• Home
  • News
  • મનસુખ વસાવાએ કહ્યું- જો હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકાવી શકું; મારે ભ્રષ્ટાચાર કરવો હોત તો ભરૂચ-દહેજ મોટો વિસ્તાર છે
post

સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે મારા વિરોધમાં પત્રો પણ લખે છે પણ હાથી પાછળ કૂતરા ભસ્યા કરે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-30 18:53:08

નર્મદા જિલ્લા ભાજપ દ્વારા ડેડિયાપાડા ખાતે લાભાર્થી સંમેલન યોજાયું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા, શંકર વસાવા, મહામંત્રી નીલ રાવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યાં હતાં. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી ભાજપે શરૂ કરી દીધી છે, જેમાં સાંસદે તેમના વિરુદ્ધ અગાઉ ફરતા થયેલા નનામા પત્રના મામલે વિરોધીઓ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું, હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકાવી શકું તેમ છું, પણ હરામનો પૈસો મારા ઘરમાં નહિ આવે. મનસુખ વસાવાને પૈસા બનાવવા હોય તો નગરપાલિકા, નરેગામાં હાથ નાખે? કેટલાક લોકો જે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે એવા બાયલા લોકોને હું ખુલ્લા પાડું છું. એવા જ લોકો આવો નનામો પત્ર લખે છે. જો હિમ્મત હોય તો મારી સાથે આવે ને વાર્તાલાપ કરે, એવું કહી વિરોધીઓ પર ત્રાટક્યા હતા.

હું સેટિંગ કરવાવાળો માણસ નથી: મનસુખ વસાવા
એક સાંસદ પર આક્ષેપો કરવા કરતાં પત્ર લખનારને સૂચના આપી કે મારી સામે આવીને આક્ષેપો કરે. જો ભ્રષ્ટાચાર કરવા હોત તો મારી પાસે મોટા ઉદ્યોગો અને વિસ્તાર છે, પણ મનસુખ વસાવા ક્યારેય આવા ખોટા રૂપિયાને અડતા નથી. હું સાચો છું એટલે મારા પક્ષના કાર્યકરો અને મંત્રીઓ સામે પણ બેફિકર બોલું છું. હું કોઈથી ડરતો નથી, કહી તમામ વિરોધીઓને ઝાટકી કાઢ્યા હતા. હું એક ઉદ્યોગપતિનું નાક દબાવું તો કરોડો રૂપિયા કમાઈ શકું છું, પણ આ મારું કામ નથી. હું સેટિંગ કરવાવાળો માણસ નથી.

'હાથી પાછળ કૂતરા ભસ્યા કરે'
સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે મારા વિરોધમાં પત્રો પણ લખે છે પણ હાથી પાછળ કૂતરા ભસ્યા કરે, કહી ડેડિયાપાડા બેઠક હારી ગયા તો મારા માથે અને નીલ રાવના માથે હારનો ટોપલો નાખે છે. મારે નહોતું બોલવું પણ વર્ષોથી સહન કર્યું ને આજે બોલવું પડ્યું. બાકી ચૈતરની કોઈ હેસિયત નથી કે ડેડિયાપાડા બેઠક જીતી શકે, પણ ઘર ફૂટે ઘર જાય એમાં કોઈ એક-બે વ્યક્તિ પર ના ઢોળાય, કહી ડેડિયાપાડા બેઠક વિરુદ્ધ કામ કરનારાઓ સામે સાંસદ રોષે ભરાયા હતા.

'મારા લોહીનું એક-એક ટીપું હિન્દુ-હિન્દુ બોલે છે'
તેમણે કહ્યું હતું કે મને કાપો તો લોહીમાંથી હિન્દુત્વનું ટપકું પડે. એક-એક ટપકું હિન્દુ-હિન્દુ બોલે. ડંકાની ચોટ પર કહું છું કે ભૂતકાળમાં હિન્દુની વાત કરી છે અને કરીશું. અમે તો સૌનો સાથ સૌનો વિકાસમાં માનીએ છીએ, પરંતુ કોઇ અમને છંછેડે તો તેને છોડવો પણ નહીં. મેં કોઇની સાથે સેટિંગ નથી કર્યું અને કરીશ પણ નહીં. સેટિંગ કરનારા લોકો મારા પર આક્ષેપ કરે તો મારાથી કેવી રીતે મૌન રહેવાય? રાજનીતિમાં મૌન ન રહેવાય. જો દબાઇ ગયા તો સમજો તમારું રાજકારણ પતી ગયું.

'નનામો પત્ર લખે એવા બાયલા લોકોને હું ખુલ્લા પાડું છું'
નર્મદા જિલ્લામાં હાલ નનામો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં મનસુખ દાદાની જગ્યાએ (મન દુઃખ દાદા) ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો છે. એ બાબતે મનસુખ વસવાને પૂછતાં તેમણે જણાવ્યું, એવા લેટર તો ફર્યા કરે, વિઘ્નસંતોષી માણસો જ આવું કામ કરે. હું એટલી તાકાતથી પ્રજાની વચ્ચે જાઉં છું. આજે સાતેસાત વિધાનસભામાં હું જાઉં છું અને જે સાચી વાત કહેવાની હોય એ કહું છું. કેટલાક લોકો જે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે એવા બાયલા લોકોને હું ખુલ્લા પાડું છું. એવા જ લોકો આવો નનામો પત્ર લખે છે. જો હિમ્મત હોય તો મારી સાથે આવે ને વાર્તાલાપ કરે.

 

'હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકાવું'
પત્ર મુદ્દે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું એની ચિંતા જ નથી કરતો ,બેફિકરાઈથી હું મારું કામ કર્યા કરું છું. હું ભગવાનથી ડરીને કામ કરું છું. તેમના પરિવારને ટાર્ગેટ કરાતો હોવાનું પૂછતાં તેમણે કહ્યું હતું કે રાજનીતિમાં આવું બધું ચાલ્યા કરે, આપણે ચિંતા નહીં કરવાની. પત્રમાં ઉલ્લેખ છે કે મનસુખ વસાવા નગરપાલિકા પાસેથી પૈસા લે છે, એ વિશે પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું હતું કે એ તો આક્ષેપ કરનારાઓ કરે, મારે પૈસા બનાવવા હોય તો દહેજ, ઝઘડિયા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો આવેલા છે. હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકાવું એવી મારામાં તાકાત છે, પણ હરામનો પૈસો મારા ઘરમાં નહીં આવે. વિધાનસભા ડેડિયાપાડા બેઠક હારવાનું ઠીકરું મનસુખ વસાવા અને નીલ રાવના માથે ફોડવામાં આવ્યું છે એ વિશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે લોકોએ વિરુદ્ધમાં કામ કર્યું હોય એ લોકો આવાં કામ કરે.

adv

Related News

post
post
post
post
post
post
post