2018માં એર ઈન્ડિયાનો 76 ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ હતો, તે માટે કોઈ તૈયાર નહતું થયું
નવી દિલ્હી: દેવામાં ડુબેલી એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવા માટે સરકારે 17 માર્ચ સુધી અરજીઓ મંગાવી છે. યોગ્ય રીતે ટેન્ડર્સ ભરનાર લોકોની માહિતી 31 માર્ચે આપવામાં આવશે. સરકારે સોમવારે બીડિંગના દસ્તાવેજ જાહેર કર્યા છે. આ દસ્તાવેજ પ્રમાણે જે કંપની એર ઈન્ડિયા ખરીદશે તેને કંપનીનો મેનેજમેન્ટ કંટ્રોલ પણ સોંપવામાં આવશે.
એર ઈન્ડિયા એક્સપ્રેસના પણ 100 ટકા શેર વેચવામાં આવશે. આ એર ઈન્ડિયાની સબ્સિડિયર છે, જે સસ્તી એરલાઈન્સ કંપનીનું પણ સંચાલન કરે છે. જોઈન્ટ વેન્ચર AISATSનો પણ 50 ટકા હિસ્સો વેચવાની યોજના છે. AISATS, એર ઈન્ડિયા અને એસએટીએસ લિમિટેડ વચ્ચે 50-50 ટકાની ભાગીદારી છે. એરપોર્ટ પર ઈન્ટરનેશનલ લેવલની સુવિધા આપવાના હેતુથી આ વેન્ચરની શરૂઆત કરવામાં આવી હતી.
2018માં હરાજી પ્રક્રિયા નિષ્ફળ રહી, તેથી સરકારે શરતો સરળ કરી
હરાજી પ્રક્રિયાના દસ્તાવેજો પ્રમાણે ખરીદનારને એર ઈન્ડિયાની માત્ર રૂ. 23,286.5 કરોડના દેવાની જવાબદારી લેવી પડશે. એરલાઈન્સ પર કુલ રૂ. 60,074 કરોડનું દેવુ છે. એર ઈન્ડિયાને વેચવા માટે આ વર્ષનો બીજો પ્રયત્ન છે. 2018માં પણ સરકારે 76 ટકા શેર વેચવા માટે અરજી મંગાવી હતી, પરંતુ ત્યારે કોઈ ખરીદનાર નહતું મળ્યું. તેથી શરતો સરળ કરવામાં આવી છે. 2018ની શરતો પ્રમાણે ખરીદનારને કુલ 33,392 કરોડના દેવાની જવાબદારી લેવાની હતી.
એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ, એર ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ સર્વિસ, એરલાઈન્સ એલાઈડ સર્વિસ અને હોટલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એક અલગ કંપની- એર ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવશે. તે વેચાણમાં સામેલ નહીં થાય.
એર ઈન્ડિયાના કર્મચારી સંગઠન આજે બેઠક કરશે
ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એર ઈન્ડિયાને વેચવાની સરકારની યોજના પર તર્ચા માટે કર્મચારી સંગઠન બેઠક કરશે. એર ઈન્ડિયાના કર્મચારીઓના અંદાજે 12 સંગઠન છે.
7 જાન્યુઆરીએ મંત્રી સમૂહે હરાજી પ્રક્રિયાના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી
આ પહેલાં ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતા વાળા મંત્રી સમૂહ (જીઓએમ)એ એર ઈન્ડિયાને વેચવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ આ મહિને જ જાહેર કરવાની જાહેરાત કરી હતી. મંત્રી સમૂહે આ ડ્રાફ્ટને 7 જાન્યુઆરીએ મંજૂરી આપી દીધી હતી. એર ઈન્ડિયા ઘણાં વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. 2018-19માં 8,556.35 કરોડનું નુકસાન થયું હતું. એલાઈન્સપર 50,000 કરોડ કરતા પણ વધારે દેવું છે.