• Home
  • News
  • રાહુલે Word Puzzleમાં 5 પૂર્વ કોંગ્રેસીને અદાણી સાથે જોડ્યા:ગુલામ, સિંધિયા, એન્ટનીનો ઉલ્લેખ કર્યો; કહ્યું- હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું
post

રાહુલ ગાંધીએ 'ADANI'માંથી 'I' લઇને અનિલ લખ્યું છે. આ દ્વારા તેમણે અનિલ એન્ટની તરફ ઈશારો કર્યો છે, જેઓ હાલમાં જ ભાજપમાં જોડાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-08 17:14:46

નવી દિલ્હી: મોદી સરનેમ મામલે સભ્યપદ ગુમાવી ચૂકેલા રાહુલ ગાંધી સતત અદાણીના મુદ્દે સવાલો ઉઠાવે છે, પરંતુ આજે તેમણે પોતાના ટ્વિટરમાં તે પૂર્વ કોંગ્રેસીઓને ટાર્ગેટ કર્યા છે. રાહુલ ગાંધીના ટ્વીટમાં એક વર્ડ પ્લે પઝલની તસવીર જોવા મળી રહી છે, જેમાં સેન્ટરમાં તો અદાણી લખાયેલું છે, પરંતુ આ જ અક્ષરોથી તેમણે તે જૂના સાથીઓનાં નામ પણ લખ્યા, જેઓ હવે કોંગ્રેસનો હાથ અને રાહુલ ગાંધીનો સાથ છોડી ચૂક્યા છે.

સૌથી પહેલા કોંગ્રેસનેતા રાહુલ ગાંધીનું ટ્વીટ જોઈએ. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે હકીકત સંતાડે છે, એટલે રોજ ભટકે છે. સવાલ એ જ છે- અદાણીની કંપનીઓમાં ₹20,000 કરોડ બેનામી નાણાં કોનાં છે? આ સિવાય રાહુલે કોંગ્રેસના 5 પૂર્વ નેતાને પણ અદાણી સાથે જોડ્યા હતા. તેમણે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં પાંચ નેતાનાં નામનો ઉલ્લેખ કર્યો છે. એમાં અદાણીના અક્ષર 'A' સાથે ગુલામ (નબી આઝાદ), અક્ષર D સાથે સિંધિયા (જ્યોતિરાદિત્ય), 'A' સાથે કિરણ (રેડ્ડી), 'N' સાથે હિમંત (બિસ્વા સરમા) અને 'I' સાથે અનિલ (એન્ટોની) લખેલું છે. તેમણે કહ્યું હતું કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.

ગુલામ નબી આઝાદઃ ઘણા દાયકાઓ સુધી કોંગ્રેસ સાથે રહેલા વરિષ્ઠ કોંગ્રેસમેનની ઓળખ લેનારા ગુલામ નબી આઝાદ ગયા વર્ષે ઓગસ્ટ 2022માં ભૂતપૂર્વ કોંગ્રેસી બન્યા હતા. તેમણે ઘણા દિવસોની નિરાશા પછી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને દેશની આ સૌથી જૂની પાર્ટીના વર્તમાન નેતૃત્વ પર ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. હાલમાં જ તેમની આત્મકથા લૉન્ચ કરવામાં આવી છે, જે બાદ પ્રેસ-કોન્ફરન્સમાં તેમણે રાહુલ ગાંધીને કોંગ્રેસ છોડવાનું કારણ જણાવ્યું. આઝાદે કહ્યું, માત્ર હું જ કેમ, રાહુલ ગાંધીના કારણે ઘણા કોંગ્રેસીઓ અલગ થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે આ પાર્ટીમાં રહેવા માટે કરોડરજ્જુ વગરનું હોવું જરૂરી છે. તેમણે પીએમ મોદીનાં વખાણ કર્યા અને તેમને મહેનતુ ગણાવ્યા. કોંગ્રેસથી અલગ થઈને ગુલામ નબી આઝાદે ડેમોક્રેટિક આઝાદ પાર્ટી નામની પોતાની નવી રાજકીય પાર્ટી બનાવી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાઃ અદાણીની 'D' સાથે રાહુલ ગાંધીએ એક સમયના તેમના નજીકના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રી સિંધિયાના પરિવાર સાથે ગાંધી પરિવારની મિત્રતા બે પેઢીથી રહી છે, પરંતુ માર્ચ 2020માં સિંધિયા ભાજપમાં જોડાયા હતા. મિત્રતાનાં મૂળ ભલે નબળાં પડી ગયાં હોય, પરંતુ સિંધિયાએ ક્યારેય રાહુલ ગાંધીને સીધા નિશાન બનાવ્યા નથી. રાહુલ ગાંધીનાં નિવેદનોને પણ તેમણે કોંગ્રેસનો આંતરિક મુદ્દો ગણાવીને બાજુ પર મૂકી દીધા હતા. જોકે કોંગ્રેસીઓએ તેમને ઘણી વખત સ્વાર્થી અને દેશદ્રોહી કહ્યા છે, પરંતુ સિંધિયા ક્યારેય આ નિવેદનો પર ધ્યાન આપતા જોવા મળ્યા નથી, પરંતુ શુક્રવારે ગ્વાલિયરના એક મંચ પરથી તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે "કોંગ્રેસ પાસે એકમાત્ર વિચારધારા બાકી છે, એ દેશદ્રોહી છે, એક વિચારધારા, જે દેશ વિરુદ્ધ કામ કરે છે." તેમણે ટ્વિટર પર કોંગ્રેસના નેતા જયરામ રમેશ સાથે પણ ટક્કર કરી. આ નિવેદનો બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા તેમના પર નિશાન સાધ્યું છે.

