રાજકોટમાં જાગનાથ મંદિરે શીશ ઝુકાવી રેલીસ્વરૂપે ફોર્મ ભરવા જશે; પૂર્વ રાજ્યપાલની હાજરીમાં નોમિનેશન ફાઇલ કરશે
રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના
ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આવતીકાલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર
ભરવાના છે. રૂપાલા આવતીકાલે યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ
ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક સુધી પહોંચશે. જ્યાં રૂપાલા જંગી સભાને
સંબોધવાના છે, જેને લઇને આજે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમના આ ઉમેદવારી પત્ર ભરવાના
સમયે તેમની સાથે તમામ ધારાસભ્યો, પૂર્વ મુખ્યમંત્રી, કર્ણાટકના પૂર્વ ગવર્નર
તેમજ મેયર સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. એ બાદ તેઓ 12.39 ટકોરે વિજય મુહૂર્તમાં
લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે.
રૂપાલા નોમિનેશન પહેલાં
સભા ગજાવશે
રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આવતીકાલે પુરુષોતમ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરવાના
છે. જંગી સભા સંબોધવાના છે, ત્યારે તેને લઈને રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના
ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા પોતાનું ચૂંટણી ફોર્મ ભરવાના છે. સૌપ્રથમ તેઓ 16મી એપ્રિલે સવારે 9 વાગ્યે શહેરના યાજ્ઞિક
રોડ ઉપરના જાગનાથ મહાદેવ મંદિરે જશે. જ્યાં મહાદેવ સમક્ષ શીશ ઝુકાવશે. જે બાદ તેઓ
રેલી મારફત બહુમાળી ભવન ચોક સુધી પહોંચશે. આ રેલીમાં તેમની સાથે ગુજરાત રાજ્યના
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, રાજ્યસભાના સાંસદ રામ
મોકરિયા, લોકસભાનાં પૂર્વ સાંસદ મોહન કુંડારીયા ઉપરાંત રાજકોટના મેયર સહિતનાં
મહાનગરપાલિકાના પદાધિકારીઓની સાથે સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના
છે.
વિશાળ સ્ટેજ બનાવાઈ રહ્યો છે
પુરુષોતમ રૂપાલાનો આજે મોરબીમાં કાર્યક્રમ છે, ત્યારે આવતીકાલે સીધા તેઓ
રાજકોટમાં બહુમાળી ભવન ચોક ખાતે સવારે 10:30 વાગે આસપાસ જંગી સભાને સંબોધવાના છે, જે બાદ તેઓ બપોરે 12.39 મિનિટે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જશે. રૂપાલાના ડમી
ઉમેદવાર તરીકે લોકસભાના પૂર્વ સાંસદ કુંડારીયા છે. જોકે,
રૂપાલાની આવતીકાલની સભાને લઈને બહુમાળી ભવન ચોક ખાતે
વિશાળ સ્ટેજ સાથે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો
ઉલ્લેખનીય છે કે,
એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોતમ રૂપાલાની ટિકિટ
રદ થાય તે માટે આંદોલન ચાલી રહ્યું છે. ઠેર ઠેર સંમેલન બોલાવવામાં આવી રહ્યાં છે.
ગઇકાલે જ રાજકોટનાં રતનપરમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં દોઢ લાખથી વધુ લોકો
ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આવતીકાલે 16 એપ્રિલે પુરુષોતમ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. કોંગ્રેસનાં પરેશ
ધાનાણીએ પણ ક્ષત્રિય સમાજની તરફેણ કરી રાજકોટમાંથી ચૂંટણી લડવા એલાન કર્યું છે, ત્યારે ખરો રાજકીય ચૂંટણી જંગ
જામ્યો છે.