સિલ્ક્યારા ટનલમાં રેટ ડ્રીલિંગ દ્વારા 57 મીટર માઈનીંગ કરવામાં આવી રહી છે
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. રેટ ડ્રીલિંગ દ્વારા 57 મીટર માઈનીંગ કરવામાં આવી રહી છે. જેમાં 54 મીટરની માઈનીંગ થઇ ગઈ છે અને હવે માત્ર 3 મીટરની માઈનીંગ બાદ સારા સમાચાર મળવાની આશા છે. રેસ્ક્યુ ટીમે મજૂરોના સંબંધીઓને તેમના કપડા અને બેગ તૈયાર રાખવા જણાવ્યું છે. મજૂરોને બહાર કાઢ્યા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવશે.
ADVERTISEMENT
વડાપ્રધાને મુખ્યમંત્રી પુષ્કર ધામી સાથે ફરી ફોન પર વાતચીત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ફરી ફોન કરીને ટનલમાં ફસાયેલા મજૂરોની રાહત અને બચાવ કાર્ય અંગે માહિતી લીધી હતી. તેમણે કહ્યું હતું કે અંદર ફસાયેલા કામદારોની સુરક્ષાની સાથે બહાર રાહત કાર્યમાં લાગેલા લોકોની સુરક્ષા માટે પણ ખાસ કાળજી લેવી જોઈએ.
માઈનીંગ વચ્ચે શરુ થયો વરસાદ
મળતી માહિતી મુજબ માઈનીંગ વચ્ચે સિલ્ક્યારામાં વરસાદ શરૂ થયો છે. આવી સ્થિતિમાં બચાવ કાર્યમાં લાગેલી ટીમોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે આજે રાજ્યના પહાડી વિસ્તારો, ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢમાં છૂટાછવાયા સ્થળોએ હળવા અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 3500 મીટરથી વધુની ઉંચાઈ પર હિમવર્ષા થવાની સંભાવના છે.