ફાયર સેફ્ટીના અભાવે ચિરિપાલની નંદન ડેનિમનું લાઈસન્સ સસ્પેન્ડ
અમદાવાદ: પીરાણા પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેકટરી નંદન ડેનિમનું લાઈસન્સ મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગે અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કરી દીધું છે. ફેક્ટરીમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, ઘટનાના 48 કલાક પછી પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યા નથી અને કહ્યું છે કે, જ્યાં સુધી માલિકો કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. એક મૃતકના સગાંએ આક્ષેપ કર્યો હતો કે, વીમો પકવવા માટે આગ લગાડવામાં આવી હતી. ફાયર અને એફએસએલ પણ આ દિશામાં તપાસ કરી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. ચિરિપાલ કંપનીના અગ્નિકાંડમાં સંડોવાયેલા ત્રણેય અધિકારીને ચાર દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યા હતા.
આગની ઘટનાને પગલે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગે સોમવારે કંપનીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં કંપનીના પરિસરમાં ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા ન હોવાનું તેમજ તે કાર્યરત પણ ન હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્રણ દિવસમાં ફાયર એનઓસી પણ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. કલોથ પ્રોસેસનો ધંધો કરનારા કોઈ પણ એકમે જીપીએમસી એકટ મુજબ, નિયત ધારાધોરણ પ્રમાણેના ‘ના વાંધા પ્રમાણપત્રો’ તથા લાઈસન્સ લેવાના હોય છે. જેથી દક્ષિણ ઝોને આપેલું અખાદ્ય લાઈસન્સ અચોક્કસ મુદત સુધી સસ્પેન્ડ કરી દેવાયું છે. તેમજ નવેસરથી લાઈસન્સ આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ કરવી કે કરાવવા અંગે મનાઈ ફરમાવી દેવાઈ છે. જો આ પ્રકારની પ્રવૃત્તિ કરાશે તો કંપનીને સીલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આગની ઘટનામાં કુલ સાત લોકોના મૃત્યુ થયા હતા.
જૂથની કંપનીમાં દર વર્ષે આગ લાગે છે
ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે કહ્યું કે, ચિરિપાલ ગ્રૂપની કંપનીઓમાં દર વર્ષે નાના-મોટા આગના બનાવો બને છે. વર્ષ
2016માં મોટી આગ લાગી હતી અને ત્યારબાદ તેમને નોટિસ પણ આપી હતી. આ પછી પણ 2017માં આગ લાગી હતી. અને હવે ફરી એક વખત આગની ઘટના બની છે.
હવે ફાયર ચોકી બનાવાશે
શહેરના કોઈ પણ વિસ્તારથી ફાયર સ્ટેશન 10 કિલોમીટર દૂર હોય તેવા તમામ વિસ્તારોમાં હવે ફાયર ચોકી બનાવવાનો નિર્ણય લેવાયો છે. ટીમ ઝડપથી પહોંચે તો આગ વધુ ફેલાય નહીં તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
584
પાસે જ ફાયર NOC
શહેરના વટવા સહિતના ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં અંદાજે
3000 થી વધુ ફેક્ટરીઓ આવેલી છે. આમાંથી માંડ 584
પાસે જ ફાયર એનઓસી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મૃતકોના પરિવારોને 10 લાખની સહાય આપીશું
ચિરિપાલ ગ્રૂપના પ્રતિનિધિ યોગેશ ઠાકરે જણાવ્યું હતું કે,ઘટના ખૂબ જ દુ:ખદ છે. અને કંપનીએ દરેક મૃતકોને વળતર પેટે રૂા.10 લાખ અને પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. અમારી કંપની પાસે પણ પોતાનો ફાયર વિભાગ છે. અને આગ લાગી ત્યારે પણ અમે ખૂબ જ મહેનત કરી હતી પરંતુ કેવી રીતે આગ પ્રસરી ગઈ તે ખબર જ ન પડી. ધુમાડો એટલો બધો હતો કે તેઓ બહાર નીકળી શક્યા નહીં.
3
આરોપીના 4 દિવસના રિમાન્ડ
ચિરિપાલ ગ્રૂપની નંદન ડેનિમના 3 આરોપી પી.આર.શર્મા, આર.વી.સિંહા, બી.સી.પટેલને જિલ્લા સેશન્સ કોર્ટે 4 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. એસ.સી.એસ.ટી.સેલના એસીપી એ.વી.પટેલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, આરોપી કંપનીના ડિરેક્ટર અને ફાયર ઈલેક્ટ્રિક ઓફિસર છે. તેમણે શું બેદરકારી દાખવી હતી તે અંગે તપાસ કરવાની છે. આગમાં 7 લોકોના મોત થયા છે. તે જગ્યાએ વિવિધ સરકારી વિભાગોના નિરીક્ષકો દ્વારા આરોપીઓને સાથે રાખી નિરીક્ષણ કરાવવાનું છે. ફેક્ટરીમાં જલદ પદાર્થ રાખવામાં આવ્યો હતો કે કેમ? કંપનીના અન્ય અધિકારી કે કોઇ સરકારી વિભાગના અધિકારીની બેદરકારી અંગેની તપાસ કરવાની છે. નાસતા ફરતા સહઆરોપીઓને પકડવાના હોઇ રિમાન્ડ મંજૂર કરવા જોઇએ.