વિજય સરઘસમાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા
મોરબી જિલ્લા ભાજપમાં
વધુ એક વખત સાંસદ કુંડારિયા અને વાંકાનેરના ધારાસભ્ય સોમાણી વચ્ચેનો જૂથવાદ ઊડીને
આંખે વળગી રહ્યો છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે વાંકાનેરના રાજવી
કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર કરવામાં આવ્યા બાદ ગઈકાલે વાંકાનેર ખાતે તેમનું
ભવ્ય સ્વાગત કરી સભા યોજવામાં આવી હતી. જેમાં મોહન કુંડારિયાએ આપેલ ભાષણ ચર્ચાનું
કેન્દ્ર બન્યું છે. જેમાં સાંસદે નામ લીધા વગર કહ્યું હતું કે, ઘણાને એવું હતું કે 2024માં પૂરું થઇ જશે, પણ હવે તો 2029 સુધી સાંસદ અમારા
વાંકાનેરના રહેવાના છે. આ સાથે શ્વાન અને ગાડાની કહેવત પણ લોકો સમક્ષ મૂકતા બન્ને
વચ્ચેનો જૂથવાદ ચરમસીમાએ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રેલીમાં વાકાંનેરના MLA ગેરહાજર રહ્યા
રાજ્યસભાના ભાજપના ઉમેદવાર વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર
થયા બાદ ગઈકાલે તેઓ વાંકાનેર પહોંચ્યા હતા અને રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં
મોટી સંખ્યામાં આગેવાનો ઉપરાંત નગરજનો જોડાયા હતા. પરંતુ આ રેલીમાં પણ ભાજપનો
જૂથવાદ જોવા મળ્યો હતો. કારણ કે, આ વિજય સરઘસ કાર્યક્રમમાં ખુદ વાંકાનેરના જ ધારાસભ્ય જિતુ
સોમાણી ગેરહાજર જોવા મળ્યા હતા.
2029 સુધી
સાંસદ તો વાંકાનેરના જ રહેવાનાઃ મોહન કુંડારિયા
વિજય સરઘસ પૂર્ણ થયા બાદ યોજાયેલી સભામાં નેતાઓના
ભાષણમાં ભાજપનો જૂથવાદ જોવા મળ્યો હતો. સાંસદ મોહન કુંડારિયાએ પોતાની સ્પીચમાં
વિરોધી જૂથ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે,
ઘણા લોકોને એમ હતું કે 2024માં પૂરું થઇ જશે પણ હવે તો અહીંથી શરૂ થાય છે અને 2029
સુધી સાંસદ તો વાંકાનેરના જ રહેવાના છે. જ્યારે આ જ
ભાષણમાં આક્રમક રીતે પ્રહાર કરતા એક કહેવત સાથે કહ્યું હતું કે, ખેડૂત ગાડામાં લીલું ભરીને જાય, રસ્તો ગમે તેવો હોય બળદ વફાદારીપૂર્વક
લઇ જાય છે. ત્યારે નીચે શ્વાન આવી જાય તો એને એમ લાગે કે ગાડું તે ખેંચે છે, પણ વાસ્તવમાં ગાડું બળદ ખેંચતા
હોય છે.
કેટલાક લોકોએ એવું ન સમજવું કે ગાડું તેઓ ખેંચી રહ્યા છે
ભાજપના જ સાંસદે ભાજપના જ ધારાસભ્ય કે જેઓ તેમની
વિરોધમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમને આડે હાથ લેતા કહ્યું કે, આપણા વફાદાર નેતાને આપણે
વધાવીએ છીએ. પરંતુ અહીંયાં પણ કેટલાક લોકોએ એવું ન સમજવું કે ગાડું તેઓ ખેંચી
રહ્યા છે. મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા બદલ તમારા બધાનો હું આભાર વ્યક્ત
કરું છું.
વિજય સરઘસમાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા
કેસરીદેવસિંહ ઝાલાની સ્વાગત રેલી ગઈકાલે વાંકાનેર
બાઉન્ડ્રી ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને શહેરના રાજમાર્ગો પર ફરી હતી. જે
રેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી,
સાંસદ મોહન કુંડારિયા,
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને
ધારાસભ્ય કાન્તિ અમૃતિયા તેમજ સહકારી અગ્રણી મગન વડાવિયા પણ જોડાયા હતા.