અમદાવાદમાં જન્મેલાં ઈલા ભટ્ટનાં માતા-પિતા સુશિક્ષિત હોવાથી પરિવારમાં જ તેમને શિક્ષણ, સંસ્કારિતા અને જાગૃતિનું વાતાવરણ મળ્યું હતું
અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઈલા ભટ્ટનું અવસાન થયું છે. આ
સાથે જ લાખો મહિલાઓને સ્વાશ્રયી બનાવી તેમના જીવનમાં આશા અને ઉન્નતીની જ્યોત
જગાવનારો જીવનદીપ બુઝાઈ ગયો છે. સ્વ. ઈલા ભટ્ટના નાના અમદાવાદના જાણીતા સર્જન હતા
અને સરકારી હોસ્પિટલમાં લોકોની સેવા કરતા હતા. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ
લેવાના ઈરાદાથી તેમણે નોકરી છોડી દીધી હતી. તેમના ત્રણેય મામા પણ સ્વાતંત્ર્ય
સેનાની હતા. સ્વ. ઈલા ભટ્ટના આખા પરિવારમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો હતો.
આવતીકાલે સવારે વીએસ સ્મશાનગૃહ ખાતે સ્વ. ઈલા ભટ્ટના અંતિમસંસ્કાર થશે.
અંતિમ સમય સુધી
શ્રમજીવી બહેનોની ચિંતા
ઇલા ભટ્ટના પુત્ર મિહિર ભટ્ટે જણાવ્યું હતું કે, તેમને અંતિમ સમય સુધી
તેમની શ્રમજીવી બહેનો અને લોકોની ચિંતા હતી. બેરોજગારી અંગે પણ તેઓ છેલ્લી ઘડી
સુધી ચિંતા કરી હતી. તેમને એક બે નહીં પરંતુ 20 લાખ બહેનો છે અને માત્ર
અમદાવાદ અને ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો અને વિદેશમાં પણ બહેનો છે.
મિહિર ભટ્ટે વધુમાં
જણાવ્યું હતું કે, તેમના આવતીકાલે સવારે વીએસ સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઘણા
સમયથી તેમની નાદુરસ્ત તબિયત હતી અને ત્યારબાદ તેઓને સ્ટ્રોક આવ્યો હતો. ધીરે-ધીરે
તેઓ ચાલતા પણ થયા હતા. હિંચકે બેસી અને કોયલને ચીડવતા પણ હતા. પરંતુ છેવટે તેમને
ઓપરેશન કરાવવું પડ્યું. ગેંગરીંગ થયું હતું અને તે ફેલાઈ ગયું હતું. ત્યારબાદ
ઓપરેશન કરવામાં આવ્યું હતું. શરીરના કેટલાક અંગો સાજા થયા હતા અને કેટલાક અંગોમાં
રિકવરી આવી ન હતી. છેલ્લી ઘડી સુધી તેઓને બહેનોની અને ગરીબોની ચિંતા કરી હતી. આજે
બપોરે 12.20 વાગ્યે અચાનક જ તેમનું અવસાન થયું હતું.
PM અને CMએ ટ્વીટ
કરી દુ:ખ વ્યક્ત કર્યું
સેવા સ્થાપક ઈલા ભટ્ટના અવસાન બાદ વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાને ટ્વીટ ઇલા ભટ્ટના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોકની આ ઘડીમાં તેમના
પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
બાળપણ, શિક્ષણ અને કારકિર્દી
અમદાવાદમાં જન્મેલાં ઈલા ભટ્ટનાં માતા-પિતા
સુશિક્ષિત હોવાથી પરિવારમાં જ તેમને શિક્ષણ,
સંસ્કારિતા અને જાગૃતિનું વાતાવરણ મળ્યું હતું.
સુરતની એમટીબી કોલેજમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થયા બાદ
અમદાવાદમાં તેમણે કાયદાની વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી હતી. આરંભે એસએનડીટી
મહિલા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે નોકરી કર્યા બાદ તેઓ ટેક્સટાઇલ લેબર
એસોસિયેશન સાથે જોડાયાં હતાં. આ નોકરી જ આખરે તેમના જીવનધ્યેય સુધી દોરી જવામાં
નિમિત્ત થઈ હતી.
