• Home
  • News
  • ઇસ્કોન બ્રિજ અકસ્માતથી HC પરેશાન:નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે, બન્ને કમિશનર સામે ચાર્જ ફ્રેમ કેમ નહીં, સરકારની ઈચ્છાશક્તિ હોય તો ઘણુંબધું થઈ શકેઃ હાઇકોર્ટ
post

નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાંની જરૂર

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-25 20:20:43

આજે હાઇકોર્ટમાં રોડ-રસ્તા અને ટ્રાફિક મુદ્દે ચાલતી સુનાવણીમાં જ્યારે સરકારને રિપોર્ટ રજૂ કરવાનો હતો ત્યારે અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગોઝારા અકસ્માતમાં કુલ 10 લોકોનાં મોતની ગંભીર નોંધ લઈ સરકારની ઝાટકણી કાઢી હતી. એમાં હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે, બન્ને કમિશનર સામે ચાર્જ ફ્રેમ કેમ નહીં, સરકારની ઈચ્છાશક્તિ હોય તો ઘણુંબધું થઈ શકે છે.

સ્ટંટ રોકવા શું પગલાં લેવાઈ રહ્યાં છે?
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે રોડ-રસ્તા પર થતા સ્ટંટ રોકવા શું પગલાં લેવાઈ રહ્યાં છે?, કાયદાનો ડર બેસાડવો એ સરકારનું કામ છે. કોર્ટ હવે પરેશાન થઈ ચૂકી છે. અમે તમને પૂરતો સમય આપી ચૂક્યા છીએ. વર્ષ 2006, 2018 અને હવે 2023 આવી ચૂક્યું છે. આટલાં વર્ષો બાદ પણ કોઈ પગલાં લેવાયાં નથી. ટ્રાફિક અને મનપા કમિશનરને બપોરે 2.30 વાગ્યે કોર્ટમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

આરોપીઓને કાયદાનો ડર નથી
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજી પર આજે જજ એ.એસ.સુપેહિઆ અને એમ.આર. મેંગડેની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા વધુ સમય માગ્યો હતો, જેને કોર્ટે આપવા ઇનકારર કર્યો હતો. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે તમે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે કયાં પગલાં લીધાં છે? તમને ખબર છે ઈસ્કોન બ્રિજ અકસ્માત પાછળનું મૂળ કારણ શું છે? આરોપીઓને કાયદાનો ડર નથી. તમારે કાયદાનો અમલ કરાવવો નથી. તમે CCTV કેમેરાની વાત કરી હતી. આ એક્સિડન્ટમાં સાબિત થયું છે કે ત્યાં CCTV કેમેરા નહોતા.

મુંબઇ-દિલ્હીમાં લોકો ટ્રાફિકના નિયમો કડક રીતે પાળે છે
મુંબઇ-દિલ્હીમાં લોકો ટ્રાફિકના નિયમો કડક રીતે પાળે છે. અમદાવાદમાં પોલીસકર્મચારી ચૂપચાપ રોડ ઉપર ઊભા રહે છે. આ કોર્ટે પર્સનલી જોયું છે. ટ્રાફિક-પોલીસ કશુ કરતી નથી, તે પોતાની આંખો બંધ રાખે છે. કોર્ટ શા માટે જવાબદાર અધિકારીઓ સામે આરોપ ઘડવાની કાર્યવાહી ન કરે? કાયદાનો ડર લોકોમાં હોવો જોઈએ. ઇ-ચલણ તો ચાર રસ્તે ટ્રાફિક નિયમો તોડતા લોકો માટે છે, અન્ય રસ્તા પર શું?

પોલીસે સખત બનવું પડશે
નોઈડા, પુણે, બેંગલુરુ જેવી જગ્યાએ રોડ પર કાંટા લગાવવામાં આવે છે, જેથી કરીને વાહન રોંગ સાઈડમાં કે પાછળ જઈ શકે નહીં. તમે કેમ એવી વ્યવસ્થા નથી કરતા? સમય આવી ગયો છે કે પોલીસે સખત બનવું પડશે, નહીંતર ઇસ્કોન બ્રિજ જેવા અકસ્માત બન્યે જ રાખશે. રાત્રે શહેરના રોડ પર પોલીસ પેટ્રોલિંગ થતું નથી. રોડ ઉપર લોકો સ્ટંટ કરે છે. આપણે આપણાં બાળકો માટે કામ કરવાનું છે.

પાર્ટીપ્લોટ, મોલ્સ, સિનેમા પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ
સરકારી વકીલે કહ્યું હતું કે અકસ્માતમાં 140 કિલોમીટરની ઝડપે ઇસ્કોન બ્રિજ ઉપર ગાડી ચાલતી હતી. જ્યાં 60-80ની સ્પીડ લિમિટ છે. કોર્ટે કહ્યું હતું કે એટલું જ નહીં, લોકો દારૂ પીને ગાડી ચલાવે છે. સરકારી વકીલે કહ્યું હતું કે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં રોડ ઉપર આટલું મોટું ટોળું કારચાલકને દેખાયું નહીં? કોર્ટે કહ્યું હતું કે ઇ-ચલણથી આવા અકસ્માત ટાળી શકાય નહીં. પાર્કિંગ સ્પેસનો ઉપયોગ અન્ય કાર્ય માટે થઈ રહ્યો છે. ફૂટપાથ જનરલ પબ્લિકની માલિકીની છે. એની પર દબાણ થાય છે. એનો પ્રાઇવેટ ઉપયોગ ન કરી શકાય. ટ્રાફિકના ફ્રી ફ્લો અને રાહદારીઓને રસ્તાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. ફૂટપાથ પર થતું દબાણ અટકાવવું જોઈએ. પાર્ટીપ્લોટ, મોલ્સ, સિનેમા વગેરે પાસે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ.

