• Home
  • News
  • તમિલનાડુના 8000 મંદિરોમાં એક જ ટાઈમ પૂજા કરવામાં આવે છે, ઉત્તરાખંડમાં મંદિરો ખુલ્યાં પણ આવક બંધ
post

ઉત્તરાખંડમાં ચારધામ સહિત પર્વતો પર આવેલા 100થી વધુ મંદિરો ખુલી ગયા, પરંતુ ભક્તોની ગેરહાજરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 12:11:39

દેશમાં લોકડાઉનના કારણે મંદિરો અને ધાર્મિક શહેરોની અર્થવ્યવસ્થા તૂટી પડી છે. તમિલનાડુના 8000થી નાના અને મધ્યમ મંદિરોમાં હવે એક ટાઈમ પૂજા કરવામાં આવી રહી છે. મંદિરોમાં દાનની આવક થતી ન હોવાને કારણે તેમની વીજળીના બીલ માફ કરવામાં આવે તેવી સરકારને માંગ કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડમાં ચારધામ સહિતના પર્વતો પર આવેલ 100થી વધારે મંદિરો ખુલી ગયા છે, પરંતુ અહીં દર વર્ષે જે ભક્તોની ભીડ જોવા મળતી તે હવે જોવા નથી મળી રહી. ઉત્તરાંખડ સરકાર  ટૂરિઝમને વેગ આપવા માટે લોકો પાસેથી સૂચનો માંગી રહી છે. 
દાનના અભાવને લીધે મંદિરોની આર્થિક સ્થિતિ ખરાબ

આવી જ સ્થિતિ દેશના લગભગ દરેક તે મંદિર અને શહેરની છે, જેની અર્થવ્યવસ્થાનો આધાર પર્યટન છે. તમિલનાડુમાં હજારો એવા મંદિરોમાં થતી પૂજા જે પહેલાં દિવસમાં 2 થી 5 વખત થતી હતી, તે હવે એક જ વાર કરવામાં આવી રહી છે. દાનના અભાવના કારણે આ મંદિરોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. 

લોકડાઉન 31 મે સુધી વધાર્યા પછી પણ મંદિરોમાં ઝડપથી સુધારો થવાની કોઈ અપેક્ષા નથી. એવો અંદાજ છે કે, સમગ્ર દેશમાં પરિસ્થિતિ સામાન્ય થતા ઘણો સમય લાગશે. ઘણા ધાર્મિક શહેરો લોકડાઉનના કારણે પ્રભાવિત થયા છે. તેમાં ઉત્તરાખંડ, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશનું ઉજ્જૈન, મહારાષ્ટ્રમાં નાસિક, બિહારમાં ગયાનો સમાવેશ થાય છે.

 

તમિલનાડુઃ પુજારીઓને એક હજાર રૂપિયાની રાહત
તમિલનાડુમાં મંદિરોની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે લગભગ 65 હજાર ગ્રામીણ પુજારીઓને એક હજાર રૂપિયાની રાહત રકમ આપી છે. મોટા મંદિરોમાં દાન વધારે હોવાને કારણે વ્યવસ્થા સામાન્ય રીતે ચાલી રહી છે, પરંતુ નાના મંદિરોની સ્થિતિ એવી નથી. પુજારી સંગઠનના પ્રમુખ પી. વાસુના જણાવ્યા પ્રમાણે, રાહત રકમ ગ્રામીણ પુજારીઓને આપવામાં આવી રહી છે પરંતુ મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, અહીંથી ઘણા લોકોના ઘરનું ગુજરન ચાલે છે. જે રાહત રકમ આપવામાં આવી છે તે પણ ઓછી છે. તે વધારવી જોઈએ. 

ઉત્તરાખંડઃ મંદિરો ખુલી ગયા, પરંતુ ભક્તોની ગેરહાજરી છે
એપ્રિલથી જૂન સુધીનો સમય સામાન્ય રીતે ઉત્તરાખંડ માટે મહત્ત્વપૂર્ણ હોય છે. આ દરમિયાન ચારધામ મંદિરોના કપાટ ખુલે છે અને દર વર્ષે 8થી 10 લાખ લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. આ વર્ષે લોકડાઉનના કારણે ઉત્તરાખંડ ટૂરિઝમ પડી ભાંગ્યું છે. 

ઉત્તરાખંડ સરકારે ટૂરિઝમને વેગ આપવા માટે સૂચનો માંગ્યા હતા
હરિદ્વારથી 400 કિમી આગળ, ઉત્તરાખંડમાં કેદારનાથ, બદ્રીનાથ જેના મોટા તીર્થસ્થાનો છે. અહીં ટ્રાવેલિંગ, રાફ્ટિંગ, હોટેલ અને ટૂર ગાઈડ જેવા કામ બંધ છે. તાજેતરમાં ઉત્તરાખંડ ટૂરિઝમે અહીં પર્યટનને વેગ આપવા માટે યોગ, આયુર્વેદ, પંચકર્મ વગેરે સ્વાસ્થ્ય ક્ષેત્રને લગતા કાર્યોમાં વધારો કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો છે. અહીં રિલિજિયસ ટૂરિઝમની સાથે હેલ્થ ટૂરિઝમને  પ્રોત્સાહન આપવાની યોજના છે. હરિદ્વારમાં હર કી પૌડી પર થતી ગંગા આરતી ઘણા સમયથી તે સ્વરૂપમાં નથી થઈ જે રીતે થાય છે. 104 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર આવું બન્યું છે, જ્યારે ગંગા આરતીમાં લોકોની ભીડ નથી.

