હવે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે માલ્યા કેસની સુનાવણી માટે નવી પીઠની રચના કરશે.
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે સોમવારે ભાગેડુ જાહેર થયેલા બિઝનેસમેન વિજય માલ્યાને કડક ઠપકો આપતાં કહ્યું હતું કે તેમની એરલાઇન કિંગફિશરે બેન્કો પાસેથી મેળવેલા ઋણ પૈકી માલ્યાએ હજી ફૂટી કોડી પણ બેન્કોને પરત નથી કરી. જસ્ટિસ રોહિંટન નરિમાને માલ્યાની અરજીને પણ અટકાવી દીધા પછી પોતાની જાતને કેસથી અલગ કરી દીધી હતી. હવે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે માલ્યા કેસની સુનાવણી માટે નવી પીઠની રચના કરશે.
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાએ ગયા વર્ષે જૂનમાં તેની માલિકીની સંપત્તિને જપ્ત કરવા સામે મનાઇ ફરમાવવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. અરજીમાં તર્ક રજૂ થયા હતા કે તપાસ એજન્સીઓ દ્વારા તેની વિરુદ્ધ થયેલા આરોપ પાયાવિહોણા છે અને કેન્દ્ર સરકારે તેણે નાણા ચુકવણી માટે મૂકેલી દરખાસ્તને ફગાવી દીધી છે.
માલ્યાની કાયદાવિદોની ટીમે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે બેન્ક્સ એકસમાન દેવા માટે ભારતીય કોર્ટમાં લડી રહી હોવાથી બ્રિટનમાં દાખલ થયેલી માલ્યાને નાદાર જાહેર કરવાની અરજી રદ થવી જોઇએ. રૂપિયા ૯૦૦૦ કરોડની નાણાકીય ગેરરીતિના આક્ષેપ થતાં વિજય માલ્યા માર્ચ ૨૦૧૬માં બ્રિટન ભાગી ગયા હતા. માલ્યાની મિલકતો જપ્ત કરવાની કામગીરી હાથ ધરી ચૂકેલી દિલ્હી કોર્ટે વિજય માલ્યાને ગયા વર્ષે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા હતા. માલ્યાએ દલીલ કરી હતી કે કિંગફિશર એરલાઇન્સની મિલકતોને બાદ કરતાં અન્ય મિલકતો જપ્ત ના કરી શકાય. મુંબઇની વિશેષ અદાલતમાં માલ્યા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની કાર્યવાહી પણ ચાલી રહી છે.