કોર્ટ હવે કંટાળી ગઈ છે
કોર્ટ મ્યુનિસિપલ કમિશનર અને ટ્રાફિક-પોલીસ કમિશનર સામે પગલાં લેશે. કોર્ટ સમક્ષ સરકારી વકીલે દલીલ કરી હતી કે નાગરિકોમાં સિવિક સેન્સ નથી. આ મારું શહેર છે એવું લોકોએ સમજવું પડશે. કોર્ટે કહ્યું હતું કે નિયમોના અમલ માટે પગલાં કોણ લેશે? કોર્ટ હવે કંટાળી ગઈ છે. કોર્ટે ઓથોરિટીને પગલાં ભરવા પૂરતો સમય આપ્યો છે. 2006થી આ મુદ્દાઓ ત્યાંના ત્યાં જ છે,. કેમ કે જવાબદાર ઓથોરિટી પગલાં નથી લેતી.

જજે પોતાનો અનુભવ જણાવ્યો
સરકારી વકીલે 1 મહિનો શહેરમાં ચાલનારી પોલીસ ડ્રાઇવ વિશે કોર્ટને માહિતગાર કર્યા હતા. જોકે કોર્ટે કહ્યું હતું કે આ થોડા દિવસ જ ચાલશે, પછી શું? ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં જેનાં બાળકો મર્યાં છે તેઓ આજીવન આ દર્દને ભૂલી નહીં શકે. સરકારી વકીલે કહ્યું હતું કે ઓથોરિટીએ પાર્કિંગ બનાવ્યા છે, જેનો લોકો ઉપયોગ કરતા નથી. પોલીસ સવારે 7થી રાતના 9 સુધી રોડ ઉપર રહે છે. જજ એ.એસ. સુપેહિઆએ પોતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે તેઓ સત્તાધાર ક્રોસ રોડ પર પોતાની ગાડી લઈને ઊભા હતા. ત્યાં એક દ્વિચક્રી વાહનચાલક લાલ સિગ્નલ તોડીને તેમની ગાડી સામે આવીને ઊભો રહી જાય છે. તેના વાહનની નંબર પ્લેટ પણ બેન્ડ હતી. પોલીસ મૂકપ્રેક્ષક બનીને એ જોઈ રહે છે.

શું લોકોની જિંદગીની કિંમત પાંચ લાખ રૂપિયા જ છે?
આ સમયે અરજદાર વકીલ અમિત પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં માર્યા ગયેલા મૃતકોના પરિવારને વળતર જાહેર કરાયું છે. શું લોકોની જિંદગીની કિંમત પાંચ લાખ રૂપિયા જ છે? અમે વળતર આપવાના વિરોધમાં નથી, પણ વળતર આરોપીની સંપત્તિમાંથી અપાવવું જોઈએ. મુંબઈ અને દિલ્હીમાં ટ્રાફિકના કડક નિયમ પાલનને લઈને કોર્ટે અમદાવાદ પોલીસને ત્યાં જઈને ટ્રેનિંગ લેવા કહ્યું હતું. સાથે જ ટકોર કરી હતી કે હવે ટ્રાફિક નિયમ તોડનારને ગુલાબ આપવાનું બંધ કરો. સરકારી વકીલે જણાવ્યું હતું કે છેલ્લાં 15 વર્ષમાં અમદાવાદ ત્રણ ગણું વિસ્તર્યું છે. જ્યારે પોલીસ સ્ટાફ એટલો જ છે. ત્યારે અરજદાર વકીલ અમિત પંચાલે જણાવ્યું હતું કે સામે કાયદાનું વાયોલેશન પણ 6 ગણું વધ્યું છે. વળી, સરકાર ગેરકાયદે બાંધકામોને મંજૂરી આપી રહી છે.

નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાંની જરૂર
કોર્ટની ગત સુનાવણીના હુકમ સંદર્ભે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ અમદાવાદના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા મુદ્દે ફોટા સાથે અહેવાલ ફાઇલ કર્યો છે, જેમાં સાબિત થયું છે કે રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ થાય છે. કોર્ટે અગાઉ આપેલા નિર્દેશોનું ઓથોરિટી પાલન કરતી નથી. ચાની કીટલીઓ અને પાન પાર્લરોએ રોડ અને ફૂટપાથ પર દબાણ કર્યા છે. આ દબાણો સત્વર દૂર થવાં જોઈએ. સમયાંતરે એનો સરવે થવો જોઈએ. બધા નાગરિકો ટ્રાફિક નિયમો તોડતા નથી, પણ કેટલાક લોકો તેનું ઉલ્લંઘન કરે છે તેમની સામે કડક પગલાંની જરૂર છે.

કોર્ટે વધુ સુનાવણી 9 ઓગસ્ટે નક્કી કરી
આ મુદ્દે કોર્ટે ટ્રાફિક-પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને આજે બપોરે કોર્ટમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું, પરંતુ સરકારી વકીલ કાયદાના કડક અમલની ખાતરી આપતાં કોર્ટે વધુ સુનાવણી 9 ઓગસ્ટે નક્કી કરી છે. સરકારે જણાવ્યું હતું કે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ આપેલા રિપોર્ટ પ્રમાણે સી.જી. રોડ, એસ.જી. હાઇવે, જજીસ બંગલો રોડ અને નારણપુરાથી હાઇકોર્ટ તરફના રોડ પર પહેલા ટ્રાફિક નિયમોની કડક અમલવારી શરૂ થશે. જજે અરજદારને ખાતરી આપી હતી કે તેઓ જાતે ગાડી ચલાવે છે, જેથી તેઓ જાતે ઓથોરિટી દ્વારા ટ્રાફિક નિયમોની અમલવારી જોશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post