 

કિરણ કુમાર રેડ્ડીઃ ગુલામ નબી આઝાદ અને સિંધિયા પર પ્રહાર કર્યા પછી રાહુલ ગાંધીના નિશાના હેઠળ આવનારા ભૂતપૂર્વ કોંગ્રેસમેન કિરણ કુમાર રેડ્ડી હતા. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી શુક્રવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રેડ્ડીને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ભાજપનું સભ્યપદ આપ્યું હતું. કિરણ રેડ્ડીએ થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું, 'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે ક્યારેય કોંગ્રેસ છોડવી પડશે. કોંગ્રેસ સાથે મારો લાંબા સમયથી સંબંધ છે. પાર્ટી નેતૃત્વની ખોટી નીતિઓને કારણે પાર્ટી સતત નીચે જઈ રહી છે. કાર્યકર્તાઓની વાત સાંભળવામાં આવતી નથી અને આ માત્ર એક રાજ્યની વાર્તા નથી, આખા દેશની પાર્ટીની વાર્તા છે. બીજેપીમાં જોડાયાના બીજા જ દિવસે તેઓ રાહુલ ગાંધીના પ્રહારો હેઠળ આવ્યા અને તેમની શબ્દોની રમત કોયડાનો એક ભાગ બની ગયા.

હિમંતા બિસ્વ સરમાઃ ઉત્તરપૂર્વમાં કોંગ્રેસનો ઝંડો ઊંચો રાખવા માટે હિમંતા બિસ્વા સરમા હંમેશાં મહત્ત્વનું નામ રહ્યા છે. વર્ષ 2011માં કોંગ્રેસે પોતાના બળ પર આસામમાં સરકાર બનાવી, પરંતુ હિમંતના કહેવા પ્રમાણે તેને ક્યારેય એ દરજ્જો મળ્યો નથી જેના તેઓ હકદાર હતા. તેમણે રાહુલ ગાંધી પર અનેક વખત એપોઈન્ટમેન્ટ ન આપવાનો પણ આરોપ લગાવ્યો. બાદમાં તેઓ 2015માં ભાજપમાં જોડાયા અને હવે આસામના સીએમ છે. તેઓ રાહુલ ગાંધી પર નિશાન સાધવાની કોઈ તક છોડતા નથી. તેમણે હાલમાં જ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેમના માટે કોઈની પાસે સમય નથી. એટલા માટે રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં તેમનું નામ લીધું છે.

અનિલ એન્ટનીઃ છેલ્લે રાહુલ ગાંધીએ 'ADANI'માંથી 'I' લઇને અનિલ લખ્યું છે. આ દ્વારા તેમણે અનિલ એન્ટની તરફ ઈશારો કર્યો છે, જેઓ હાલમાં જ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ગુરુવારે ભાજપમાં જોડાયા છે. જાન્યુઆરીમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટરીની ટીકા કરતાં તેમના ટ્વીટને પગલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. અનિલ એન્ટનીએ ટ્વીટ કર્યું કે ભાજપ સાથે ઘણા મતભેદો છે, પરંતુ તેમ છતાં દેશની સંપ્રભુતાને અસર કરશે. અનિલ એન્ટોનીના આ ટ્વીટ બાદ કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે. પીએમ મોદીને ઘેરવામાં લાગેલા કોંગ્રેસના નેતાઓ અનિલ પર આ ટ્વીટ ડિલિટ કરવા માટે દબાણ કરી રહ્યા હતા, જેને કારણે તેમણે કોંગ્રેસમાંથી જ રાજીનામું આપી દીધું છે. આ પછી તેઓ ભાજપમાં જોડાયા. આ રીતે તેઓ રાહુલ ગાંધીના નિશાના પર આવ્યા હતા.

અનિલ એન્ટનીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના આ ટ્વીટ પછી હાલમાં ભાજપમાં સામેલ થયેલા અનિલ એન્ટનીએ તેમના પર વળતો પ્રહાર કર્યો. અનિલ એન્ટનીએ આ પ્રકારના ટ્વીટ કરવા અંગે રાહુલ ગાંધીની આલોચના કરી અને સાથે જ લખ્યું કે વરિષ્ઠ નેતાઓ સાથે મારું નામ જોડવા માટે હું ખુશ છું. તમે જે નામ લખ્યાં છે તેઓ ગદ્દાર નથી. આ નામ પરિવાર માટે નહીં, દેશ માટે કામ કરનારા લોકોનાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post