વડોદરા શહેરના મકરપુરા રોડ પર આજે વહેલી સવારે 5 વાગ્યે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
વડોદરાઃ વડોદરા શહેરના
મકરપુરા રોડ પર આજે વહેલી સવારે 5 વાગ્યે બે કાર
વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે
વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.
મકરપુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં જ
ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને કારમાં ફસાયેલા લોકો બહાર કાઢ્યા
હતા. જેમાં વડોદરાના મકરપુરા રોડ પર આવેલી એ-52, યોગેશ્વર સોસાયટીમાં ઓમપ્રકાશ
નાથુરામ બીજ(72)ના બે પગ કપાઇ ગયા હતા. જેથી ઘટના સ્થળે જ મોત
નીપજ્યું હતું. પુત્રને નોકરી માટે જવાનું હોવાથી ઓમપ્રકાશભાઇ વેગન કાર લઇને સુશેન
સર્કલ સુધી મૂકવા માટે ગયા હતા. જ્યાંથી પરત ઘરે જતી વખતે સ્વિફ્ટ કાર સાથે
અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ
હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ
આઝાદે જણાવ્યું હતું કે, અકસ્માતનો કોલ મળતા જ અમારી ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને
ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં
આવ્યા હતા.