કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ‘મોદી’ અટકની બદનક્ષી બદલ ભાજપ નેતા પુર્ણેશ મોદીએ સુરતની નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
અમદાવાદ: રાહુલ ગાંધી દ્વારા પોતાની વિરુદ્ધના 2 વર્ષની સજાના સુરત
સેશન્સ કોર્ટના ચુકાદાને ગઇકાલે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રાહુલ
ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરી દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં અરજન્ટ સર્ક્યુલેશન
માટે માગ કરવામાં આવી હતી. જેમાં તાત્કાલિક સુનાવણીની માગ ગ્રાહ્ય રાખવામાં આવી
હતી. પરંતુ જસ્ટિસ ગીતા ગોપી એ 'નોટ બિફોર મી' એટલે કે પોતે આ અરજી
સાંભળવાનો ઇન્કાર કર્યો હતો. હવે એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ દ્વારા આ અરજી કોણ
સાંભળશે તે નક્કી કરશે. આગામી સમયમાં હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાશે.
ચાંપાનેરીએ દલીલ કરી
હતી કે, આ પ્રાઇવેટ ફરિયાદ છે
રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ જણાવ્યું હતું કે, અરજન્ટ હિયરિંગ માગ
સાથે જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આસિસ્ટન્ટ ગવર્ન્મેન્ટ
પ્લીડરે વિરોધ કરતા કહ્યું કે, આ અરજી સર્ક્યુલેશનમાં આવી શકે પણ હિયરિંગમાં ન આવી શકે. જો
કે, ચાંપાનેરીએ દલીલ કરી હતી કે, આ પ્રાઇવેટ ફરિયાદ છે અને રાજ્ય સાથે કોઈ લેવાદેવા નથી. એક
નાના હિયરિંગ પછી ગીતા ગોપીએ અરજી ન સ્વીકારતા કહ્યું કે, ‘નોટ બીફોર મી’. આથી રજિસ્ટ્રારને આ
કેસને ચીફ જસ્ટિસ પાસે મોકલી બીજી બેંચને એસેસમેન્ટ માટે મોકલી દો.
‘નોટ બીફોર મી’ આવું જજ ક્યારે કહે છે?
દેશની અદાલતોમાં રોજના હજારો કેસ પર સુનાવણી થતી હોય છે. કોર્ટના ચીફ જસ્ટિસ
દ્વારા જુદા-જુદા જજીસને કેસની સુનાવણી માટે ફાળવણી કરવામાં આવે છે. જેમાં કેટલીક
વાર જજ દ્વારા કોઈ કેસની સુનાવણીમાં ‘નોટ બીફોર મી’ કહેવામાં આવે છે. એટલે
કે જજ આ કેસ પર સુનાવણી કરવા માગતા નથી.
‘નોટ બીફોર મી’ને લઈ હાઇકોર્ટના
એડવોકેટ સુબ્રમણ્યમે શું કહ્યું?
હાઇકોર્ટના એડવોકેટ સુબ્રમણ્યમ ઐયરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જજ આવું કરી શકે છે. તે
માટે સ્પેસિફિક કારણ જાહેર કરવા તેઓ બંધાયેલા નથી. પરંતુ સામાન્ય રીતે જ્યારે જજે
કેસ સાથેના વકીલ સાથે અગાઉ કામ કર્યું હોય, વકીલે જુનિયર તરીકે
જજની અન્ડર અગાઉ કામ કર્યું હોય, અસીલ કે વકીલ જજના સગાં હોય એવું કોઈ પણ કારણ હોઈ શકે.
અગાઉ સુપ્રીમ કોર્ટમાં
જજે ‘નોટ બીફોર મી’ કહ્યું હતું
અગાઉ જગન મોહન રેડ્ડી સરકારના એક કેસમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ
યુ.યુ. લલિતે પણ ‘નોટ બીફોર મી’ કહ્યું હતું. કારણ કે, યુ.યુ. લલિત અગાઉ જગન મોહન રેડ્ડીના વકીલ રહી ચૂક્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના 2014ની લોકસભા ચૂંટણીમાં વોટ આપવા જતી વખતે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન કેસમાં પણ
હાઇકોર્ટના જજ જી.આર. ઉધવાણી દ્વારા ‘નોટ બીફોર મી’ કહેવામાં આવ્યું હતું.
અગાઉ પાટીદાર નેતા હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં ડિસ્ચાર્જ અપીલ દાખલ કરી હતી.
જેમાં ગુજરાત હાઇકોર્ટ જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ ‘નોટ બીફોર મી’ કહ્યું હતું.
સુરતમાં નીચલી કોર્ટના
ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ‘મોદી’ અટકની બદનક્ષી બદલ ભાજપ
નેતા પુર્ણેશ મોદીએ સુરતની નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેની પર સુરત
કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા 2 વર્ષની સજા ફરમાવી હતી.
જેમાં રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થયું છે. સુરતની નીચલી કોર્ટના ચુકાદા સામે
રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટ સુરતમાં નીચલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી.
હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે
પરંતુ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત
રાખ્યો હતો. કોંગ્રેસની સેન્ટ્રલ લીગલ ટીમ દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદા
સંદર્ભે અરજીનો મેમો તૈયાર થયો હતો. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધીએ
રિવિઝનલ અરજી દાખલ કરી દીધી છે. હવે રાહુલ ગાંધીની સુરત સેશન્સ કોર્ટના 2 વર્ષની સજાના ચુકાદાને પડકારતી
અરજી પર આગામી સમયમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.