નવા ડેથ વોરંટ માટે ફરી તિહાર જેલ તંત્ર કોર્ટના દ્વારે
નવી દિલ્હી: નિર્ભયા મામલે બે દોષિતોને અલગ-અલગ ફાંસી આપવા સંબંધિત કેન્દ્રની માંગ અંગે સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઈ ગઈ છે. કેન્દ્ર તરફથી ગુરુવારે એડિશનલ સોલિસીટર જનરલ કે.એમ.નટરાજને વહેલી સુનાવણી કરવા વિનંતી કરી હતી જેનો સ્વીકાર કરાયો છે. આ અંગે શુક્રવારે બપોરે 12:30 વાગ્યે જસ્ટિસ આર. ભાનુમતી, અશોક ભૂષણ અને એ.એસ.બોપન્નાની બેન્ચ સુનાવણી કરશે. કેન્દ્રએ આ અરજીમાં દિલ્હી હાઈકોર્ટના ચારેય દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાની માંગ ફગાવી દેતાં તમામને એકસાથે ફાંસી આપવાના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. કેન્દ્રએ કોર્ટમાં કહ્યું કે દોષિતો કાનૂની પ્રક્રિયાનો ઉપયોગ કરી કાયદાને મજાક બનાવી રહ્યા છે.
એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ ચારેય દોષિત પાસેથી જવાબ માંગ્યો
કેન્દ્રનું કહેવું છે કે જે દોષિતના કાયદાના વિકલ્પ પૂરા થઈ ગયા છે તેમને ફાંસી આપી દેવી જોઈએ. પછી ભલે અન્ય દોષિતોની અરજી પેન્ડિંગ હોય.દરમ્યાનમાં તિહાર જેલ વહીવટીતંત્રએ ગુરુવારે એકવાર ફરી ચારેય દોષિતો માટે ડેથ વોરંટ ઈશ્યૂ કરવા પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂઆત કરી છે. આ અંગે એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ ચારેય દોષિત પાસેથી જવાબ માંગ્યો છે. શુક્રવારે તે અંગે પણ સુનાવણી થશે. આ પહેલા ટ્રાયલ કોર્ટે 31 જાન્યુઆરીએ આગામી આદેશ સુધી ફાંસી પર પ્રતિબંધ લગાવ્યો હતો.
વકીલે કહ્યું- અક્ષયની દયાની અરજી અધૂરી હતી, ફરી કરીશું
દોષિતોના વકીલ એ.પી.સિંહે કહ્યું કે 31 જાન્યુઆરીએ તેમણે અક્ષય ઠાકુરની જે દયાની અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી તે અધૂરી હતી. તેમાં અક્ષયની સહી નહોતી અને તિહાર જેલ વહીવટીતંત્રએ પણ તેને પ્રમાણિત કરી નહોતી. ઉતાવળથી અરજી કરાઈ હતી.