કારમાં પાછળની સીટમાં બેલ્ટ બાંધવો જરૂરી
ટાટા ગ્રુપના ચેરમેન
સાયરસ મિસ્ત્રીનું રવિવારે બપોરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક્સિડન્ટમાં નિધન થયું
છે. તેઓ ગુજરાતમાં ઉદવાડામાં બનેલા પારસી મંદિરથી પરત આવતા હતા. 54 વર્ષના મિસ્ત્રી અને
તેમના મિત્ર જહાંગીર પંડોલેનાં મૃત્યુ થયાં છે. જ્યારે કાર ડ્રાઈવ કરનાર મહિલા
ડોક્ટર અનાયતા પંડોલે અને તેમના પતિ દરિયસ પંડોલે ઘાયલ છે. દરિયસ JM ફાઇનાન્શિયલના CEO છે.
સાયરસ મિસ્ત્રી જે
લક્ઝુરિયસ મર્સિડીઝ કારમાં હતા એ અંદાજે 134 કિમી પ્રતિ કલાકની
સ્પીડથી ચાલતી હતી. એનો ખુલાસો કારના છેલ્લા સીસીટીવી ફૂટેજથી થયો છે. કારે
રવિવારે બપોરે 2.21 વાગે ચરૌતી ચેકપોસ્ટ ક્રોસ કરી હતી. અહીંથી અંદાજે 20 કિમીનું અંતર મર્સિડીઝ
કારે માત્ર 9 મિનિટમાં પૂરું કર્યું હતું.
સાયરસ અને જહાંગીરે સીટ
બેલ્ટ નહોતો પહેર્યો
પોલીસે જણાવ્યું હતું કે ઓવરસ્પીડ અને ઓવરટેકિંગનું જજમેન્ટ ખોટું પડવાને
કારણે કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. એક્સિડન્ટમાં જીવ ગુમાવનાર મિસ્ત્રી અને
જહાંગીર બંનેએ સીટ બેલ્ટ બાંધ્યા નહોતા. એ ઉપરાંત કાર ડિવાઈડર સાથે અથડાતાં આગળની
સીટની એરબેગ તો ખૂલી ગઈ, પરંતુ પાછળની સીટની એરબેગ ખૂલી નહોતી. રવિવારે એક સાક્ષીએ પણ જણાવ્યું હતું કે
કાર ઓવર સ્પીડમાં હતી અને બીજી ગાડીને રોંગ સાઈડથી ઓવરટેક કરતી વખતે ડિવાઈડર સાથે
અથડાઈ હતી.
મલ્ટિટ્રોમાને કારણે સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર,
અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીને શરીરના આંતરિક ભાગોમાં
ગંભીર ઈજાઓ થઈ હતી. તબીબી પરિભાષામાં એને મલ્ટિટ્રોમા કહેવામાં આવે છે, જેને કારણે સાયરસ મિસ્ત્રીનું
ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું પોસ્ટમોર્ટમ
રવિવારે મોડીરાત્રે મુંબઈની જેજે હોસ્પિટલમાં થયું હતું.
કારમાં પાછળની સીટમાં બેલ્ટ બાંધવો જરૂરી
ભારતમાં જે લોકો સમજે છે ને જાણે છે તે લોકો આગળની
સીટમાં બેસીને સીટબેલ્ટ બાંધે છે પણ પાછળની સીટમાં બેસનારા મોટા ભાગના લોકો સીટબેલ્ટ
બાંધતા નથી. સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું એ આગળની સીટ સાથે જોરથી અથડાવવાને
કારણે થયું અને તેના શરીરમાં અંદરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જો તેમણે પાછલી
સીટે બેસીને પણ સીટબેલ્ટ બાંધ્યો હોત તો કદાચ તેઓ ઘાયલ થયા હોત, પણ તેમનો જીવ બચી જાત.