સેવા સંસ્થા સિદ્ધિ અને પ્રદાન
ટેક્સટાઈલ લેબર એસોસિયેશનના માધ્યમથી ઈઝરાયેલની
સ્ટડી ટૂર પર ગયેલાં ઈલા ભટ્ટ ત્યાં સ્વનિર્ભર મહિલાઓ માટેના કાયદાઓ અને તેમને
મળતી સુવિધાઓ ઉપરાંત તેમના પ્રશ્નોથી વાકેફ થયાં. તેમણે વિચાર્યું કે આ બાબત તો
ભારતીય મહિલાઓને વધુ તીવ્રતાથી સ્પર્શે છે,
આથી તેમણે ભારત પરત ફરીને લેબર એસોસિયેશનના માધ્યમથી
સેલ્ફ એમ્પ્લોય્ડ વુમન એસોસિયેશન (સેવા)ની સ્થાપના કરી. ઘરે બેસીને રોજગારી મેળવવા
ઈચ્છતી કે હુન્નર જાણતી મહિલાઓને કામ મળે અને સન્માનજનક આવક મળે એ માટે સેવા
સંસ્થાના માધ્યમથી ઈલા ભટ્ટની દીર્ઘદૃષ્ટિ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેનો લાખો મહિલાઓએ લાભ લીધો
છે. મહિલાઓને રોજગાર માટે લોન મળે એ માટેના તેમના પ્રોજેક્ટ્સનું વિશ્વમાં અન્યત્ર
પણ અનુકરણ થયું છે.
‘આયોજન પંચ’ અને ‘રાજ્ય સભા’માં પણ પોતાની સેવાઓ આપી
અંગ્રેજી વિષય સાથે બી.એ. તેમજ એલ.એલ.બી. થયેલાં ઈલા
ભટ્ટ, મજૂર મહાજન સંઘમાં પ્રવૃત્તિ
દરમિયાન ગુજરાતની શ્રમજીવી મહિલાઓની સમસ્યાઓથી પરિચિત થયાં અને નિર્માણ થયું એક
વ્યાવસાયિક મહિલાઓના સંગઠનનું જેનું નામ છે “સેવા”. સમયની સાથે સેવાની પ્રવૃત્તિ
દેશભરમાં વિસ્તરી અને દક્ષિણ આફ્રિકામાં તેની ભગિની સંસ્થા “સેવુ”
નો જન્મ થયો. સેવામાં અંદાજિત દશ લાખથી પણ વધારે
મહિલા સભ્યો છે અને એ દેશનું સૌથી મોટું કામદાર મંડળ છે. ઈલા ભટ્ટે ‘વિશ્વ મહિલા બેંક’ , ‘વુમન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન’, ‘આયોજન પંચ’ અને ‘રાજ્યસભા’માં પણ પોતાની સેવાઓ આપી છે.
યેલ, હાર્વર્ડ, નાતાલ અને સયાજીરાવ ગાયકવાડ
જેવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યુનિવર્સિટી દ્વારા ઈલા ભટ્ટને ડોકટરેટની માનદ
ઉપાધિ એનાયત કરવામાં આવી છે. તેમનાં કેટલાંક પુસ્તકો,
જેવાં કે ‘શ્રમ શક્તિ ‘, ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’, અને ‘વી આર પુઅર બટ સો મેની’ માં તેમની વૈચારિક પરિપક્વતા
અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા નારી સશક્તીકરણ માટેના પ્રયત્નો દષ્ટિગોચર થાય છે.
ઈલા ભટ્ટને મળેલા
અવૉર્ડ:-
·
1977માં રોમન મેગ્સેસે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં
·
ઈલા ભટ્ટ રેમન મેગ્સેસે અવૉર્ડ મેળવનારાં પ્રથમ ગુજરાતી
મહિલા હતાં
·
1984માં રાઈટ લાઈવલીહૂડ અવૉર્ડ મળ્યો હતો
·
1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો
·
1986માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં
·
2011માં ઇન્દિરા ગાંધી શાંતિપુરાથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં
·
2010માં નીવાનો શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં