• Home
  • News
  • રાજકોટના ભંડારિયામાં ઔષધીય ગુણોથી સમૃદ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી, 5 વીઘા જમીનમાં ખેડૂતે મેળવ્યું વર્ષે 8 લાખથી વધુનું ઉત્પાદન
post

પાંચ વીઘામાં 5 વર્ષથી હળદરની ખેતી કરનાર વલ્લભભાઈ મૂલ્યવર્ધન માટે પાઉડર બનાવી પોતે જ વેચાણ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 10:19:30

આયુર્વેદિક ઔષધોમાં હળદર અનેક રોગમાં ગુણકારી હોવાનું માનવામાં આવે છે. શરદી, કફ ઉપરાંત ચામડીના રોગમાં રાહત આપતી હળદર કોરોના સમયમાં ઉકાળામાં ખૂબ ઉપયોગમાં લેવામાં આવી હતી. રસોઈમાં મોટે ભાગે વપરાતા મસાલામાં હળદર રસોઈને સ્વાદિષ્ટ અને રંગ આપવામાં મદદરૂપ બને છે. ત્યારે આવી ગુણકારી હળદરની એક યુવા ખેડૂતે સફળ ખેતી કરી છે. 5 વર્ષથી 5 વિઘામાં ઔષધીય ગુણોથી સમૃદ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી કરીને ભંડારિયાના વલ્લભભાઈ પટેલ વર્ષે રૂ.8 લાખથી વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનું અભિયાન
રાજકોટથી આશરે 40 કી.મી. નજીક ભંડારિયાના ખેડૂત વલ્લભાઇ પટેલ જણાવે છે કે જયારે પ્રાકૃતિક ખેતી વિશે જાણ્યું ત્યારે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનો વિચાર આવ્યો હતો. સામાન્ય રીતે બજારમાં મળતી હળદર રાસાયણિક ખાતર દ્વારા તૈયાર થતી હોય છે. લોકોને સ્વાસ્થ્યમાં વધુ ગુણકારી અને સસ્તી કિંમતે ચોખ્ખો માલ મળી રહે એ માટે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનું અભિયાન શરૂ કર્યું.

એક રોપામાંથી બે કિલોનું ઉત્પાદન
પ્રાકૃતિક પદ્ધતિથી હળદરની ખેતી અંગેની સફર અંગે વલ્લભભાઇ વધુમાં જણાવે છે કે મેં આજથી પાંચ વર્ષ પહેલાં પાંચ વીઘામાં હળદરની પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. હળદરની વાવણી માટે ખાસ પાળા ઊભા કરવા સુરતથી ટ્રેકટર અને ચાસ પાડવાની સાધનસામગ્રી મગાવી ઢોળાવ ઊભા કરી એમાં હળદરની ગાંઠો, જે બિયારણ કહેવાય એનું વાવેતર કર્યું. હળદર ઊગતાં 8 મહિના જેટલો સમય લાગે અને એને ટપક પદ્ધતિથી પાણી આપી ઉગાડવી પડે. તેઓ વધુમાં જણાવે છે કે એક રોપામાંથી આશરે બે કિલો જેટલી લીલી હળદરનું ઉત્પાદન મળે છે.

ઝાડની માટી સહિતનું મિશ્રણ પીપમાં તૈયાર કર્યું
પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત પણ જાતે જ બનાવ્યું, જેમાં ગૌમૂત્ર, છાણ, લીંબોળી, ચણાનો લોટ, વડલાના ઝાડની માટી સહિતનું મિશ્રણ પીપમાં તૈયાર કર્યું, જે જરૂરિયાત મુજબ પિયત સાથે ભેળવી દેવાનું. આશરે 8 મહિને હળદરનો પાક તૈયાર થાય, ત્યાર બાદ એની લણણી કરવાની.

પરિવાર મદદ કરે છે
કોઠાસૂઝ ધરાવતા વલ્લભભાઈએ લીલી હળદર માર્કેટમાં વેચવાને બદલે એનો પાઉડર બનાવી મૂલ્યવર્ધન સાથે વેચાણ કરવાનું પણ જોખમ લીધું. હળદરને સૂકવવા બોઇલર તેમજ ક્રશર એટલે કે ઘંટી પણ વસાવી લીધી. પેકિંગ સહિતની જવાબદારી પરિવારજનોએ ઉપાડી લીધી અને ફાર્મ પરથી જ વેચાણ શરૂ કર્યું.

બ્રાંડનેમ બનાવવાનું આયોજન
વલ્લભભાઈની મહેનત હળદરની માફક રંગ લાવી, આજે તેમને અગાઉથી હળદરનું બુકિંગ કરવું પડે છે. તેઓ વર્ષેદહાડે વીઘે 40 મણ એટલે કે 5 વીઘે 200 મણ હળદર ઉત્પાદિત કરી તેના પાઉડરનું વેચાણ કરી 8 લાખથી વધુની કમાણી કરી લે છે. તેઓ દર વર્ષે હળદર સંપૂર્ણ ઓર્ગેનિક છે. એનું પ્રમાણપત્ર પણ પ્રમાણિત લેબોરેટરી મારફત મેળવે છે. આવનારા સમયમાં તેઓ પોતાની બ્રાંડનેમ સાથે માર્કેટમાં પોતાની હળદરને આગવી ઓળખ આપવાનું આયોજન કરી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post