• Home
  • News
  • જયસુખ પટેલે આખરે માની હાર!:ઓરેવા ગ્રુપના એમડીની કોર્ટમાં શરણાગતિ; ઝૂલતા પુલ દુર્ઘટનાના 10 આરોપી સામે ગુનો નોંધાયો; 1262 પેજની ચાર્જશીટ રજૂ કરાઈ
post

મોરબી ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિત નવ આરોપીને ઝડપી લીધા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 18:45:02

મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ ચૂકી છે અને વધુ સુનાવણી તા. 1ના રોજ થવાની છે. તેમજ જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી પણ 1 ફેબ્રુઆરીના રોજ થવાની હતી. તે પૂર્વે જ આજે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે. ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો સતત એકસૂરે જયસુખ પટેલની ધરપકડની માગ કરી રહ્યા હતા. ત્યારે હવે જયસુખ પટેલ કોર્ટ સમક્ષ રજૂ થઇ ગયા છે. કોર્ટના આદેશ બાદ જયસુખ પટેલને જેલ હવાલે કરાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

મોરબી ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિત નવ આરોપીને ઝડપી લીધા હતા અને ગુના અંગે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ ભાગેડુ આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું. તો ચાર્જશીટ રજૂ થયા બાદ આજે પ્રથમ સુનાવણી મોરબીની કોર્ટમાં શરૂ થવા જઈ રહી છે. જે પ્રથમ સુનાવણીમાં આ ગુનામાં ઝડપાયેલા નવ આરોપીઓને ચાર્જશીટની એક એક નકલ આપવામાં આવશે. ત્યારે આજની સુનાવણી પર સૌ કોઈની નજર છે. સાથે જ જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી અંગે પણ 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થવાની છે. ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટનામાં હવે પ્રતિદિન નવા ધડાકા થવાની સંભાવના રહેલી છે.

મોરબીના મેનેજિંગ ડિરેક્ટરને લાલ શાહીથી દર્શાવવામાં આવ્યા
મોરબી પોલીસે ઝૂલતા પુલ દુર્ઘટનામાં આજે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકના ગુના નં 2003/2022ની ઈ.પી.કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબ ગુનો નોંધી પોલીસે નવ આરોપીની ધરપડક કરી હતી. જે તમામ આરોપીઓના સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે જામીન નામંજૂર કરેલા. જેથી તમામ આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોરબી સબ જેલમાં છે. જે કેસની તપાસમાં ઝૂલતા પુલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ વિરુદ્ધ તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળી આવ્યા હતા. જેથી તેમનાં સંભવિત આશ્રય સ્થાનો પર તપાસ કરાવતા મળી આવ્યા ના હોવાથી નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ મેળવ્યું છે. તેમજ અટક કરેલા નવ આરોપીઓ વિરુદ્ધ નામદાર કોર્ટમાં આજે ચાર્જશીટ નંબર 30/2023 તથા સી.સી.નંબર 675/2023થી દાખલ કરવામાં આવેલી છે. જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપ મોરબીના મેનેજિંગ ડિરેક્ટરને લાલ શાહીથી દર્શાવવામાં આવેલા છે. જે ચાર્જશીટમાં કુલ 367 ઇસમોને સાહેદો તરીકે દર્શાવવામાં આવ્યા છે. કુલ 1262 પેજની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

ઓરેવા ગ્રુપના એમડી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું હતું
ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી હતી અને હવે આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં આજે જયસુખ પટેલે સરેન્ડર કરી દીધું છે.

જયસુખ પટેલની આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને લઈને આજે આગોતરા જામીન અરજી પર મોરબીની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. આ સુનવણીમાં પોલીસ દ્વારા મુદત માંગવામાં આવતા તેને ધ્યાને લઈ કોર્ટે આગામી સુનવણી પહેલી તારીખ પર રાખી છે. મૃતકોના પરિવાર વતી એડવોકેટ દિલીપભાઈ અગેચણિયાએ જામીન અરજીની સુનવણી સમયે પોતાને સાંભળવા માટે અરજી કરી હતી. કોર્ટે અરજી મંજૂર કરી આગામી સુનવણીમાં તેમને તક આપવામાં આવશે.

જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી
મોરબી ઝૂલતા પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતા પુલનું રિનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોનાં મોત થયાં હતાં. જે બનાવ મામલે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જોકે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે થયેલી ફરિયાદમાં તેમનું નામ આરોપી તરીકે મૂકવામાં આવ્યું નહોતું.

મોરબીવાસીઓ ક્યારેય ભૂલી ના શકે તેવી ગોઝારી દુર્ઘટના 30 ઓક્ટોબર 2022 ના રોજ સર્જાઈ હતી. દિવાળીની રજાઓ માણી રહેલા સ્થાનિકો તેમજ મોરબી ફરવા આવેલા લોકો મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતા પુલની મજા માણી રહ્યા હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડતાં 135 નિર્દોષ નાગરિકોના જીવ લેવાયા હતા. જે દુર્ઘટના મામલે પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચ્યો હતો. બનાવને પગલે એક તરફ હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દોડી આવ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. જે દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના મેનેજર સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાયા હતા. જે બનાવને ૩ માસ જેટલો સમય થવા આવ્યો છે, ત્યારે મોરબી પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post