મને એક વર્ષથી લાગતું હતું કે મારે કોંગ્રેસ છોડવી જોઈએ
અમદાવાદ: કોંગ્રેસમાં એક સાંધે
ત્યાં તેર તૂટે એવી સ્થિતિ વર્ષોથી જોવા મળી રહી છે. આ વખતની ચૂંટણીમાં રહસ્યમય
રીતે કામ કરી રહેલી કોંગ્રેસ રોજબરોજ નવા દાવ ખેલી રહી છે. ભાજપના દિગ્ગજ નેતા
જયનારાયણ વ્યાસે પણ અશોક ગેહલોત સાથેની મુલાકાત બાદ ભાજપને રામ રામ કરી દીધા છે.
ત્યારે હવે જય નારાયણ વ્યાસની કોંગ્રેસમાં આવવાની અટકળો વધારે તેજ બની છે. જોકે
કોંગ્રેસમાં એક વ્યાસ આવશે તો એક વ્યાસ કોંગ્રેસ સાથે છેડો ફાડશે. એઆઈસીસીના
સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હિમાંશુ વ્યાસ ટેક્નોક્રેટ સામ પિત્રોડાના અંગત અને નજીકના
માનવામાં આવે છે.
વઢવાણ બેઠક પરથી બે વખત
કોંગ્રેસના ઉમેદવાર
કોંગ્રેસના એક સમયના ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સેક્રેટરી રહી ચૂકેલા હિમાંશુ
વ્યાસ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ ચાલી રહ્યા હતા.
કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા તેમના ટીમ દ્વારા સતત હિમાંશુ વ્યાસની
અવગણના થઈ રહી છે. ત્યારે હવે આ નારાજગી પક્ષ સાથે છેડો ફાડવાની સ્થિતિ સુધી
પહોંચી ગઈ હતી. હિમાંશુ વ્યાસ પોતાનું રાજીનામું કેન્દ્રીય મોવડીમંડળને આપી દીધું અને
રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે
જ ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો. હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક
પરથી બે વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે.
મને એક વર્ષથી લાગતું હતું કે મારે કોંગ્રેસ છોડવી જોઈએ
તેમણે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે હું પબ્લિક
લાઈફમાં ઘણા વખતથી છું. લોકોની સેવા કરવાનું મારું ધ્યેય રહ્યું છે. કોંગ્રેસ
પાર્ટીને છેલ્લા એક વર્ષથી હું જે રીતે જોઈ રહ્યો છું એમાં બહુ ઉપયોગિતા જણાતી નથી
એવું મને લાગે છે. એના સંદર્ભમાં મારો અંતરઆત્માનો અવાજ એવું કહે છે કે જ્યાં
લોકોનાં કામો વધુ થઈ શકે ત્યાં જોડાઈશું તો આપણે પ્રજાને વધુ મદદરૂપ થઈ શકીશું, જેથી હું આ પગલું ઉઠાવી રહ્યો
છું.