નડ્ડા ભાજપના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ હશે, તેમને લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની કમાન સંભાળી શકે છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત સંઘના પણ અંગત માનવામાં આવે છે. શાહે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ નડ્ડાને 19 જૂન 2019ના રોજ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નિતીન ગડકરી સહિત સમસ્ત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને ડે.સીએમ, રાજ્યના પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડાના નામનો પ્રસ્તાવ મૂકશે. ચૂંટણી પ્રક્રિયા હેઠળ નડ્ડા સવારે 10.30 વાગ્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધશે.
ભાજપે તમામ રાજ્ય અધ્યક્ષ, સંગઠન મહામંત્રી અને રાજ્યમાં કોર ગ્રુપ સભ્યોને દિલ્હીમાં આવેલી પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે બોલાવ્યા છે. ચૂંટણી પ્રભારી રાધામોહન સિંહની ટીમે મતદાતાની યાદી તૈયાર કરી છે. નડ્ડાના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં સચિવ અને ઉપાધ્યક્ષના પદ પર પણ ફેરફાર કરવામાં આવશે. જો કે, મહાસચિવ સ્તરે પણ ફેરફારની શક્યતાઓ છે.
નડ્ડા હાલ સાંસદ અને સંસદીય બોર્ડના સચિવ છે
જેપી નડ્ડા રાજ્યસભાથી સાંસદ છે. તેઓ ભાજપના સંસદીય બોર્ડના પણ સચિવ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમણે યુપીની જવાબદારી સોંપી હતી. ત્યાં ભાજપે 80માંથી 62 બેઠકો પર જીત મેળવી હતી. જૂન 2019માં નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા. ત્યારબાદથી અટકળો હતી કે પૂર્ણકાલિક અધ્યક્ષ તરીકે તેઓ અમિત શાહના ઉત્તરાધિકારી હશે.