યું કે શરૂમાં જે પ્રવૃત્તિઓ એકદમ ઝડપથી વધી હતી તે હવે પાછી ઠંડી પડી ગઇ છે.
ભારતમાં જીડીપી 23.9
ટકા
ગગડ્યો છે. બિનસંગઠિત ક્ષેત્રના આંકડા આવ્યા બાદ આ ઘટાડો હજુ વધી શકે છે. રાજન હાલ
શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમણે એમ પણ કહ્યું કે જીડીપીના આટલા ખરાબ
આંકડાની એક સારી વાત એ હોઇ શકે છે કે અધિકારીઓ હવે આત્મસંતોષની સ્થિતિમાંથી બહાર
આવશે અને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સરકારની રણનીતિ આત્મઘાતી, રાહત પેકેજ વધારે
રાજને
કહ્યું કે સરકાર ભવિષ્યમાં પ્રોત્સાહન પેકજ આપવા માટે સંસાધનો બચાવવાની રણનીતિ
અપનાવી રહી છે,
જે
આત્મઘાતી છે. સરકાર એમ વિચારે છે કે કોરોના પર કાબૂ મેળવ્યા બાદ રાહત પેકેજ આપીશું, પણ તે સ્થિતિની
ગંભીરતાને ઓછી આંકી રહી છે. ત્યાં સુધીમાં અર્થતંત્રને ઘણું નુકસાન થઇ ચૂક્યું
હશે.