શર્મીલા રેડ્ડી વર્તમાન CMનો વિરોધ કરવા પહોંચ્યાં હતાં
હૈદરાબાદમાં પોલીસે YSRTPના વડા અને પૂર્વ CM વાયએસ રાજશેખર રેડ્ડીના
પુત્રી શર્મીલા રેડ્ડીની કારને પોલીસે ક્રેનથી કાર ટોઇંગ કરી હતી. જેના કારણે
રાજકીય વાતાવરણ ગરમાયું છે. જ્યારે ક્રેન કારને ખસેડી રહી હતી ત્યારે શર્મીલા
રેડ્ડી કારમાં હાજર હતા. તેઓ કારની અંદરથી તેલંગાણાના મુખ્યમંત્રી KCRનો વિરોધ કરી રહ્યા
હતા.
શર્મીલા આંધ્રપ્રદેશના
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના બહેન છે. તેમણે તેલંગાણાના લોકો માટે રાજકીય વિકલ્પ
તરીકે 2021માં YSRTP પાર્ટીની સ્થાપના કરી હતી.
શું છે આખો મામલો?
એક દિવસ પહેલા તેલંગાણાના વારંગલમાં KCRની પાર્ટી TRSના કાર્યકર્તાઓ અને YSRTPના કાર્યકર્તાઓની વચ્ચે
મારામારી થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ મામલે હૈદરાબાદ પોલીસે શર્મીલાની
અટકાયત કરી હતી. પોલીસ તેમને લઈને હૈદરાબાદ આવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે અમુક
અજાણ્યા લોકોએ શર્મિલાના કાફલામાં એક પ્રચાર બસને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
જેવી પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તે લોકો ભાગી ગયા હતા.
જે સમયે આ ઘટના બની હતી, તે સમયે શર્મીલા પોતાના
સમર્થકોની સાથે પદયાત્રા કરી રહી હતી. આ દરમિયાન પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને
તેમને અને તેમના સમર્થકોની અટકાયત કરી હતી. YSRTPના ચીફ શર્મીલાએ બૂમો
પાડતા કહ્યું કે 'તમે મારી ધરપકડ કેમ કરો છો? હું પીડિતા છું, અહીં આરોપી નથી.'
શર્મીલાએ કહ્યું હતું
કે તેનો જીવ જોખમમાં છે
સપ્ટેમ્બરમાં, શર્મીલાએ તેના પિતા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ વાયએસ રાજશેખર
રેડ્ડીના મૃત્યુ પાછળ કાવતરું હોવાનો આરોપ મૂક્યો હતો. તેલંગાણા પદયાત્રા પર
નીકળેલા શર્મીલાએ સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે તેને પણ મારી નાખવાની યોજના ઘડી
રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સતત બે વાર જિતાડવામાં મદદ કર્યા પછીના
થોડા મહિના પછી ડિસેમ્બર 2009માં રાજશેખર રેડ્ડીનું એક હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યું થયું હતું.
મહબુબનગરમાં શર્મીલાએ
કહ્યું હતું કે 'વાયએસ રાજશેખર રેડ્ડીની મોત એક ષડયંત્રનું પરિણામ છે અને મને પણ મારવાના
પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેલંગાણાના મુખ્યમંત્રી KCRને યાદ રાખવું જોઈએ કે
હું વાયએસઆરની નિડર પુત્રી છું.'