સ્વામીએ એવો દાવો કર્યો હતો કે અગાઉ કેન્દ્ર સરકારે આવી વાતો કરી છે પણ નવા રહેઠાણમાં તેમની સુરક્ષા માટે હકીકતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટમાં પોતાની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર સામે કેસ લડી રહેલા ભાજપના જ રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટર ઉપર એક સંદેશમાં જણાવ્યું છે કે તેમને આશા છે કે મોદી અને શાહ તેમની સાથે હરેન પંડ્યા જેવું કઈ નહી કરે. અહી નોંધવું જોઈ કે ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાને અમદાવાદના લો ગાર્ડન પાસે અજાણ્યા શખ્સોએ ગોળીમારી હત્યા કરી હતી.
સ્વામીએ
પોતાના ટ્વીટમાં જણાવ્યું છે, “મારા ઉપર હરેન પંડ્યા જેવું આયોજન મોદી અને શાહ નહિ
કરી રહ્યા હોય એવી મને આશા છે. જો એવું હોય તો મારે મારા મિત્રોને જાણ કરવી પડશે.
યાદ રાખજો હું જેવા સાથે તેવો છું. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના નેતાઓને
પણ હતપ્રભ કર્યા છે.”
સુબ્રમણ્યમ સ્વામીને Z શ્રેણીની સુરક્ષા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. તેમણે કેન્દ્ર સરકાર ઉપર કેસ કરેલો છે કે પોતે સરકારી મકાન ખાલી કરી હવે દિલ્હીમાં ખાનગી મકાનમાં રહેવા જઈ રહ્યા છે. આ સમયે કેન્દ્ર સરકાર દ્વારા તેમની સુરક્ષા માટે ઉચિત પગલાં લીધા નથી. જોકે, કેન્દ્ર સરકારે આજે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે સ્વામીની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે અને તેમાં કોઈ કચાશ રાખવામાં આવશે નહી.
Z શ્રેણી હેઠળ નેતાને જે સુરક્ષા મળવી જોઈએ એ બધી આપવામાં આવશે. સ્વામી જે નવા ખાનગી બંગલામાં રહેવા જઈ રહ્યા છે ત્યાં પણ આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, તેમની સાથે ૨૪ કલાક એક બોડીગાર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું કેન્દ્ર સરકારે એક એફીડેવીટમાં હાઈકોર્ટને જણાવ્યું હતું. સ્વામીએ એવો દાવો કર્યો હતો કે અગાઉ કેન્દ્ર સરકારે આવી વાતો કરી છે પણ નવા રહેઠાણમાં તેમની સુરક્ષા માટે હકીકતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.