• Home
  • News
  • લાલકિલ્લા પરથી મોદીનું સંબોધન:ભાવુક થયા PM, કહ્યું- નારીના સન્માનમાં જ દેશનું ગૌરવ છે, આપણે તેમને અપમાનિત ન કરવાનો સંકલ્પ લઈએ
post

75 વર્ષમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા, ડરાવવામાં આવ્યું છતાં ભારત આગળ વધતું ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-15 19:09:17

સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપોની સલામી અપાઈ હતી. લાલ કિલ્લા પરથી તેમણે દેશ સામે 5 સંકલ્પ રાખ્યા અને ત્રિશક્તિનો મંત્ર આપ્યો. તેમણે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને એક નવું નામ "PM સમગ્ર સ્વાસ્થ્ય મિશન"ના વિસ્તારનો ઉલ્લેખ કર્યો. ગાંધીજી, નેહરુજી અને સાવરકરને યાદ કર્યા.

નારીશક્તિનાં સન્માન અને ગૌરવની વાત કરી તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે મારું દર્દ દેશવાસીઓને નહીં કહું તો કોને કહીશ. ઘરમાં એકતા ત્યારે જ સ્થપાય છે જ્યારે દીકરો-દીકરી સમાન હોય. જેન્ડર ઈક્વાલિટી એકતાની પ્રથમ શરત છે. ઈન્ડિયા ફર્સ્ટ જ એકતાનો પ્રથમ મંત્ર છે. શ્રમિકોનું સન્માન કરવું જોઈએ. મારી એક પીડા છે, મારી અંદર એક દર્દ છે કે કોઈ ને કોઈ કારણે આપણી અંદર એક વિકૃતિ આવેલી છે. આપણે શબ્દોમાં નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીના અપમાન કરવાની દરેક વાતથી મુક્તિનો સંકલ્પ લઈ શકીએ છીએ.

ગાંધી, બોઝ, આંબેડકરને યાદ કરવાનો સમય છે
PM
મોદીએ કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક છે. એક પુણ્ય પડાવ, એક નવો માર્ગ, એક નવો સંકલ્પ અને નવી તાકાત સાથે કદમ આગળ મૂકવાનો અવસર છે. આઝાદીના યુદ્ધમાં ગુલામીનો પૂરો સમય સંઘર્ષમાં વીત્યો છે. ભારતનો કોઈ ખૂણો એવો ન હતો કે જ્યારે દેશવાસીઓએ અનેક વર્ષો સુધી ગુલામી સામે યુદ્ધ ન કર્યું હોય, આહુતિ ન આપી હોય. આજે તમામ દેશવાસીઓ માટે આ મહાપુરુષોને નમન કરવાનો અવસર છે. તેમનું સ્મરણ કરી તેમનાં સપનાંને પૂરાં કરવાનો સંકલ્પ લેવાનો અવસર છે. આજે આપણે કૃતજ્ઞ છીએ પૂજ્ય બાપુના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકરના... તેમણે કર્તવ્યના માર્ગ પર જીવનને ખપાવી દીધું. આ દેશ કૃતજ્ઞ છે મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાક અલ્લા ખાં, રામ પ્રસાદ બિસ્મિલ. આ ક્રાંતિકારીઓએ અંગ્રેજોના શાસનને હલાવી દીધું હતું.

આપણે પાંચ પ્રતિજ્ઞા લેવી પડશે, તો જ સ્વાતંત્ર્યપ્રેમીઓનાં સપનાં સાકાર થશે
PM
એ કહ્યું હતું કે જો આપણે આપણી પીઠ થપથપાવતા રહીશું તો આપણાં સપનાં દૂર થઈ જશે, તેથી ભલે આપણે ગમે તેટલા સંઘર્ષ કર્યો હોય છતાં આજે જ્યારે આપણે અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે હું લાલકિલ્લા પરથી 130 કરોડ લોકોને આહ્વાન કરું છું. મિત્રો, મને લાગે છે કે આવનારાં 25 વર્ષ સુધી પણ આપણે આ પાંચ સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. 2047માં આઝાદીનાં 100 વર્ષ થવાનાં છે, ત્યારે આઝાદીપ્રેમીઓનાં તમામ સપનાંને સાકાર કરવાની જવાબદારી આપણે લેવી પડશે, આગળ વધવું પડશે.

પ્રથમ સંકલ્પ: હવે દેશને મોટા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. ખૂબ મોટા સંકલ્પ સાથે ચાલવું પડશે. મોટો સંકલ્પ છે વિકસિત ભારત.

બીજો સંકલ્પ: જો હજુ પણ આપણા મનમાં કોઈપણ ખૂણામાં ગુલામીનો એકપણ અંશ હોય તો તેને કોઈપણ સંજોગોમાં છોડવાનો નથી. હવે આપણે એમાંથી સો ટકા છુટકારો મેળવવો પડશે, જેણે આપણને સેંકડો વર્ષોથી ગુલામીમાં પકડીને રાખ્યા છે.