 

ગયાઃ ગયાસુર જાગી ન જાય તે માટે પાંડઓ જાતે પિંડાદાન કરી રહ્યા છે
ગયા (બિહાર)માં પિંડદાન અને તર્પણનું મહત્ત્વ છે. એવું કહેવામાં આવે છે કે, ગયામાં જેનું પિંડદાન કરવામાં આવે છે તેને મોક્ષ મળે છે. રાક્ષસ ગયાસુરનો ભગવાન વિષ્ણુએ વધ કર્યો હતો, તે ગયાસુરના નામ પરથી શહેરનું નામ છે. અહીં માન્યતા છે કે, જો દરરોજ પિંડદાન અને તર્પણ ન થાય તો ગયાસુર જાગી જાય છે. અત્યારે લોકો આવતા અહીં નથી આવતા તેથી પાંડાઓ પુજારી દરરોજ યજમાનની તરફથી પિંડદાન કરી રહ્યા છે. અહીંના સેંકડો પરિવારોનું મુખ્ય કાર્ય ફાલ્ગુ નદીના કાંઠે ગયા તીર્થ પિંડદાન કરાવવાનું છે. પરંતુ, અત્યારે ગયા કુંડથી વિષ્ણુ મંદિર સુધી સન્નાટો છે. 

ઉજ્જૈનઃ મંદિર બંધ, ઘાટ સૂમસામ, ધાર્મિક મંત્રોચ્ચારના અવાજો શાંત
મધ્ય પ્રદેશની ધાર્મિક રાજધાની કહેવાતા ઉજ્જૈનમાં જ્યોતિલિંગ મહાકાલેશ્વર સિવાય મંગલનાથમાં મંગળદોષની શાંતિ અને કાલસર્પ, પિતૃદોષની શાંતિ જેવી ધાર્મિક વિધિઓ માટે સમગ્ર દેશમાંથી લોકો આવે છે. છેલ્લા બે મહિનાથી અહીં, શિપ્રા નદીનો ઘાટ સૂમસામ છે. 5000થી વધારે પાંડે-પુજારીઓ અને કર્મકાંડ સાથે સંકળાયેલા અન્ય લોકોને ઘરે બેસવાનો દિવસ આવ્યો છે. જો કે, અત્યારે અહીં આર્થિક સ્થિતિ એટલી ખરાબ નથી. પરંતુ લોકોના હજુ પણ ચિંતામાં છે. કેમ કે, લોકડાઉન ખુલ્યા બાદ લાંબા સમય સુધી પરિસ્થિતિ આવી જ રહેવાની છે. 

 

આંધ્રપ્રદેશઃ લોકડાઉન ખુલવાની આશામાં તૈયારીઓ
આંધ્રપ્રદેશમાં કાલહસ્તી, તિરૂપતિ સહિત ઘણા મોટા મંદિરો છે. લોકડાઉન 4.0ની જાહેરાત બાદ મંદિરો 31 મે સુધી બંધ છે. લોકડાઉનના કારણે તિરુપતિને 400 કરોડથી વધુ દાનનું નુકસાન થયું છે. મંદિર તેમના બીજા ફંડમાંથી ખર્ચને મેનેજ કરી રહ્યું છે. અહીં લગભગ 21 હજાર કર્મચારીઓ છે. 

તિરુપતિ મંદિરમાં લોકડાઉન ખુલ્યા બાદ તૈયારીઓ શરૂ થશે

31 મેના રોજ ચોથું લોકડાઉન સમાપ્ત થવાની સાથે મંદિર ખુલવાની આશામાં તૈયારી કરી રહ્યા છે. અહીં મંદિરના સ્ટાફ સાથે દર્શનના રિહર્સલની પણ તૈયારી કરવામાં આવી રહી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના ચેરમેન વાઈએસ સુબ્બારેડ્ડી ના જણાવ્યા પ્રમાણે, જ્યારે પણ મંદિરમાં દર્શન શરૂ થશે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવશે. મંદિરમાં એકસાથે વધારે ભક્તો ભીડ ભેગી ન થાય તેની વ્યવસ્થા કરવામાં આવશે. 

નાસિકઃ લોકો કાલસર્પની શાંતિ માટે નથી આવી શકતા
મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરીના કાંઠે ,ત્ર્યંબકેશ્વરનું મંદિર કાલસર્પ દોષની શાંતિ માટે શ્રેષ્ઠ જગ્યા માનવામાં આવે છે. દેશ-દુનિયામાંથી અહીં હજારો લોકો આવે છે. સેંકડો પરિવારોની આવકનો આધાર ગોદાવરીનો ઘાટ અને મંદિરોમાં પૂજા કરાવવા પર જ નિર્ભર છે. લોકડાઉનમાં અત્યારે સન્નાટો છે. લોકો આવતા નથી. સક્ષમ પુજારી પરિવારોની આર્થિક સ્થિતિ સારી છે પરંતુ ઘણા એવા પરિવાર છે જે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેમાં એવા પરિવાર સામેલ છે જેઓ મંદિરોની આસપાસ પૂજા અને આવશ્યક સામગ્રી વેચે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post