• Home
  • News
  • આઈશા કેસમાં ઘટસ્ફોટ:'તું તો મારું સ્પેરવ્હીલ છે, હું બીજીને પ્રેમ કરું છું', આઈશા સાથે રૂમમાં હોય ને આરિફ તેની લવરને વીડિયો-કોલ કરતો
post

પતિ આરિફના રાજસ્થાનની અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધ આઈશાને આત્મહત્યા સુધી લઈ ગયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-02 09:41:43

માસૂમ આઈશાનો આત્મહત્યા પહેલાંનો વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજાના માનવીની પણ આંખો ભીની થઈ ગઈ છે. સમગ્ર ભારતમાં આજે લોકોના મોબાઈલમાં આઈશાના આ વીડિયોએ સંવેદનાના એકેએક તાર ઝણઝણાવી દીધા છે, પરંતુ આઈશાના એ વિડિયોમાંના સ્મિતની પાછળ કેટલું દરદ છે એ હવે ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે. આરિફની સામે આઈશાનો કેસ લડનાર વકીલે ઘટસ્ફોટ કર્યો છે કે આરિફના રાજસ્થાનની એક યુવતી સાથેના સંબંધને કારણે જ આઈશા તણાવમાં રહેતી હતી અને છેવટે આ પગલું ભર્યું હતું. લગ્નના બે મહિનામાં જ આરિફનું પોત પ્રકાશ્યું હતું અને આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો-કોલ પર પ્રેમાલાપ કરતો હતો. આ પ્રેમિકા સાથે મોજમજા કરવા કારણે આરિફ ઘણીવાર આઈશાને પિતાના ઘરે મૂકી ગયો હતો. આઈશાના આપઘાત માટે આરિફના લગ્નેતર સંબંધ જ જવાબદાર હતા.

ગરીબ પિતાનાં માન-ઈજ્જત માટે આઈશા સંઘર્ષ કરતી રહી
આઈશાની આત્મહત્યા અને એની થોડીક ક્ષણો પહેલાં અમદાવાદ રિવરફ્રન્ટ પર લીધેલા વીડિયોએ આજે સહુને હચમચાવી દીધા છે. જોકે તેનો સંઘર્ષ તો લગ્નના બે મહિનામાં જ શરૂ થઈ ગયો હતો. આઈશા લગ્ન બાદ માત્ર આરિફને જ પ્રેમ કરતી હતી, પણ આરિફને અન્ય યુવતી ગમતી હતી. તેણે આ વાત આઈશાને લગ્ન પહેલાં કરી નહોતી. બિચારી આઈશા ગરીબ પિતાનાં માન અને ઈજ્જત માટે સતત સંઘર્ષ કરતી રહી, પરંતુ બીજી તરફ, આરિફ અને તેનો પરિવાર માત્ર લાલચમાં જ રહ્યો હતો.

લગ્ન સમયે પૂરતું કરિયાવર આપ્યું છતાં સાસરીમાં આઈશાને સુખ ન મળ્યું
આઈશાના વકીલ ઝફરખાન પઠાણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આઈશા ભણવામાં ખૂબ હોશિયાર હતી અને માતા-પિતાની લાડકી દીકરી હતી. આરિફ તેમના પરિવારનો નજીકનો સંબંધી હતો અને પરિવાર માનતો હતો કે લગ્ન બાદ દીકરી સુખી થશે એટલે તેના લગ્ન આરિફ સાથે કરાવ્યા હતા. લગ્ન સમયે આયેશાના પિતાએ બને એટલી તમામ વસ્તુઓ દીકરીને આપી, પણ તેમને તરત જ આરીફ અને તેના પરિવારની લાલચનો અંદાજો નહોતો. બીજી તરફ, આરિફ પણ હંમેશાં આઈશાને કહેતો કે તું મારું સ્પેરવ્હીલ છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, નફ્ફટાઈની તમામ હદ વટાવીને તે આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરતો હતો.

આરિફના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલી ગર્ભવતી આઈશાનું બાળક મરી ગયું
આ બધાની વચ્ચે આરિફ એકવાર આઈશાને અમદાવાદ મૂકી ગયો હતો. એ સમયે આઈશા ગર્ભવતી હતી, પણ આરિફે કહ્યું હતું કે તમે દોઢ લાખ આપો તો જ હું આઈશાને લઈ જઈશ. આરિફના આવા વલણથી આઈશા ડિપ્રેશનમાં આવી ગઈ અને તેને બ્લીડિંગ થવા લાગ્યું હતું, જેને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. વધુપડતું લોહી વહી જતાં તેનું ઓપરેશન કરવું પડ્યું અને તેના બાળકનું ગર્ભમાં જ મરણ થયું હતું. આ પછી પણ આઈશાના પરિવારને દિલાસો આપવાના બદલે આરિફ અને તેનાં પરિવારજનો રૂપિયાની માગ કરતાં હતાં.

બીજી આઈશા સાથે આવું ન થાય એ માટે આરિફને સજા મળેઃ પિતા
આઈશાના પિતાએ આજે જણાવ્યું હતું કે સમગ્ર બાબત અંગે તેમણે આરિફના પિતાને જાણ કરવા ફોન કર્યો, પણ તેમણે એક વખત પણ મારો ફોન ઉપાડ્યો નહીં. હાલ હું માગ કરી રહ્યો છું કે મારી આઈશા તો પાછી નહિ આવે, પણ તમે બીજી કોઈ આયેશા સાથે આવું ન થાય, એ માટે મા-બાપને છોડીને ન જાય એ માટે તેના ગુનેગારને સજા થવી જોઈએ.

adv

Related News

post
post
post
post
post
post
post