ત્રીજો સંકલ્પ: આપણને આપણા વારસા પર ગર્વ હોવું જોઈએ. આ એ વારસો છે, જેણે એક સમયે ભારતને સુવર્ણકાળ આપ્યો હતો. આ વારસા પર આપણને ગર્વ હોવું જોઈએ.

ચોથો સંકલ્પ: એકતા અને એકજૂથતા. 130 કરોડ દેશવાસીઓમાં એકતા. ન તો પોતાનું કે ન કોઈ પરાયું. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપના માટે એકતાની શક્તિ એ આપણી ચોથી પ્રતિજ્ઞા છે.

પાંચમો સંકલ્પ: નાગરિકોની ફરજ, જેમાં પીએમ પણ બહાર નથી હોતા, સીએમ પણ બહાર નથી હોતા. તેઓ પણ નાગરિક છે. આવનારાં 25 વર્ષનાં સપનાં પૂરાં કરવા માટે ઘણો જુસ્સો છે. જ્યારે સપનાં મોટા હોય છે, જ્યારે વિચારો મોટા હોય છે ત્યારે પ્રયત્ન પણ ઘણો મોટો હોય છે.

જેમને ભુલાવી દેવાયા હતા અમે તેમને ફરી યાદ કર્યા
જ્યારે આપણે આઝાદીની ચર્ચા કરીએ છીએ ત્યારે જંગલોમાં રહેનારા આદિવાસી સમાજના ગૌરવને ન ભૂલવું જોઈએ. બિસરા મુંડા સહિત અનેક નામો છે, જેમણે આઝાદીના આંદોલનનો અવાજ બનીને જંગલોમાં દૂર દૂર સુધી આઝાદી માટે પ્રાણ આપી દેવાની પ્રેરણા આપી.

તમામ દર્દો હસતાં હસતાં સહન કર્યાં
PM
મોદીએ કહ્યું હતું કે 14 ઓગસ્ટના દિવસને ભારતે પાર્ટિશન થ્રેટ મેમરી દિવસને યાદ કરાયો. દેશવાસીઓએ ભારત પ્રત્યેના પ્રેમના કારણે તમામ દુ:ખો હસતાં હસતાં સહન કર્યા. આઝાદીના અમૃત મહોત્સવમાં સેનાના જવાનો, પોલીસકર્મચારીઓ, બ્યૂરોક્રેટ, લોકસેવક, જનપ્રતિનિધિ, શાસક-વહીવટકર્તાઓ રહ્યા છે.

ડરાવવામાં આવ્યું છતાં ભારત આગળ વધતું ગયું
75 વર્ષની આપણી યાત્રામાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. સુખ-દુ:ખ આવતાં રહ્યાં. આ દરમિયાન આપણા દેશવાસીઓએ પુરુષાર્થ કર્યા. સફળતા મેળવી. એ વાસ્તવિકતા પણ છે કે ગુલામીએ અનેક ઘાવ આપ્યા. આમ છતાં અંદર એક જુસ્સો અને જીદ હતાં. આઝાદી મળી રહી હતી ત્યારે દેશવાસીઓને ડરાવાઈ રહ્યા હતા. આપણે અનાજનું સંકટ સહન કર્યું. યુદ્ધનો શિકાર થયા. આતંકવાદીઓનું પ્રોક્સીવોર, કુદરતી આપત્તિઓ સહન કરી. આમ છતાં ભારત આગળ વધતું રહ્યું.


હું આઝાદી પછી જન્મેલી પ્રથમ વ્યક્તિ છું...

પીએમે વધુમાં જણાવ્યું હતું કે જેમના મનમાં લોકશાહી હોય છે, જ્યારે તેઓ સંકલ્પ સાથે ચાલી નીકળે છે, એ સામર્થ્ય વિશ્વની મોટી સત્તાઓ માટે સંકટનો સમય લઈને આવે છે. લોકશાહીની આ માતા, આપણા ભારતે સાબિત કર્યું છે કે આપણી પાસે અમૂલ્ય શક્તિ છે. 75 વર્ષની સફરમાં ઉતાર-ચઢાવ આવ્યા. 2014માં દેશવાસીઓએ મને જવાબદારી સોંપી. આઝાદી પછી જન્મેલી હું એવી પહેલી વ્યક્તિ છું, જેને લાલકિલ્લા પરથી દેશવાસીઓનું ગૌરવ ગાવાની તક મળી, પણ હું તમારા લોકો પાસેથી જે કંઈ પણ શીખ્યો છું, હું તમને જેટલું જાણી શક્યો છું, હું સુખ અને દુઃખને સમજી શક્યો છું... એને લઈને મેં મારો આખો કાર્યકાળ દેશના લોકોને મજબૂત કરવામાં વિતાવી દીધો- પછી તે દલિત, શોષિત, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, હિમાલયની કોતરો હોય, સમુદ્રનો કિનારો હોય, દરેક ખૂણામાં બાપુનું જે સપનું હતું. અંતે, માણસને સક્ષમ બનાવવાનું, મેં મારી જાતને તેને સમર્પિત કરી દીધી.

 

adv

Related News

post
post
post
post
post
post
post