• Home
  • News
  • જસ્ટિસ ફોર આઇશા:આઈશાના મોતનો આરિફને કોઈ જ રંજ નહિ, આંખમાંથી એક આંસુ પણ ન સર્યું, આરિફના વર્તનથી પોલીસ પણ ચોંકી ગઈ, આજે કોર્ટમાં રજૂ કરાશે
post

આરિફે કહ્યું, આઈશાના ગર્ભપાત પછી ઝઘડા શરૂ થઈ ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 09:22:56

વટવાની આઈશા મકરાણીની આત્મહત્યા કેસમાં પોલીસ તેના પતિ આરિફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી છે. જોકે લોકઅપમાં પૂછપરછ વખતે આરિફના ચહેરા પર આઈશાના મોતનો જરા પણ રંજ દેખાતો ન હતો, આંખમાંથી એક આંસુ પણ સર્યું ન હતું. પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે જાણે કશું થયું જ ન હોય તેમ પોલીસની સાથે ચાલવા લાગ્યો હતો. પીઆઈ વી. એમ. દેસાઈ અને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલની પૂછપરછમાં આરિફે આઈશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આઈશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું તેણે કબૂલ્યું હતું. બુધવારે આરિફને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આઈશાએ પતિ આરિફ બાબુખાન ગફુરજી, તેનાં માતાપિતા અને બહેન વિરુદ્ધ વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી એક વર્ષથી આઈશા તેના પિતાના ઘરે જ રહેતી હતી.

આત્મહત્યાના દિવસથી ઘરેથી ભાગી ગયો હતો
આઈશાએ આત્મહત્યા કર્યા બાદ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની એક ટીમ આરિફને પકડવા તેના વતન રાજસ્થાનના ઝાલોર પહોંચી હતી. જોકે આઈશાએ આત્મહત્યા કરી ત્યારથી આરિફ ઘર છોડીને ભાગી ગયો હતો. મંગળવારે પાલીમાં તેની બહેનના ઘરેથી ઝડપાયો હતો.

આવા પતિઓ સામે કાયદાનો સહારો લો: ઓવૈસી
આઈશાની આત્મહત્યા અંગે એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, મુસ્લિમ મહિલાઓ આવા દહેજ ભૂખ્યા પતિઓને લાત મારીને કાયદાનો સહારો લે. પત્નીને ઘરમાં દહેજ માટે મારીને લોકો બહાર પોતાને ફરીશ્તા કહેવડાવે છે, પરંતુ તેઓ દુનિયાને મૂરખ બનાવી શકે છે, અલ્લાહને નહિ.

 

adv

Related News

post
post
post
post
post
post
post