યુનિયનોના દાવા પ્રમાણે 25 કરોડ લોકો સામેલ થશે, આ હડતાલ 24 કલાક માટે રહેશે
8 જાન્યુઆરીએ દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયન સહિત અન્ય સ્વતંત્ર એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે ભારત સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ દસ ટ્રેડ યુનિયનમાં INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC સહિતના યુનિયન સામેલ છે.
આ યુનિયન સમૂહ પ્રમાણે તેઓ ભારત સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં આ હડતાલ કરશે. તેમાં જાહેર સંપત્તિઓનું ખાનગીકરણ, એરઈન્ડિયામાં સો ટકા વેચાણ અને અન્ય બાબતો સામેલ છે. આ યુનિયન સમૂહના દાવા પ્રમાણે 8 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાલમાં 25 કરોડ લોકો સામેલ થશે.
હડતાલ અંગેની માહિતી
ક્યારે થશે- 8 જાન્યુઆરી 2020, બુધવારે
કેટલા સમય માટે?
આ 24 કલાકની હડતાલ હશે જે બુધવારે વહેલી સવારથી શરૂ થશે.
કેટલા લોકો જોડાશે?
અંદાજે 25 કરોડ.(યુનિયનના દાવા પ્રમાણે)
કામદારોની માંગણી- આ બંધનું એલાન સરકારની નીતિઓના વિરુદ્ધમાં કરવામાં આવ્યું છે જેમાં વિનિવેશ, પબ્લિક સેક્ટર યુનિટનું ખાનગીકરણ અને બેન્કોના મર્જર સહિતના મુદ્દાઓ છે. તેમાં 12 પોઇન્ટ કોમન માંગણીઓનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે જેમાં કામદારોના લઘુતમ વેતન, સામાજિક સુરક્ષા સહિતની માંગણીઓ સામેલ છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ આ હડતાલમાં સામેલ થશે ?
કેન્દ્ર સરકારના કર્મચારીઓ આ હડતાલમાં સામેલ નહીં થાય કારણ કે ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે આ પ્રકારની હડતાલ માટે સામૂહિક રીતે રજા પર ઉતરવાની મનાઇ કરી છે. આ પ્રકારના કૃત્યને સીસીએસ કન્ડક્ટ રૂલ, 1964ના ભંગ તરીકે ગણવામાં આવે છે.
તેના માટે અધિકારીઓને હડતાલના સમય દરમિયાન કોઇ પણ પ્રકારની રજા મંજૂર ન કરવા માટે જણાવ્યું છે. જો કોઇ કર્મચારી આ હડતાલમાં સામેલ જણાશે તો તેના પર નિયમોનુંસાર કાર્યવાહી કરવામાં આવશે.