અમરાઈવાડી જોગેશ્વરી રોડ પર બાગેફીરદોશ પોલીસ લાઈન પાસે ગુરુવારે રાતના 9 વાગ્યાની આસપાસ બુટલેગરોએ એલઆરડી જવાન અને હોમગાર્ડ પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતાં હોમગાર્ડ જવાનનું મોત નીપજ્યું હતું
અમદાવાદ: અમરાઈવાડી જોગેશ્વરી રોડ પર બાગેફીરદોશ પોલીસ લાઈન પાસે
ગુરુવારે રાતના 9 વાગ્યાની આસપાસ
બુટલેગરોએ એલઆરડી જવાન અને હોમગાર્ડ પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતાં હોમગાર્ડ
જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે એલઆરડીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો
છે.
મળતી માહિતી અનુસાર, હાટકેશ્વર જોગેશ્વરી રોડ પર બાગેફીરદોશ પોલીસ લાઈનની નજીક
હોમગાર્ડ જવાન રવિ બાલકૃષ્ણ પટેલ તથા એલઆરડી બળવંતસિંહ ભડારીયા પસાર થઈ રહ્યા હતા
ત્યારે એક બુટલેગર અને તેના માણસોએ બંનેને ઘેરી લીધા હતા. ત્યારબાદ બુટલેગરે
તીક્ષણ હથિયાર વડે બંને પર હુમલો કર્યો હતો. જેને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ
હુમલામાં હોમગાર્ડ જવાન રવિ પટેલ તથા બળવંતસિંહ ભડારીયા બંનેને સ્થાનિક લોકોએ
હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિ પટેલનું મોત નીપજ્યું હતું.
જ્યારે બળવંતસિંહ ભડારીયાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં અમરાઈવાડી
પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. હુમલાખોર બુટલેગરની ધરપકડ કરી હોવાનું
સૂત્રો પાસેથી જાણવા મળે છે. પોલીસ સૂત્રોમાં ચાલતી ચર્ચા પ્રમાણે કોઈ નાણાકીય
લેતી-દેતીના મામલે હત્યા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે સત્તાવાર રીતે
આ બાબતને પોલીસે હજુ સમર્થન આપ્યું નથી.