સીએસકેના માલિકે કહ્યું કે ધોની આ વર્ષે પણ ટીમની આગેવાની કરશે અને આગામી વર્ષે એટલે કે 2021માં પણ ટીમનું નેતૃત્વ કરશે
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈ અટકળોનો બજાર હાલ પણ ગરમ છે. જોકે હવે આ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ના માલિક એન શ્રીનિવાસને ધોનીને લઈ મોટું નિવેદન આપ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ સીએસકેના માલિકે કહ્યું કે ધોની આ વર્ષે પણ ટીમની આગેવાની કરશે અને આગામી વર્ષે એટલે કે 2021માં પણ ટીમનું નેતૃત્વ કરશે. આપને જણાવી દઈએ કે ધોની શરૂઆતથી જ સીએસકે ટીમ સાથે જોડાયેલ છે. જો કે, ટીમ પર પ્રતિબંધ લાગવાના કારણે વચ્ચે ધોની બે વર્ષ ટીમનો હિસ્સો નહોતો. વિકેટકીપર અને બેટ્સમેન ધોની છેલ્લા 6 મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે અને કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમી નથી.
આ કારણે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI)
તાજેતરમાં જાહેર કરેલ ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ધોનીને સામેલ નહોતો કર્યો. મીડિયા રિપોર્ટ મુજબ શ્રીનિવાસને કહ્યું કે ધોની દર વખતે ટીમનું નેતૃત્વ કરશે અને
2021માં પણ હરાજીમાં તેમને રિટેન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ ત્રણ વખત IPLનો ખિતાબ જીતી છે. થોડા દિવસ પહેલા ધોની રાણજીમાં ઝારખંડ તરફથી નેટ પ્રેક્ટિસ કરતા નજરે આવ્યો હતો.