કર્ણાટકમાં વડાપ્રધાન મોદીએ કેટલીક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યોઃ હેલ્થ સેક્ટરને વિકસાવવા પર વિશેષ ભાર મૂક્યો
બેંગાલુરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગ્લુરુમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. એ કાર્યક્રમોમાં વડાપ્રધાને કહ્યું હતું કે ઘણી યોજનાઓના ફાયદા ટૂંકાગાળામાં દેખાતા નથી, પરંતુ લાંબાંગાળે યોજનાઓથી અનેક ફાયદા થાય છે. તેમણે આ નિવેદન અગ્નિપથ યોજનાઓના સંદર્ભમાં આપ્યું હતું. બંગ્લુરુમાં મોદીએે બ્રેઈન રિસર્ચ સેન્ટરનું ઉદ્ધાટન પણ કર્યું હતું, તેમ જ બી.આર. આંબેડકર ઈકોનોમિક્સ સ્કૂલના નવા કેમ્પસનું પણ ઉદ્ધાટન કર્યું હતું.
બેંગ્લુરુમાં વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેટલીય પહેલ શરૃઆતમાં કડવી
લાગે છે, પરંતુ લાંબાંગાળે તેના મીઠા ફળ મળે છે. આ
નિવેદન તેમણે તાજેતરમાં લોંચ થયેલી અગ્નિપથ યોજના અંગે કહ્યું હોવાની શક્યતા છે.
અગ્નિપથનો ઘણાં રાજ્યોમાં વિરોધ થયો હતો. એ પછી પીએમનું આ નિવેદન સૂચક ગણવામાં
આવ્યું હતું, જોકે, તેમણે
એવો ઉલ્લેખ કર્યો ન હતો.
વડાપ્રધાને કહ્યું હતુંઃ સ્ટાર્ટઅપ અને નવા ઈનોવેશન્સ સરળ નથી.
એમાં ઘણી મહેનત કરવી પડે છે. આ મુશ્કેલ રસ્તો લાંબાંગાળે ફાયદાકારક સાબિત થાય છે.
છેલ્લાં આઠ વર્ષમાં દેશને એ દિશામાં આગળ લઈ જવાનું પણ સરળ ન હતું. કેટલાક નિર્ણયો
અસ્થાયી રીતે અપ્રિય કે કડવા લાગી શકે છે, પરંતુ
તેનું લાંબાંગાળે મૂલ્યાકન થાય ત્યારે ખરેખર એ મીઠા ફળ આપનારા બની રહે છે.
સુધારાનો માર્ગ આપણને નવા લક્ષ્યાંક સુધી પહોંચાડે છે. આપણે એ રસ્તે આગળ વધીને નવા
સંકલ્પો લઈ શકીએ છીએ. અમે અંતરિક્ષ અને સંરક્ષણ ક્ષેત્રને ઓપન કરીને નવી તકો સર્જી
છે. પહેલાં આ ક્ષેત્રો સરકારી નિયંત્રણો હેઠળ હતા.
૨૮૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રેઈન રિસર્ચ સેન્ટરના
ઉદ્ધાટનમાં મોદીએ કહ્યું હતું કે દરેક દેશ હવે હેલ્થકેર પર વિશેષ ધ્યાન આપે છે.
ભારતમાં પણ છેલ્લાં થોડા વર્ષોથી એ દિશામાં મહત્વની યોજનાઓ શરૃ થઈ છે. હેલ્થકેર
સેક્ટર વિકસે તે ખૂબ જ જરૃરી છે અને સમયની માગ છે. વડાપ્રધાને મલ્ટિસ્પેશ્યાલિટી
હોસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો હતો. આઈઆઈએસસી પરિસરમાં યોજાયેલા સીબીઆરના
ઉદ્ધાટનમાં તેમણે કહ્યું હતું કે આ સંસ્થાનો શિલાન્યાસ પણ તેમણે કર્યો હતો અને
ઉદ્ધાટન પણ તેમણે કર્યું હોવાથી વિશેષ આનંદ છે.
બેંગ્લુરુમાં મોદીએ બી.આર. સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીના
નવા કેમ્પસનું ઉદ્ધાટન કર્યું હતું. એ જ કાર્યક્રમમાં મોદીએ ટ્રાન્સફોર્મિંગ ધ
ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ દ્વારા ડેવલપ ૧૩૦ ટેકનોલોજી હબને પણ ખૂલ્લો
મૂક્યો હતો. આ ટેકનોલોજી હબનું નિર્માણ ૪૭૦૦ કરોડના ફંડથી થયું હતું.