પોલીસ કડક કાર્યવાહી કરતા હોવાનો દાવો
અમદાવાદ ઇસ્કોન બ્રિજ
ગોઝારી અકસ્માતની ઘટના પરથી સુરત પોલીસે કોઈ જ બોધપાઠ લીધો નથી એવું લાગે છે. તે
કપોદ્રામાં બનેલી અકસ્માતની ઘટનાએ ફલિત કરી આપ્યું છે. એટલું જ નહીં પોલીસ
રાત્રિના સમયે કોઇ જ ખાસ કામગીરી ન કરતી હોવાનો એક એઠવાડિયા પહેલાં જ ગ્રાઉન્ડ
રિયાલિટી રિપોર્ટ બતાવવામાં આવ્યો તેમ છતાં પોલીસ દ્વારા કોઇ ડ્રાઇવ કરવામાં આવી ન
હતી. ત્યારે કપોદ્રામાં દારૂના નશામાં કારચાલકે સર્જેલા અકસ્માત બાદ ધારાસભ્ય
કુમાર કાનાણીએ પણ સુરત પોલીસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં કહ્યું હતું કે
દારૂના નશામાં અને ઓવર સ્પીડમાં નબીરાઓ દ્વારા કરવામાં આવતા અકસ્માતો દિવસે નહીં
પણ રાત્રે જ વધુ થાય છે. જ્યારે ડીસીપી ભક્તિ ઠાકરે પણ કપોદ્રામાં રાત્રિના
અકસ્માત સર્જાયો હોવાનું કબૂલ્યું હતું. ત્યારે 20થી 25 જવાનો સાથે પોલીસ દિવસે
ડ્રાઇવ ચલાવે છે પરંતુ રાત્રે તો દેખાતી જ નથી. દિવ્ય ભાસ્કર એક અઠવાડિયા પહેલાં જ
ગ્રાઉન્ડ રિપોર્ટમાં પોલીસને અરીસો બતાવી અગ્રેસર રહ્યું હતું. ત્યારે પોલીસે જો
સતર્કતા દાખવી હોત તો કપોદ્રાની અકસ્માતની ઘટના રોકી શક્યા હોત.
પોલીસ કડક કાર્યવાહી
કરતા હોવાનો દાવો
સુરતમાં ગત મોડી રાત્રે કપોદ્રા વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
સ્વિફ્ટ કારચાલકે દારૂના નશામાં પાંચથી છ લોકોને કચડી નાખ્યા હતા. દારૂના નશામાં
ધૂત અને ઓવર સ્પીડમાં ચલાવનાર નબીરાને પોલીસે ધાર્યું હોત તો રોકી શકી હતો.
અમદાવાદના ઇસ્કોન ખાતે બનેલી ગોઝારા અકસ્માતની ઘટના બાદ પણ સુરત પોલીસે કોઈ જ
પ્રકારનો બોધપાઠ લીધો નથી એ ફરી સાબિત કરી બતાવ્યું છે. અમદાવાદની ઘટના બાદ
ડીજીપીના આદેશથી રાજ્યભરની પોલીસની સાથે સુરત પોલીસ પણ એક દિવસ ડ્રાઇવ ચલાવી કડક
કાર્યવાહી કરતા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ જમીની હકીકત વિપરીત જોવા મળી હતી.
ખરેખર ઓવર સ્પીડ પર દોડતાં વાહન ચાલક કે દારૂના નશામાં ચલાવતા નબીરાઓ સામે પોલીસની
કોઇ જ પકડ જોવા મળી ન હતી કે આંખે ઊડીને વળગે તેવી કાર્યવાહી પણ જોવા મળી ન હતી.
પોલીસ ફરી એક વખત ઊંઘતી સાબિત થઈ
જોકે, સુરત પોલીસ પોતાની કામગીરીમાં કોઈ જ બદલાવ ઇચ્છતી નથી. દિવ્ય ભાસ્કર દ્વારા
જુદા જુદા લોકોએ અને તજજ્ઞોએ બતાવેલા સમયને આધારે પોલીસ 9થી 12 વાગ્યામાં શું કામગીરી કરે
તેનો રિપોર્ટ બતાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં પોલીસ ફરી એક વખત ઊંઘતી હોવાનું
સાબિત થયું હતું. જોકે, અમદાવાદમાં બનેલી ઘટના બાદ અને દિવ્ય ભાસ્કર દ્વારા બતાવેલા અરીસા બાદ જો
થોડીક પણ સતર્કતા દાખવી કામગીરીમાં બદલાવ કરવામાં આવ્યો હોત તો કપોદ્રામાં બનેલી
અકસ્માતની ઘટનાને સુરત પોલીસ રોકી શકી હોત.