મોદીએ વારાણસીમાં રસ્તા પર જઈને વિકાસકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું
કાશી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે
વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન કર્યું હતું. લોકાર્પણ બાદ પીએમ મોદી
ગંગા આરતી જોવા દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. આ માટે વિવેકાનંદ ક્રૂઝની વ્યવસ્થા
કરવામાં આવી હતી. ક્રૂઝમાં તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ
ચૌહાણ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.
આ પહેલાં વડાપ્રધાન મોદીએ રવિદાસ
ઘાટ ખાતે સંત રવિદાસની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મોદી લલિતા ઘાટથી
અલકનંદા ક્રૂઝ મારફત રવિદાસ ઘાટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ વિવેકાનંદ ક્રૂઝમાં
બેસીને દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગા સેવા નિધિ દ્વારા
કરવામાં આવેલી ગંગા આરતી બાબા શ્રીકાશી વિશ્વનાથને સમર્પિત કરવામાં આવી હતી. માતા
ગંગા અને ભગવાન શિવનું સાંનિધ્ય ભક્તોને એકસાથે જોવા મળ્યું હતું. ગઈ મોડી રાત્રે
વડાપ્રધાન મોદી યોગી આદિત્યનાથની સાથે બનારસ સ્ટેશને પહોંચ્યા હતા.