ઉદ્ધવ કેમ્પના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરતાં કહ્યું હતું કે જો બે તૃતીયાંશ લોકો અલગ થવા માગતા હોય તો તેમણે કોઈ પાર્ટીમાં ભળી જવાનું હોય અથવા નવી પાર્ટી બનાવવાની હોય
મહારાષ્ટ્રમાં
શિવસેનાના અધિકાર વિશે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સુનાવણી થઈ હતી. આ સુનાવણી
દરમિયાન બંને પક્ષ તરફથી દલીલો થઈ હતી. જોકે આ દલીલો દરમિયાન સુપ્રીમ કોર્ટે શિંદે
જૂથને અમુક અઘરા સવાલ પણ કર્યા હતા. જોકે આ સુનાવણીના અંતે કોઈ નિષ્કર્ષ ના
નીકળતાં સુનાવણી ટાળી દેવામાં આવી છે અને કાલે ફરી આ કેસમાં સુનાવણી કરાશે. આવો...
જાણીએ આ બંને પક્ષોએ તેમની દલીલોમાં શું કહ્યું...
અહીં વાંચો દલીલો
·
ઉદ્ધવ કેમ્પના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરતાં કહ્યું હતું કે
જો બે તૃતીયાંશ લોકો અલગ થવા માગતા હોય તો તેમણે કોઈ પાર્ટીમાં ભળી જવાનું હોય
અથવા નવી પાર્ટી બનાવવાની હોય. તેઓ એવું ના કહી શકે કે તેઓ મૂળ પાર્ટી છે. આ વિશે
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તેમણે બીજેપીમાં ભળી જવાની જરૂર હતી અથવા નવી પાર્ટી
બનાવવાની જરૂર હતી. પછી સિબ્બલે ફરી કહ્યું હતું કે કાયદો પણ એ જ કહે છે.
·
ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું દરેક પક્ષે કેસ સાથે જોડાયેલા
કાયદાકીય સવાલોનું સંકલન જમા કરાવી દીધું છે? રાજ્યપાલના વકીલ
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે હું હમણાં જમા કરાવી દઉં છું.
પાર્ટી માત્ર
ધારાસભ્યોનું જૂથ નથી હોતી: સિબ્બલ
સિબ્બલે કહ્યું હતું કે પાર્ટી માત્ર ધારાસભ્યનું જૂથ નથી હોતી. આ લોકોને
પાર્ટીની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ના આવ્યા.
ડેપ્યુટી સ્પીકરની ચિઠ્ઠી લખી દીધી. પોતાનો વ્હિપ નક્કી કરી દીધો. હકીકતમાં તેમણે
પાર્ટી છોડી છે. તેઓ મૂળ પાર્ટી હોવાનો દાવો ના કરી શકે. આજે પણ શિવસેના-અધ્યક્ષ
ઉદ્ધવ ઠાકરે જ છે. સિબ્બલે કહ્યું હતું કે જ્યારે બંધારણમાં 10મી જોગવાઈને જોડવામાં
આવી ત્યારે તેનો ઉદ્દેશ કંઈક અલગ હતો. જો આ પ્રમાણેના દુરુપયોગને મંજૂરી આપવામાં
આવી તો ધારાસભ્યો બહુમતની સરકાર પાડીને ખોટી રીતે સત્તા મેળવીને પાર્ટી પર દાવો
કરશે. પાર્ટીની સભ્યતા છોડનાર ધારાસભ્ય અયોગ્ય છે. ચૂંટણીપંચ જઈને પાર્ટી પર દાવો
કેવી રીતે કરી શકે છે?
અમે 10 દિવસ માટે સુનાવણી શું
ટાળી, તમે સરકાર બનાવી લીધી?: CJI
CJI- અમે 10 દિવસ માટે સુનાવણી ટાળી હતી, એમાં તમે તો સરકાર બનાવી લીધી. સ્પીકર બદલી દીધા. હવે તમે
કહો છો કે દરેક વાત નિરર્થક છે.
સાલ્વે: હું એવું નથી કહેતો કે હવે આ વાત પર વિચાર જ ના થવો જોઈએ.
CJI: ઠીક છે, અમે બધા મુદ્દાઓ સાંભળીશું.
હરીશ સાલ્વે અને સિબ્બલ
વચ્ચેની દલીલ
શિંદે જૂથના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે જે નેતાને બહુમતનું સમર્થન ના
હોય તે કેવી રીતે ટકી શકે છે? સિબ્બલે જે વાત કરી એ પ્રાસંગિક નથી. એ વિશે સાલ્વેએ કહ્યું
હતું કે આવા ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા જોઈએ? જ્યારે પાર્ટીમાં અંદર
અંદર પ્રોબ્લેમ હોય ત્યારે બીજા જૂથની બેઠકમાં ના જવું જ અયોગ્ય કેવી રીતે કહેવાય?
CJI અને સાલ્વે વચ્ચેની
દલીલ
CJI- આ રીતે તો પાર્ટીનો કોઈ અર્થ જ નહીં રહે. ધારાસભ્યો ચૂંટાઈ ગયા પછી કોઈ કંઈપણ
કરી શકે છે.
સાલ્વે: આપણા ત્યાં ભ્રમ છે કે કોઈ નેતાને જ આખી પાર્ટી માની લેવામાં આવે છે. અમે
અત્યારે પણ પાર્ટીમાં છીએ. અમે પાર્ટી નથી છોડી. અમે માત્ર નેતા સામે અવાજ ઉઠાવ્યો
છે.