કોહલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરીઝ પહેલા કહ્યું હતું- તે દિવસ દૂર નથી જ્યારે ખેલાડી સીધા સ્ટેડિયમમાં લેન્ડ કરશે અને મેચ રમશે
ભારતના કેપ્ટન વિરાટ કોહલી બાદ હવે કેએલ રાહુલે પણ વધારે ક્રિકેટ રમવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેણે રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છેલ્લી T20 જીત્યા બાદ કહ્યું, ‘‘લગાતાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું શરીર પર ભારે પડી રહ્યું છે. અમે દર મહિને આટલી મેચ રમી રહ્યા છીએ. તેના માટે પોતાને શારિરીક અને માનસિક રીતે ફીટ રાખવા માટે વધારે મહેનત કરવી પડી રહી છે.’’ ટીમ ઇન્ડિયાએ જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 11 મેચ રમી છે. તેમાં 8 T20 અને 3 વન ડે સામેલ છે. આ રીતે ટીમ દર મહિને 11 દિવસ મેદાન પર રહી.
ગત વર્ષ જૂનથી 19 જાન્યુઆરી 2020 સુધી ટીમ ઇન્ડિયા ઇન્ગ્લેન્ડ, વેસ્ટઇન્ડિઝ, અમેરિકા અને ભારતમાં 19 વનડે, 15 T20 અને 7 ટેસ્ટ રમી ચૂકી છે. મતલબ કે કુલ 41 મેચ. આ દરમિયાન ટીમ 62 દિવસ મેદાન પર રહી હતી. જો તેમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી 5 T20 સામેલ કરવામાં આવે તો ટીમે અત્યાર સુધી 46 મેચ રમી છે અને 67 દિવસ મેદાન પર પસાર કર્યા છે. જો તેમાં મેચ પહેલાનો એક પ્રેક્ટિસનો દિવસ પણ સામેલ કરવામાં આવે તો આ દરમિયાન ટીમ 134 દિવસ મેદાન પર રહી છે.
વિરાટે પણ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પહેલા વધારે ક્રિકેટ રમવા અંગે ટિપ્પણી કરી હતી
કોહલીએ પણ ન્યૂઝીલેન્ડ સીરીઝના શેડ્યૂલને લઇને નારાજગી જાહેર કરી હતી. ત્યારે વિરાટે કહ્યું હતું કે એ દિવસ દૂર નથી જ્યારે ખેલાડી સીધા સ્ટેડિયમમાં લેન્ડ કરશે અને મેચ રમશે. તેણે આશા કરી હતી કે ભવિષ્યમાં શેડ્યુલ નક્કી કરતી વખતે તેનું ધ્યાન રાખવામાં આવશે. આ સમયે ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતમાં વન ડે સીરીઝ ખતમ થયાના 4 દિવસ બાદ જ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી T20 મેચ રમી હતી.