કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ સંસદમાં 444 નેતાઓને જન સુરક્ષા કાયદા અંતર્ગત કસ્ટડીમાં લેવાયા હોવાની જાણકારી આપી
નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રીઓ પર ગુરૂવારે જન સુરક્ષા કાયદા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબૂબા મુફ્તીની કસ્ટડીની સમયસીમા ગુરૂવારે ખતમ થઇ રહી હતી. આ બન્ને નેતા ઓગસ્ટ 2019માં જમ્મૂ-કાશ્મીરમાંથી અનુચ્છેદ હટ્યા બાદથી નજરબંધીમાં સરકારી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
અબ્દુલ્લા અને મુફ્તી સિવાય બે અન્ય નેતાઓ પર પણ આ કાયદા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મંત્રી અલી મોહમ્મદ સગર અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના મામા સરતાજ મદનીના નામ સામેલ છે. તેમની કસ્ટડીનો સમય પણ ગુરૂવારે ખતમ થઇ રહ્યો હતો.
ફારૂક અબ્દુલ્લા તેમના ઘરે નજરકેદ
જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ઉમરના પિતા ફારૂક અબ્દુલ્લા શ્રીનગરમાં તેમના નિવાસસ્થાને નજરકેદ છે. 17 સપ્ટેમ્બરે કાશ્મીર પ્રશાસને તેમના પર નાગરિકતા સુરક્ષા કાયદા અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. 14 ડિસેમ્બરે તેમની નજરકેદ 3 મહિના માટે વધારી દેવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ કાયદાને ફારૂકના પિતા શેખ અબ્દુલ્લાએ 1978માં લાગૂ કર્યો હતો.
બુધવારે બે નેતા મુક્ત થયા
આ પહેલા બુધવારે પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન અને પીડીપીના વહીદ પર્રાને મુક્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા છ મહિનામાં નજરકેદ નેતાઓને મુક્ત કરવાની આ સાતમી જાહેરાત છે. આ પહેલા 26 નવેમ્બર, 30 ડિસેમ્બર, 10 જાન્યુઆી, 16 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીએ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
સરકારે કહ્યું- 55 નેતાઓને મુક્ત કરવામાં આવ્યા
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ બુધવારે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં લોક સુરક્ષા અધિનિયમ અંતર્ગત 389 લોકો કસ્ટડીમાં છે. તેમણે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ 444 લોકોને આ કાયદા અંતર્ગત કસ્ટડીમાં લેવાનો આદેશ જાહેર થયો હતો. તેમાંથી 55 નેતા મુક્ત કરવામાં આવ્યા છે.