નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલું નિવેદન સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે
ગાંધીનગરમાં ગુજરાતના
પહેલા ભારત માતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારત માતાના મૂર્તિ
પ્રતિષ્ઠા મહોત્સવના ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, VHP અને RSSના ટોચના નેતાઓ ઉપસ્થિત
હતા. નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલું નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ
રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને
કાયદાની વાત છે ત્યાં સુધી જ ચાલશે, જ્યાં સુધી હિંદુ
બહુસંખ્યક છે. જો હિંદુઓની સંખ્યા ઘટી તો એ દિવસે ના કોઈ કોર્ટ-કચેરી હશે, ના કોઈ કાયદો હશે.
નીતિન પટેલનું
વિવાદાસ્પદ નિવેદન
ધર્મસભામાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમારે વીડિયો ઉતારવો હોય તો
ઉતારી લો અને મારા શબ્દો લખીને રાખજો, જ્યાં સુધી આ દેશમાં
હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ
બિનસંપ્રદાયિકતા છે. આ વાતો કરનારા કરશે, ભગવાન ના કરે અને જો
હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજા લોકો વધ્યા તો એ દિવસથી કોઈ કોર્ટ-કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં. બધું
જ હવામાં અને દફનાયી દેશે. કશું બાકી નહીં રહે. આ તો ઓછા અને લઘુમતીમાં છે. હું
બધાની વાત નથી કરી રહ્યો. હજારો મુસ્લિમો દેશભક્ત છે અને ભારતીય સેનામાં છે.
સેંકડો મુસ્લિમો ગુજરાત પોલીસમાં છે.
લવ-જેહાદનો કાયદો
તમામને લાગુ પડે છે
નાયબ મંત્રીએ જણાવ્યું હતું કે હું સ્પષ્ટ કરું કે જો કોઈ હિન્દુ છોકરો કોઈ
નિર્દોષ મુસ્લિમ છોકરી સાથે છેડતી કરીને લગ્ન કરે તો આ કાયદો તેને પણ લાગુ પડે છે.
તો આ કાયદો કોઈ ખાસ ધર્મ માટે નથી, તમામ લોકો પર લાગુ પડે
છે. આ કાયદાને પડકારતી રિટ અરજી એક સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે
વધુમાં કહ્યું હતું કે હું એ સંસ્થાને પૂછવા માગુ છું કે જો હિન્દુ દીકરીઓ હિન્દુ
સાથે લગ્ન કરે, મુસ્લિમ દીકરીઓ મુસ્લિમ સાથે લગ્ન કરે, ખ્રિસ્તી દીકરીઓ
ખ્રિસ્તીઓ સાથે લગ્ન કરે. જો શીખ દીકરીઓ શીખ સાથે લગ્ન કરે છે તો તેમને વાંધો શું
છે.
રાજ્યમાં જ્યાં પણ નવા
બ્રિજ બનશે ત્યાં ભારત માતાની પધરામણી થશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં નક્કી કર્યું છે કે સમગ્ર રાજ્યમાં જ્યાં
પણ નવા બ્રિજ બનશે. મોટા હાઈવે બનશે. 4 લેન બનશે. સિક્સ લેન
બનશે. એ તમામ જગ્યા પર ભારત માતાની પધરામણી કરવાની છે. આ માટે આપણે બધાએ ભેગા
મળીને કામ કરવાનું રહેશે. એક મંદિર બનાવવાથી કંઈ નહીં થાય. આપણે બધા ભેગા થઈ એક
અવાજે ભારત માતા કી જય બોલીએ તો જેના હાથમાં ગમે એવી AK47 હોય, પણ આપણા અવાજથી જ એ
ધ્રૂજી જાય.