• Home
  • News
  • Monsoon Session 2021: આજથી સંસદનું ચોમાસુ સત્ર, 17 મહત્વના બિલ રજુ થશે, વિપક્ષની સરકારને ઘેરવાની તૈયારી
post

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે તથા સદનની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-19 10:13:31

Parliament Monsoon Session 2021 Live Updates: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે તથા સદનની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલશે. બંને સદનોની બેઠક 11 વાગે એક જ સમયે શરૂ થશે. સરકાર ચોમાસુ સત્ર દરમિયાન અનેક બિલ પાસ કરાવવાના એજન્ડા સાથે સદનમાં આવશે જ્યારે વિપક્ષ પણ કોવિડ-19ની બીજી લહેરને પહોંચી વળવામાં સરકારની કામગીરી, પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો અને ખેડૂત આંદોલનના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. 

વિપક્ષી પાર્ટીઓ લાવશે સ્થગન પ્રસ્તાવ
સરકારને ઘેરવાની પોતાની રણનીતિ હેઠળ અનેક વિપક્ષી દળો ખેડૂતોના મુદ્દે આજે સંસદના બંને સદનોમાં સ્થગન પ્રસ્તાવ લાવવાની યોજના ઘડી રહ્યા છે. સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ વિપક્ષી દળોએ સંસદમાં રણનીતિ પર ચર્ચા કરવા માટે અલગથી બેઠક યોજી. વિપક્ષી દળની બેઠક બાદ આરએસપી નેતા એન કે પ્રેમચંદ્રને કહ્યું કે વિભિન્ન પાર્ટીઓ ખેડૂતોના મુદ્દે સંસદના બંને સદનમાં સ્થગન પ્રસ્તાવ લાવશે. વિપક્ષી દળોની બેઠકમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, આઈયુએમએલ, આરએસપી, શિવસેના અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાગ લીધો. અત્રે જણાવવાનું કે કિસાન યુનિયન ગત વર્ષ નવેમ્બરથી દિલ્હીની સરહદો પર કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં અને પોતાના પાક માટે ટેકાના ભાવ (MSP) ની કાનૂની ગેરંટીની માગણીને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. 

સરકાર વિભિન્ન મુદ્દા પર ઉપયોગી ચર્ચા કરવાના પક્ષમાં- પીએમ મોદી
સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠકમાં 33 પાર્ટીઓના નેતાઓએ ભાગ લીધો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે નિયમ મુજબ દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લલાદ જોશીના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે સરકાર સંસદમાં વિભિન્ન મુદ્દા પર ઉપયોગી ચર્ચા કરવાના પક્ષમાં છે. ત્યારબાદ અધિકૃત નિવેદન મુજબ પ્રધાનમંત્રીએ સદનમાં વિભિન્ન પક્ષોના નેતાઓને કહ્યું કે દેશની સ્વસ્થ લોકતંત્રની પરંપરા, લોકો સંલગ્ન મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉઠાવવા જોઈએ અને સરકારે આ  ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપવાનો વિકલ્પ આપવો જોઈએ. 

વિપક્ષની ઘેરવાની તૈયારી
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ કોવિડ-19 મહામારીની બીજી લહેર દરમિયાન સ્વાસ્થ્ય સેવાઓની કથિત કમી અને રાજ્યોને રસીના વિતરણ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. વિપક્ષ પેટ્રોલ, ડીઝલ, અને રાંધણ ગેસના ભાવમાં વધારાને લઈને પણ સરકાર પાસે જવાબ માંગશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ શનિવારે સંસદના સભ્યોને અપીલ કરી કે મહામારી વચ્ચે તેઓ લોકોની પડખે રહે અને સદનમાં જનતા સંલગ્ન મુદ્દાઓની ચર્ચા  કરે. 

રજુ થઈ શકે છે 17 બિલ
સરકારે આ સત્ર દરમિયાન 17 નવા બિલને રજુ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે. જેમાંથી 3 બિલ હાલમાં બહાર પાડેલા વટહુકમના સ્થાન પર લાવવામાં આવશે. જેમાંથી એક વટહુકમ 30 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જેના દ્વારા રક્ષા સેવાઓમાં સામેલ કોઈના પણ વિરોધ પ્રદર્શન કે હડતાળમાં સામેલ થવા પર રોક લગાવવામાં આવી છે. જરૂરી રક્ષા સેવા અધ્યાદેશ 2021 આયુધ ફેક્ટરી બોર્ડ (OFB)ના પ્રમુખ સંધો દ્વારા જુલાઈના અંતમાં અનિશ્ચિતકાળ હડતાળ પર જવાની ચેતવણીની પૃષ્ઠભૂમિમાં લાવવામાં આવ્યો છે. સંબંધિત સંઘ OFB ના નિગમીકરણના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. 

લોકસભા દ્વારા 12 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ અધ્યાદેશનું સ્થાન લેવા માટે જરૂરી રક્ષા સેવા વિધેયક 2021ને સૂચિબદ્ધ કરાયું છે. જ્યારે રાજધાની ક્ષેત્ર અને તેને અડીને આવેલા વિસ્તારોમાં વાયુ ગુણવત્તા પ્રબંધન માટે આયોગ-2021 અન્ય વિધેયક છે જે વટહુકમની જગ્યાએ લાવવામાં આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post