પ્રિતેશભાઈના મિત્ર કેતન ચુનારાએ જણાવ્યું હતું કે પ્રિતેશભાઈએ ગઈકાલે રાત્રે મમ્મીને મેસેજ કર્યો હતો કે આવતીકાલે સવારે ઘરે આવજો, જમવા જવાનું છે
વડોદરા: વડોદરા શહેરના ડભોઈ-વાઘોડિયા
રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળતાં ચકચાર
મચી ગઈ છે. પ્રિતેશભાઈએ પહેલા પત્ની અને પુત્રનું ઓશીકાથી મોઢું દબાવી હત્યા કરી
નાખી હતી અને પછી પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ
ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
એસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, કોઈની સામે આક્ષેપો કર્યાં
નથી, પણ દેવું વધારે હતું. તેઓએ ક્યાં ક્યાંથી લોન લીધી હતી, તેની તપાસ શરૂ કરી છે. મૃતદેહોને
પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.
દીવાલ પર લખ્યું: અમે મરજીથી આપઘાત કરીએ છીએ
પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.એ.ગોહિલે જણાવ્યું
હતું કે અમે અમારીથી મરજીથી આપઘાત કરીએ છીએ, આમાં કોઈ જવાબદાર નથી, એમ ઘરની દીવાલ પર લખ્યું છે. માતાએ સવારે આવીને જોયું
તો માતા રડવા લાગી અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
પ્રિતેશભાઈને દેવું થઈ ગયું હતું
મળતી માહિતી પ્રમાણે, પ્રિતેશભાઈએ બેંકોમાંથી લોન લીધી હતી અને ખૂબ જ દેવું
થઈ ગયું હતું. દેવું થઈ જતાં પ્રિતેશભાઈએ પરિવાર સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું
જાણવા મળ્યું છે.
પરિવારજનોએ આક્રંદ કર્યું
દર્શનમ ઉપવન ડુપ્લેક્સના મકાન નં- A-3, 102માં રહેતા પ્રિતેશભાઈ
પ્રતાપભાઈ મિસ્ત્રી(ઉં.30) શેરબજારનું કામ કરતા હતા. તેઓ 7 વર્ષના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતા હતા. આજે
સવારે પ્રિતેશભાઈ, તેમના પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઈ મિસ્ત્રી(ઉં.32) અને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ મિસ્ત્રી (ઉં.07)ના ઘરમાંથી મૃતદેહો મળ્યા
હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પહોંચી ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી. ઘટનાને
પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે, પ્રિતેશભાઈનો પરિવાર છેલ્લા
ઘણા સમયથી ઘરની બહાર દેખાતો નહોતો.
માતા જ્યારે ઘરે પહોંચ્યાં ત્યારે મૃતદેહો
જોયા
પ્રિતેશભાઈના મિત્ર કેતન ચુનારાએ જણાવ્યું હતું કે પ્રિતેશભાઈએ
ગઈકાલે રાત્રે મમ્મીને મેસેજ કર્યો હતો કે આવતીકાલે સવારે ઘરે આવજો, જમવા જવાનું છે. સવારે જ્યારે તેમનાં મમ્મી
તેમના ઘરે ગયાં ત્યારે પ્રિતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા અને તેમના
પત્ની અને પુત્રના મૃતદેહો પલંગ ઉપર પડ્યા હતા.
બે દિવસ પહેલાં પુત્રની હત્યા કરી પિતાએ
આપઘાત કર્યો હતો
જોકે, બે દિવસ પહેલાં અન્ય એક ઘટનામાં વડોદરાના બાપોદ ગામ વુડાના મકાનમાં પિતા-પુત્રની
રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. પિતા
પરેશભાઈ સીકલીગરે પોતાના પુત્ર ચાર્મિસને ગળેફાંસો આપી બાજુની રૂમમાં જઈ પોતે પણ
ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્યાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં તેનો ઉલ્લેખ હોવાને કારણે
પોલીસે તપાસ હાથ ધરી હતી. બાપોદ પોલીસે હત્યાને આત્મહત્યાની દુષ્પપ્રેરણાનો ગુનો
દાખલ કરી વધુ તપાસ કરી રહી છે.
પત્નીના ત્રાસથી પતિનો આપઘાત
દંપતીના 10થી 12 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. પત્નીના
ત્રાસથી પતિએ આપઘાત કર્યો હતો. પરેશભાઈએ પ્રથમ ચાદરથી પુત્રને ગળેફાંસો આપ્યો હતો
અને પછી પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પાડોશીઓને આ અંગે જાણ થતાં પોલીસ
કંટ્રોલમાં જાણ કરી હતી. જેથી પોલીસ દોડી ગઈ હતી. દરવાજો અંદરથી બંધ કરેલો હતો.
પોલીસે આ રૂમને ખોલ્યો હતો. આ સમયે પિતા-પુત્ર લટકી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો.
લગ્ન બાદ પત્નીની જોહુકમી વધારે હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ પત્નીની જોહુકમી વધારે
હતી. તે પતિને ત્રાસ આપતી હતી. તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી છે, જેમાં પતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે મારી
પત્નીના ત્રાસથી ગળેફાંસો ખાઉં છું. આ ઘટનામાં પુત્રની હત્યા, પરેશભાઈની આત્મહત્યા અને પત્ની આશાબેન
સામે દુષ્પ્રેરણાનો ગુનો લાગુ પડે છે.